નાંદેડમાં સુખબીર સિંહ બાદલ પર કિરપાણથી હુમલો, હાથમાં ઈજા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

એક નિહંગ દ્વારા હુમલાથી ચકચાર, સુરક્ષાકર્મીને પણ ઈજા
હુમલાખોર સેવાદાર પંજાબમાં ડ્રગ્સની સમસ્યાથી નારાજ હતો, સુખબીરને હાથમાં ટાંકા આવ્યાઃ અકાલી દળ દ્વારા ભારે ટીકા
મુંબઈ - મહારાષ્ટ્રના નાંદેડમાં ગુરુદ્વારામાં એક નિહંગએ શિરોમણી અકાલી દળના વડા અને પંજાબના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન સુખબીર સિંહ બાદલ પર કિરપાણથી હુમલો કર્યો હતો. આ હુમલામાં તેમની સુરક્ષા માટે તૈનાત એક પોલીસકર્મી પણ ઘાયલ થયો હતો. બાદલને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાહતા.તેમના હાથમાં ઇજા થઈ હતી. હુમલા બાદ સુખબીર સિંહ ખતરામાંથી બહાર હોવાનું કહેવાય છે.
હુમલાખોરની ઓળખ સેવાદાર તરીકે ફરજ બજાવતા જસપાલ સિંહ તરીકે થઈ છે. હુમલાનું ચોક્કસ કારણ તત્કાળ જાણવા મળ્યું ન હતું. પરંતુ, જસપાલ સિંહ પંજાબમાં ડ્રગ્સનાં દુષણથી પરેશાન હોવાનું કહેવાય છે.
તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા હોવાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં તેઓ કારમાંથી બહાર નીકળીને જાતે જ અંદર જતા જોવા મળે છે. તેમના હાથ પર કપડું બાંધેલું હતું. હુમલામાં આ હાથમાં તેમને ઇજા થઈ હતી. નાંદેડના એક સ્થાનિક અધિકારીના જણાવ્યા અનુસાર ૬૪ વર્ષીય બાદલ ખતરામાંથી બહાર છે. તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમના જમણા હાથ પર બે થી ત્રણ ટાંકા આવ્યા છે.
બિક્રમ સિંહ મજીઠિયા સહિત શિરોમણી અકાલી દળના વરિ નેતાઓએ આ હુમલાને ગુપ્તચર વિભાગની નિષ્ફળતા ગણાવી આ મામલાની સીબીઆઈ તપાસની માંગ કરી હતી.
મહારાષ્ટ્ર પોલીસના જણાવ્યા અનુસાર પંજાબના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન બાદલ પર બપોરે ૧.૪૫ વાગ્યે એક વ્યક્તિએ કિરપાણ વડે હુમલો કર્યો હતો. તેઓ ગુરુદ્વારા માતા સાહિબ દેવાન જી મુગટમાં આવ્યા હતા.
શિખ અકાલી દળના પ્રવક્તા અર્શદીપ સિંહ ક્લેરે જણાવ્યું હતું કે નિહંગ પોશાક પહેરેલા વ્યક્તિએ બાદલ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સુરક્ષા રક્ષકોએ તેને અટકાવ્યો હતા હાલ બાદલ ઝેડ પ્લસ સુરક્ષા સુરક્ષા હેઠળ છે. સ્પેશિયલ પ્રોટેક્શન યુનિટનો ભાગ રહેલા પોલીસ ઓફિસર સંતોષ કેન્દ્રે બાદલને બચાવવાનો પ્રયાસ કરતી વખતે ઘાયલ થયા હતા. ક્લેરે કહ્યું હતું કે આ ઘટના મહારાષ્ટ્રમાં બની હોવાથી રાજ્ય પોલીસ હુમલાની તપાસ કરશે.બાદલ પર હુમલાનું કાવતરું કોણે ઘડયું એની માહિતી મેળવવામાં આવશે.
પંથિક નેતાઓને ને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા હોવાનો આરોપ લગાવતા ક્લેરે કહ્યું કે આખો બાદલ પરિવાર ૧૨ થી ૧૪ ઓગસ્ટ સુધી મહારાષ્ટ્રની મુલાકાતે હતો.
બે વર્ષ પહેલાં બાદલ પર ફાયરિંગ થયું હતું
બાદલ પર આ બીજો હુમલો હતો. અગાઉ ડિસેમ્બર ૨૦૨૪માં પૂર્વ આતંકવાદી નારાયણ સિંહ ચૌરાએ અમૃતસરમાં સુવર્ણ મંદિરની બહાર નજીકથી બાદલ પર ગોળીબાર કર્યો હતો . પરંતુ તે નિશાન ચૂકી ગયો હતો. સાદા વોમાં આવેલા પોલીસકર્મીએ તેને પકડી લીધો હતો.આ અથડામણ દરમિયાન ગોળી બાદલની પાછળ મંદિરના પ્રવેશદ્વારની દિવાલ પર વાગી હતી. આમ ફાયરિંગમાં તેઓ બચી ગયા હતા. ૨૦૦૭ થી ૨૦૧૭ દરમિયાન પંજાબમાં અકાલી દળની સરકારે કરેલી ભૂલો માટે પ્રાયશ્ચિતના ભાગ રૃપે બાદલ તે સમયે સુવર્ણ મંદિરની બહાર સેવાદાર તરીકે ફરજ બજાવી રહ્યા હતા. આ હુમલો શીખ ધર્મસ્થાનની બહાર ભેગા થયેલા મીડિયાકર્મીઓના કેમેરામાં કેદ થયો હતો. તેઓ બાદલની તપશ્ચર્યાને કવર કરવા માટે ભેગા થયા હતા. ચૌરા બાદલ તરફ ધસી ગયો હતો અને તેના ખિસ્સામાંથી બંદૂક કાઢી ગોળીબાર કર્યો હતો.









