Get The App

દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના જોરદાર આંચકા, અફઘાનિસ્તાનમાં હતું કેન્દ્રબિંદુ

Updated: Apr 3rd, 2026

GS TEAM

Google News
Google News
દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના જોરદાર આંચકા, અફઘાનિસ્તાનમાં હતું કેન્દ્રબિંદુ 1 - image

Earthquake tremors felt in Delhi: દિલ્હી-NCR, જમ્મુ-કાશ્મીર અને ચંદીગઢ સહિત ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં આજે(3 એપ્રિલ) ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. આ ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન સરહદી વિસ્તારમાં હતું. અફઘાનિસ્તાનમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.9 નોંધવામાં આવી છે, જેના કારણે ઉત્તર ભારતના અનેક ભાગોમાં તેની અસર જોવા મળી છે.

ભૂકંપના કારણે જમ્મુ-કાશ્મીરના અનેક વિસ્તારો ધ્રૂજી ઉઠ્યા હતા અને એક પછી એક બે આંચકા આવતા લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. આવી જ સ્થિતિ દિલ્હી-NCRમાં પણ જોવા મળી હતી, જ્યાં નોઈડામાં ઓફિસોમાં કામ કરતા કર્મચારીઓ આંચકા અનુભવાતા જ તાત્કાલિક બિલ્ડિંગની બહાર દોડી આવ્યા હતા. આ સાથે જ રહેણાંક વિસ્તારોમાં પણ લોકો સાવચેતીના ભાગરૂપે પોતાના ઘરોની બહાર નીકળી ગયા હતા. જો કે રાહતની વાત એ છે કે અત્યાર સુધી રાજધાની સહિત અન્ય કોઈ પણ જગ્યાએથી કોઈ પણ પ્રકારના જાનમાલના નુકસાનના સમાચાર મળ્યા નથી.

કયા વિસ્તારોમાં અસર જોવા મળી?

• દિલ્હી-NCR: દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ અને ગુરુગ્રામમાં લાંબા સમય સુધી ધ્રુજારી અનુભવાઈ.

• જમ્મુ અને કાશ્મીર: સરહદી વિસ્તારો અને શ્રીનગરમાં આંચકાની તીવ્રતા વધુ હતી.

• પંજાબ: ચંદીગઢ સહિત અમૃતસર અને લુધિયાણામાં પણ લોકોએ આંચકા અનુભવ્યા.

• પાકિસ્તાન અને અફઘાનિસ્તાન: પડોશી દેશોમાં પણ આ ભૂકંપની વ્યાપક અસર જોવા મળી છે.

અત્યાર સુધી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિ કે મોટા માલસામાનના નુકસાનના સમાચાર મળ્યા નથી. જોકે, વહીવટીતંત્ર દ્વારા લોકોને સતર્ક રહેવાની અપીલ કરવામાં આવી છે.

ભૂકંપ સમયે શું કરવું?

• ગભરાવાને બદલે શાંત રહો.

• જો તમે ઈમારતની અંદર હોવ, તો મજબૂત ટેબલ નીચે આશરો લો.

• લિફ્ટનો ઉપયોગ કરવાનું ટાળો અને સીડીઓથી નીચે ઉતરો.

• કાચની બારીઓ અને ભારે ફર્નિચરથી દૂર રહો.

ભૂકંપ શા માટે થાય છે?

પૃથ્વીની અંદર કુલ સાત પ્લેટ છે. જે હંમેશા કાર્ય કરતી રહે છે. જ્યાં આ પ્લેટ્સ એકબીજા સાથે અથડાઈ છે તેને ફોલ્ટ ઝોન કહેવામાં આવે છે. જ્યારે આ પ્લેટો અથડાય છે, ત્યારે ઊર્જા બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. આ પ્લેટની હિલચાલ ભૂકંપ બની જાય છે. ભૂકંપનું કેન્દ્ર સપાટીથી જેટલું નજીક હોય તેટલી વધુ તબાહી સર્જાતી હોય છે.

કેટલી તીવ્રતા પર કેવો ભૂકંપ અનુભવાય છે?

જો ભૂકંપની તીવ્રતા 0 થી 1.9 રિક્ટર હોય તો તેનો અનુભવ થતો નથી. તેની જાણકારી સિસ્મોગ્રાફ દ્વારા મેળવવામાં આવે છે. બીજી તરફ 2 થી 2.9 રિક્ટર પર હળવી ધ્રુજારી અનુભવાય છે. આ સિવાય તેની તીવ્રતા જો 3 થી 3.9 હોય તો થોડા વધારે આંચકા અનુભવાય છે. આ ઉપરાંત 4 થી 4.9 રિક્ટર હોય તો બારીઓ તૂટી શકે છે જ્યારે 5 થી 5.9 રિક્ટર પર સામાન અને પંખા હલવા લાગે છે. જ્યારે ભૂકંપની તીવ્રતા 6 થી 6.9 હોય ત્યારે ઘરના પાયામાં તિરાડો પડી શકે છે અને જ્યારે તેની તીવ્રતા 7 થી 7.9 સુધી પહોંચે છે ત્યારે મકાનો પડી જાય છે અને ઘણો વિનાશ થઈ શકે છે. અને જો 8 થી 8.9ની તીવ્રતાનો ભૂકંપ આવે તો સુનામીનો ભય પણ રહે છે. જો ભૂકંપની તીવ્રતા 9 હોય તો ત્યારે પૃથ્વી હલતી હોય તેવી નજર આવે છે.