મહાત્મા જયોતિબા ફુલેના સાહિત્યનો સાત ભાષામાં અનુવાદ થશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

૨૦૦મી જન્મજંયતી નિમિત્તે પ્રોજેક્ટ
સંબંધિત અકાદમીઓને કામ સોંપાશે ઃ ગુજરાતીમાં પણ અનુવાદ થશેઃ
મુંબઈ - દેશના મહાન સમાજ સુધારક, લેખક અને વિચારક મહાત્મા જયોતિબા ફુલેની આવતા વર્ષે ઉજવાનારી ૨૦૦મી જન્મ જયંતી નિમિત્તે મહારાષ્ટ્ર સરકારે તેમના સમગ્ર સાહિત્યનો ગુજરાતી સહિત સાત ભાષામાં અનુવાદ કરવાનો નિર્ણય લીધો છે.
મહિલાઓ અને દલિતોના ઉધ્ધાર માટે જીવન સમર્પિત કરનારા મહાત્મા ફુલેના સમગ્ર સાહિત્યનું ગુજરાતી, હિંદી, સંસ્કૃત, સિંધી, તેલુગુ, ગોડ બંજારા અને બંગાળીમાં ભાષાંતર કરવામાં આવશે. સંબંધિત ભાષાઓની સાહિત્ય અકાદમીના માધ્યમથી અનુવાદનું કાર્ય કરવામાં આવશે એમ રાજ્યનાં સાંસ્કૃતિક બાબતોના પ્રધાન આશિષ શેલારે આજે જણાવ્યું હતું.
સાત સાહિત્ય અકાદમીઓ વચ્ચે સાહિત્યિક સમન્વયને ઉત્તેજન આપવા માટે આજે પ્રભાદેવીની પુ.લ. દેશપાંડે મહારાષ્ટ્ર કલા એકેડેમીમાં આયોજિત એક દિવસીય અનુવાદ કાર્યશાળામાં સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે મહાત્મા જયોતિબા ફુલેના સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મહાન વિભૂતિની ૨૦૦મી જન્મજયંતીની ઉજવણી દરમ્યાન કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી વિવિધ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવશે. આમાં ૮૬૧ પાનાના 'મહાત્મા જયોતિબા ફુલે સમગ્ર વાંગ્મય'ના અનુવાદનો પણ સમાવેશ કરવામાં આવશે.









