કારખાનાના ભંગારની ખરીદીમાં ભાગીદારીની લાલચ આપી રૂા.1.13 કરોડની છેતરપિંડી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મોરબી : મોરબીમાં રહેતા પ્રૌઢને તેના સંભંધી યુવાને બંધ કારખાનાના ભંગારની ખરીદીમાં ભાગદારીનીલાલચ આપી રૂ ૧.૧૩ કરોડ પડાવ્યા બાદ ભાગીદારી નહિ આપી રૂ ૧.૧૩ કરોડ ઓળવી જઈ છેતરપિંડી કરી હતી. તેમજ રકમ પરત માંગતા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
મોરબીના આલાપ પાર્ક માં રહેતા સંજયભાઈ અંબારામભાઈ સાણંદીયા (ઉ.વ.૫૦)એ આરોપી ગૌરવ જયંતીલાલ ડઢાણીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે , તેઓ જેમાં ભાગીદાર હતા તે પેપરમિલ બંધ થતા કામધંધાની તલાશ કરતા હતા. દરમિયાન પોણા બે વર્ષ પૂર્વે સંબંધી ગૌરવ સાથે સંપર્ક થયો હતો.એકાદ વર્ષ પહેલાં ગૌરવે ફોન કરીને નવા બસ સ્ટેન્ડ પાસે તેમની ઓફીસમાં બોલાવ્યા હતા.
ગૌરવે કહ્યું હતું કે,તમે હાલ ધંધો શોધો છો,મારી પાસે એક ધધો છે.કહીને એક આખા બંધ કારખાનાનો ભંગાર રાખેલ છે. તેમાં સારો એવો ફાયદો થશે.તમારે રૂપિયા સવા કરોડ જેવું રોકાણ કરવું પડશે, કહીને વિશ્વાસ અપાવ્યો હતો.અને રકમ કટકે -કટકે આપવાની છે,તેમ કહ્યું હતું. તથા અમરેલીના રાધેશ્યામ એગ્રો પ્રા. લી. નામના કારખાનાનો તમામ ભંગાર ઉપાડવાનું રૂ ૮ કરોડ ૭૧ લાખમાં એગ્રીમેન્ટ કર્યાનું બતાવ્યું હતું. જેથી કટકે-કટકે ૧.૧૩ કરોડની રકમ તેને આપી હતી.
બાદમાં ફરિયાદીને અમરેલીમાં બંધ કારખાના ખાતે રૂપિયા જમા કરાવતી વખતે શંકા જતા ગૌરવપાસે હિસાબ માંગ્યો હતો.ત્યારે તેણે જણાવ્યું હતું કે,તમારે ભાગમાં રહેવું ના હોય તો તમને રકમ પરત આપી દઈશ. જે રકમ વાપરેલ છે તેનું વ્યાજ પણ આપી દઈશ. બાદમાં રૂબરૂ મળવા જતા ગૌરવે જણાવ્યું હતું કે,તને રૂપિયા નથી આપવા, તારાથી થાય તે કરી લેજે કહીને રૂપિયાની વાતચીત કરતો નહિ નહીતર જાનથી મારી નાખીશ. તેવી ધમકી આપી હતી. એ ડિવિઝન પોલીસે ૧.૧૩ કરોડની ઠગાઇ મામલે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.









