ડી.જે. મુક્ત ગણેશોત્સવ માટે પુણેવાસીઓ રસ્તા પર ઉતર્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અબકી બાર...લાઉડ સ્પીકર હદપાર જેવા નારા ગાજ્યા
મુંબઇ સહિતના શહેરોએ પણ ઘોંઘાટરહિત ઉજવણી કરવી જોઇએ એવી અપીલ
મુંબઇ - ગણેશોત્સવની ઉજવણી ડી.જે.ના કાન ફાડી નાખે એવાં ઘોંઘાટ વિના કરવાની માગણી સાથે પુણેવાસીઓએ રસ્તા ઉપર ઉતરી આંદોલન કર્યું હતું.
પુણેના પગલે મુંબઇ સહિતના શહેરોમાં પણ અસહ્ય ઘોંઘાટમુક્ત ગણેશોત્સવની ઉજવણી થવી જોઇએ એવો મત પર્યાવરણપ્રેમીઓ અને ધ્વનિ-પ્રદૂષણ વિરોધીઓએ વ્યક્ત કર્યો હતો.
અબકી બાર.. લાઉડ સ્પીકર હદપાર...ના નારા સાથે પુણેવાસીઓએ ગુડલક ઓક ખાતે આંદોલન કર્યું હતું. લાઉડસ્પીકરની વ્યાખ્યા હેઠળ બધા જ પ્રકારની સાઉન્ડ સિસ્ટમ આવે છે. અત્યારે ડી.જે. નામ બદલીને પ્લાઝમાં સાઉન્ડ કરવામાં આવ્યું છે એવો આરોપ કરવામાં આવ્યો હતો. ગણપતિના તહેવારની પહેલા એક મહિનાથી ચાલતી ઢોલ પથકોની પ્રેકટીસને કારણે વગર લાઉડસ્પીકરે અસહ્ય ઘોંઘાટ થાય છે.
તહેવારોમાં થતા ઘોંઘાટને લીધે વયોવૃદ્ધો, શિશુઓ, માંદગી ભોગવતા દરદીઓ અને પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓએ ખૂબ જ ત્રાસ વેઠવો પડે છે. એટલે દરેક એરિયામાં લોકપ્રતિનિધિઓએ ઘોંઘાટથી ત્રાસ ન થાય એ માટે સજાગ રહેવું જોઇએ એવી તેમને અપીલ કરવામાં આવી હતી.
ડી.જે.ના કાનના પડદા ફાડી નાખે એવા અવાજને લીધે અગાઉ હાર્ટઅટેક આવવાની ઘટના પણ બની હતી. આ સિવાય કાનમાં બહેરાશ આવવાનું પણ જોખમ રહે છે.
અવાજનો સૌથી વધુ ત્રાસ શ્વાન અને બીજા પ્રાણીઓને થાય છો. એટલે જેમના ઘરમાં શ્વાન પાળવામાં આવ્યા હોય તેમને તહેવારો દરમ્યાન કૂતરાના કાન ઢાંકી ઘોંઘાટથી બચાવવાની સલાહ પ્રાણીપ્રેમીઓ તરફથી આપવામાં આવી છે.




