Get The App

બંગાળની ચૂંટણીમાં ઉપયોગમાં લેવાયેલા 4000 ઇવીએમ બળીને ખાખ થઇ ગયા

Updated: Jun 13th, 2026

GS TEAM

Google News
Google News
બંગાળની ચૂંટણીમાં ઉપયોગમાં લેવાયેલા 4000 ઇવીએમ બળીને ખાખ થઇ ગયા 1 - image

- કોલકાતામાં જિલ્લા પરિષદની 10 માળની બિલ્ડિંગમાં આગ લાગી

- ત્રીજા-ચોથા માળે આગ લાગી, પછીના બે માળને કઇ ના થયું ને આઠમાં નવમાં માળ સળગી ઉઠયા જ્યાં ઇવીએમ હતા

- બંગાળની 10 વિધાનસભા બેઠકો પર આ ઇવીએમ દ્વારા જ મતદાન યોજાયું હતું, તપાસના આદેશ અપાયા

કોલકાતા : તાજેતરમાં જ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી યોજાઇ ગઇ, એવામાં રાજધાની કોલકાતામાં રાખવામાં આવેલા પૈકી ૪૦૦૦ જેટલા ઇવીએમ મશીન બળીને ખાખ થઇ ગયા છે. એક સરકારી ઇમારતમાં ભીષણ આગ લાગી હતી જેમાં આ મતદાનમાં ઉપયોગમાં લેવાતા ઇવીએમ મશીન રાખવામાં આવ્યા હતા. સવારે ૯.૫૦ વાગ્યે ૧૦ માળની જિલ્લા પરિષદમાં આગની આ ઘટના સામે આવી હતી.   

પશ્ચિમ બંગાળની ભાજપ સરકારમાં ફાયર અને ઇમર્જન્સી સર્વિસ મંત્રી કૌશીક ચૌધરીએ કહ્યું હતું કે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે દસ માળની આ બિલ્ડિંગમાં સૌથી પહેલા આગની ઘટના ત્રીજા અથવા ચોથા માળે સામે આવી હતી. અમને એ વાતની ચિંતા છે કે આગ સીધી આઠમાં અને નવા માળે કેવી રીતે પહોંચી ગઇ કેમ કે વચ્ચેના છ અને સાતના માળે આગની કોઇ જ અસર નથી જોવા મળી. આગ ઠારવા માટે ૧૦ ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી ગઇ હતી. 

અધિકારીઓના જણાવ્યા મુજબ આ સમગ્ર બિલ્ડિંગમાં રાજ્ય સરકારના અનેક વિભાગો, ધરપકડ કરાયેલ ટીએમસી નેતા જહાગીર ખાનની ઓફિસ વગેરે આવેલા છે. આ જિલ્લા પરિષદનું સંચાલન હાલ તૃણમુલ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યું છે જ્યારે રાજ્યમાં સરકાર ભાજપની બની છે. જે જિલ્લા પરિષદમાં આગની ઘટના બની તે ૨૪ પરગણાસ સાથે જોડાયેલ છે. આ વિસ્તાર ટીએમસીના સાંસદ અભિષેક બેનરજીનો ગઢ માનવામાં આવે છે. મંત્રીએ વધુમાં જણાવ્યું છે કે આગની આ ઘટનામાં આશરે ૪૦૦૦ જેટલા ઇવીએમ મશીન પણ નાશ પામ્યા છે. જેને આઠમાં અને નવમાં માળે રાખવામાં આવ્યા હતા. આ તમામ ઇવીએમનો ઉપયોગ ગત ચૂંટણીમાં થયો હતો અને વિધાનસભાની ૧૦ જેટલી બેઠકોમાં આ મશીનો દ્વારા જ મતદાન યોજાયું હતું. જેનો હવે નાશ થઇ ગયો છે.