Gujarat

મોરબી માર્કેટિંગ યાર્ડમાં ભીષણ આગ, 10 હજાર મણથી વધુ કપાસ ભસ્મીભૂત

By GS Team
30 Oct 20211 min read
This article was originally published on 30 Oct 2021
મોરબી માર્કેટિંગ યાર્ડમાં ભીષણ આગ, 10 હજાર મણથી વધુ કપાસ ભસ્મીભૂત

મોરબી, તા. 30 ઓક્ટોબર 2021, શનિવાર

મોરબીના માર્કેટિંગ યાર્ડમાં આજે બપોરના સુમારે ખેડૂતો દ્વારા ઉતારવામાં આવેલા કપાસના ઢગલામાં આગ લાગી હતી. જેમાં 10 હજાર મણથી વધુ કપાસનો જથ્થો ભસ્મીભૂત થઈ ગયો હોવાનો અંદાજ છે. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ભાગદોડ મચી હતી. ફાયર વિભાગને આગની જાણ થતા માર્કેટ યાર્ડ પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે.

શનિવારના રોજ બપોરે 2 વાગ્યાના અરસામાં મોરબીના શનાળા રોડ ઉપર આવેલા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો દ્વારા ઉતારવામાં આવેલા કપાસના જથ્થામાં અચાનક આગ ફાટી નીકળી હતી. પ્રાથમિક તારણ અનુસાર લોડરના જમીન સાથેના ઘર્ષણને કારણે આગ લાગ્યાનું મનાઈ રહ્યું છે. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા પ્લેટફોર્મ ઉપર પડેલો કપાસનો જથ્થો આગની ચપેટમાં આવી ગયો હતો.

આગની ઘટનાને પગલે માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો, પોલીસ કાફલો અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જો કે ફાયર બ્રિગેડ દ્વારા સતત પાણીનો મારો ચલાવવા છતાં હજુ પણ આગ કાબુમાં આવી નથી. એક અનુામાન આગના બનાવને પગલે કરોડો રૂપિયાની નુકશાનીનો અંદાજ સેવાઈ રહ્યો છે.