યુપીના પ્રતાપગઢમાં વરસાદના કારણે 100 વર્ષ જૂનું મકાન ધરાશાયી, એક જ પરિવારના 6ના મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Uttar Pradesh News : ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં ગુરુવારે વહેલી સવારે એક અત્યંત દર્દનાક અકસ્માત સર્જાયો છે. સતત પડી રહેલા ભારે વરસાદ વચ્ચે નગર કોતવાલી વિસ્તારના મહુલી વિસ્તારમાં આવેલું અંદાજે 100 વર્ષ જૂનું જર્જરિત મકાન અચાનક ધરાશાયી થઈ ગયું હતું. આ દુર્ઘટના સમયે મકાનના એક રૂમમાં સુઈ રહેલો આખો પરિવાર કાટમાળ નીચે દબાઈ ગયો હતો.
એક જ રૂમમાં સુતા 6 લોકોના નીપજ્યા મોત
મળતી માહિતી મુજબ, આ કરૂણ અકસ્માતમાં એક જ પરિવારના છ સભ્યોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘવાયી છે. ઈજાગ્રસ્ત વ્યક્તિને ત્વરિત સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રૂમમાં એર કન્ડીશનર (એસી) ચાલુ હોવાને કારણે પરિવારના તમામ સભ્યો એક જ રૂમમાં સુતા હતા. તે જ સમયે અચાનક જર્જરિત મકાન કડાકાભેર ધરાશાયી થયું અને તમામ લોકો માટી અને સિમેન્ટના કાટમાળ નીચે દબાઈ ગયા હતા.
મૃતકોમાં બે માસુમ બાળકો પણ સામેલ
આ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓમાં પરિવારના માતા-પિતા, પુત્ર, પુત્રવધૂ અને બે નાના બાળકોનો સમાવેશ થાય છે. બનાવની જાણ થતાં જ સીઓ (CO) સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. સ્થાનિક લોકો અને પોલીસની મદદથી બચાવ કામગીરી હાથ ધરીને કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.
પ્રાથમિક તપાસ અનુસાર, આ મકાન અંદાજે 100 વર્ષ જૂનું અને અત્યંત જર્જરિત હાલતમાં હતું. છેલ્લા કેટલાક દિવસોથી થઈ રહેલા સતત વરસાદના કારણે તેની દીવાલો નબળી પડી ગઈ હતી, જેના પરિણામે આ મોટી દુર્ઘટના ઘટી હતી. પોલીસે તમામ મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને આગળની કાનૂની તપાસ શરૂ કરી છે.









