India

નેશનલ ટેસ્ટિંગ એજન્સીમાંથી 600 પ્રોફેસર-નિષ્ણાતોની હકાલપટ્ટી કરાઈ

By GS Team
19 Aug 20262 mins read
TukuTouch Logo
નવી દિલ્હીમાં NEET પેપર લીક વિવાદ વચ્ચે, નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) માં વ્યાપક ફેરફારો કરાયા છે. પેપર સેટ કરનાર 600 પ્રોફેસર અને નિષ્ણાતોને હટાવાયા છે. પરીક્ષા વ્યવસ્થાને સુરક્ષિત બનાવવા નવી ટીમને જવાબદારી સોંપાઈ છે. પ્રશ્નપત્રોની તપાસ અને સમીક્ષા માટે 4 સ્તરીય સિસ્ટમ લાગુ કરાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

નેશનલ ટેસ્ટિંગ એજન્સીમાંથી 600 પ્રોફેસર-નિષ્ણાતોની હકાલપટ્ટી કરાઈ
  • પેપરમાં ગેરરીતીના આક્ષેપો વચ્ચે પરીક્ષા એજન્સીમાં મોટા ફેરફાર
  • નવી ટીમને જવાબદારી અપાશે : પેપરની તપાસ અને સમીક્ષા માટે ચાર સ્તરીય સિસ્ટમ લાગુ કરાશે

નવી દિલ્હી : નીટ પેપર લીક, વિદ્યાર્થીઓના આંદોલન પછી ચર્ચામાં આવેલી નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)માં પેપરમાં ગેરરીતિના આક્ષેપો વચ્ચે વ્યાપક સ્તરે ફેરફાર શરૂ કરાયા છે. એનટીએની વિવિધ પરીક્ષાઓમાં પેપર સેટ કરનારી જૂની ટીમને બદલી દેવાઈ છે અને નવી ટીમ બનાવાઈ છે. પેપર બનાવવામાં ગેરરીતિ અને બેદરકારીના આક્ષેપો વચ્ચે અંદાજે ૬૦૦ પ્રોફેસર, શિક્ષકો, નિષ્ણાતોની હકાલપટ્ટી કરાઈ છે.
કેન્દ્રીય શિક્ષણ મંત્રી પ્રહ્લાદ જોશીના અધ્યક્ષપદે યોજાયેલી સમીક્ષા બેઠકમાં પરીક્ષા વ્યવસ્થાને વધુ સુરક્ષિત, પારદર્શી અને વિશ્વસનીય બનાવવા માટે જરૂરી સુરક્ષા અને માળખાગત સુવિધા સુનિશ્ચિત કરવા નિર્દેશ અપાયા છે. એનટીએના આંતરિક માળખાની સમીક્ષા પછી મોટા ફેરફારોની સંપૂર્ણ યાદી તૈયાર કરી લેવાઈ છે.
એનટીએના મહાનિર્દેશકે અત્યાર સુધીમાં લેવાયેલા પગલાંની માહિતી આપતા કહ્યું કે, પરીક્ષા ટીમની પુનર્રચના કરાઈ છે, જેના હેઠળ અંદાજે ૬૦૦ પરીક્ષા નિષ્ણાતોને હટાવાયા છે. તેમના સ્થાને નવા નિષ્ણાતોનો સમાવેશ કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. સૂત્રોએ જણાવ્યું કે, નવી પરીક્ષાઓની વિશ્વસનીયતા વધારવા માટે પ્રશ્નપત્રોની તપાસ અને સમીક્ષા માટે ચાર સ્તરીય વ્યવસ્થા લાગુ કરવાનો પણ નિર્ણય લેવાયો છે. સાથે જ આગામી બેથી ત્રણ સપ્તાહમાં ૨૦થી ૨૫ નવા અધિકારીઓના સમાવેશ પર કામ ચાલી રહ્યું છે. એનટીએની ઓફિસોને યુદ્ધ સ્તરે નવા પરિસરમાં ટ્રાન્સફર કરવાની તૈયારી ચાલી રહી છે. નવા પરીસરમાં સીઆઈએસએફની તૈનાતી સાથે સુરક્ષા માળખાને વધુ મજબૂત કરાશે. આ ફેરફારોને એનટીએની કાર્યપદ્ધતિને વધુ અસરકારક, સુરક્ષિત અને વ્યવસ્થિત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.
નીટ પેપર લીકના વિવાદ વચ્ચે એનટીએ દ્વારા જૂનમાં યોજાયેલી અંગ્રેજી, કોમર્સ અને સોશિયોલોજીની પરીક્ષાના પેપરોમાં પણ મોટાપાયે બેદરકારી કરાઈ હોવાનું સામે આવ્યું હતું, જેને પગલે આ પરીક્ષાઓ ૯-૧૦ સપ્ટેમ્બરે ફરીથી યોજવાનો નિર્ણય લેવાયો હતો. આ પરીક્ષાઓ અંદાજે દોઢ લાખ વિદ્યાર્થી આપવાના હતા. ફરીથી પરીક્ષા યોજવાના નિર્ણય સામે વિદ્યાર્થીઓએ સવાલ ઉઠાવ્યા છે.