કલાકાર સંગઠન સિન્ટામાં પૂનમ ધિલ્લોન, પદ્મિની સામે બળવો, આઠનાં રાજીનામાંં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મુકેશ રિશી, વિન્દુ દારાસિંઘ, પુનિત ઈસ્સાર સહિતના કારોબારી સભ્યોનાં રાજીનામાં
પદ્મિની કોલ્હાપૂર તથા પૂનમ ધિલ્લોન દ્વારા જોહુકમીઃ અંગત કામો તથા હેતુ માટે સંસ્થાના સ્ત્રોતોના ઉપયોગનો આરોપ
મુંબઈ - બોલિવૂડના ટોચના ટ્રેડ યુનિયન સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશન-સિન્ટા-ની એક્ઝિક્યુટિવ કમિટીના આઠ સભ્યોએ પ્રમુખ પૂનમ ધિલ્લોન અને સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ પદ્મિની કોલ્હાપુરેની જોહુકમી સામે બળવો પોકારી એક લાંબો પત્ર લખી સાગમટે રાજીનામાં આપી દીધા હતા.
સિન્ટાની જનરલ સેક્રેટરી ઉપાસનાસિંહે કુલ ૧૧ સભ્યોના રાજીનામાં મળ્યા હોવાનું જણાવી તેમાં આઠ રાજીનામાં એક્ઝિક્યુટિવ કમિટીના સભ્યોના હોવાનું જણાવ્યું હતું. જો કે, સિન્ટાના વકીલે ચોખવટ કરતાં જણાવ્યું હતું કે કમિટીના ૫૦ ટકા કરતાં વધારે ચૂંટાયેલાં સભ્યો રાજીનામાં આપે તો જ કમિટીનું વિસર્જન કરી શકાય. હજી આટલાં રાજીનામાં અપાયા ન હોઇ કમિટી કાર્યરત છે.
સંસ્થાના કારોબારથી નાસીપાસ થઈ હોદ્દેદારોમાંથી વિશ્વાસ ગુમાવી બેઠા હોવાના કારણે રાજીનામાં આપી રહ્યાનું સભ્યોએ જણાવ્યું હતું. રાજીનામાં આપનારામાં હેમંત પાંડે, મુકેશ રિશી, સાહિલા ચઢ્ઢા, હેતલ પરમાર, પુનિત ઇસ્સાર, વિન્દુ દારાસિંહ, વિકાસ વર્મા અને દિપક પરાશરનો સમાવેશ થાય છે. ઉપાસનાસિંહે જણાવ્યું હતું કે સભ્યોએ પદ્મિની કોલ્હાપુરે અને પૂનમ ધિલ્લોને તેમના હોદ્દાનો દુરૃપયોગ કર્યો હોવાની ફરિયાદ કરી હતી.
પૂનમ ધિલ્લોન સત્તાવાર ઇમેઇલ એડ્રેસને બદલે તેમના અંગત ઇમેઇલઆઇડી પરથી બધાંને મેઇલ મોકલતાં હોવાનું જણાવાયું હતું. બંને હોદ્દેદારો તેમના ખાનગી વકીલો સાથે સરકારી ઓફિસોની મુલાકાત લઇ આ વકીલોને કમિટીની મંજૂરી વિના જ સિન્ટાના વકીલો તરીકે ઓળખાવતી હતી.
હેમામાલિનીએ તાજેતરમાં તેમના ફિલ્મ ઉદ્યોગમાં ૬૦ વર્ષ થયા તે નિમિત્તે સંસ્થાને પાંચ લાખ રૃપિયાના દાનનો ચેક આપ્યો હતો પણ સંસ્થાને માત્ર ચાર લાખ દસ હજાર રૃપિયા જ મળ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર પદ્મિની કોલ્હાપુરેએ પ્રેસ કોન્ફરન્સ પાછળ જ ૬૦,૦૦૦ રૃપિયાનો ધૂમાડો કરી નાખ્યો હતો.









