- પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા વચ્ચે નિર્ણય
- જોકે ઓછું માયલેજ, સપ્લાય પુરવઠો કે પમ્પો પર વ્યવસ્થા સહિત અનેક પડકારો ઇથેનોલ સામે રહ્યા છે
- ટૂંક સમયમાં ટોચની કંપનીઓ ઇથેનોલથી ચાલતા વાહનો માર્કેટમાં લાવશે તેવો કેન્દ્રીય મંત્રીનો દાવો
દિલ્હીમાં ઇ૮૫ ફ્યૂલ લોંન્ચ થયાના કેટલાક સપ્તાહ બાદ આ જાહેરાત કરવામાં આવી છે. જે દર્શાવે છે કે સરકાર વર્તમાન ઇ૨૦ (૨૦ ટકા ઇથેનોલ) પ્રોગ્રામથી પણ આગળ વધવાનો પ્રયાસ કરી રહી છે. નાગપુરમાં એક કાર્યક્રમમાં ગડકરીએ જણાવ્યું હતું કે મે ઇથેનોલના કાયદેસર ઉપયોગ સાથે જોડાયેલી ફાઇલોને મંજૂરી આપી દીધી છે. અત્યાર સુધી દેશનું ધ્યાન પેટ્રોલમાં ૨૦ ટકા ઇથેનોલ ભેળવવા ઇ૨૦ પર હતું, પરંતુ હવે ઇ૧૦૦ એટલે કે ૧૦૦ ટકા ઇથેનોલ પર કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. જો ઇથેનોલના ઇંધણથી ચાલતા વાહનો પણ માર્કેટમાં મળવા લાગ્યા તો પેટ્રોલ અને ડીઝલની જરૂરિયાત પણ ઓછી થઇ શકે છે.
હવે જ્યારે ૧૦૦ ટકા ઇથેનોલને મંજૂરી આપી દેવામાં આવી છે ત્યારે દેશની ટોચની કાર કે ટુ-વ્હીલર વાહનો બનાવતી કંપનીઓ પણ આ દિશામાં આગળ વધવા લાગી છે. કેટલીક કંપનીઓએ આ ઇંધણ પર ચાલતા વાહનો લોન્ચ કરી પણ દીધા છે. એવામાં કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કહ્યું હતું કે આગામી દોઢ મહિનાની અંદર જ ટોયોટા, સુઝુકી, હુંડઇ અને એમજી જેવી મોટી કંપનીઓ માર્કેટમાં ઇ૧૦૦થી ચાલતા વાહનો પણ ઉતારશે. નોંધનીય છે કે સામાન્ય પેટ્રોલ એન્જિનની સરખામણીએ ફ્લેક્સ-ફ્યૂલ એન્જિનમાં ખાસ પ્રકારના કેલિબ્રેશન અને અલગ ઇંધણ પાઇપ ઉપયોગમાં લેવાય છે. જેથી તે ઇથેનોલને સહન કરી શકે. જોકે ઇથેનોલ સામે કેટલાક પડકારો પણ છે જેમ કે પેટ્રોલની સરખામણીએ માઇલેજ ઓછી આવે છે, સપ્લાય અને પેટ્રોલ પંપો પર મળવું હાલ મુશ્કેલ છે, જુની કારો ઇથેનોલથી નહીં ચાલે.


