Magazines

રસખાન .

By GS Team
29 Jan 20204 mins read
This article was originally published on 29 Jan 2020
રસખાન               .

રસખાનનું મુળ નામ સૈયદ ઇબ્રાહિમ હતું,'રસખાન' તેમનું ઉપનામ હતું. તેઓએ કૃષ્ણ ભક્તિની અદ્ભુત રચનાઓ લખી તેથી 'રસખાન'ને રસની ખાણ કહેવાય છે. અધિકાંશ વિદ્વાનોના મતે રસખાનનો જન્મ વિ.સં. ૧૫૯૦ છે અને તેમની મૃત્યુ તિથિ વિ.સં.૧૭૭૫-૭૬ સ્વીકારી છે. અને તેમની આયુ ૮૫ વર્ષ માની છે. મથુરા જિલ્લાના મહાવનમાં એમની સમાધિ આવેલી છે. બાબુ હરિશ્ચંદે 'ઉત્તર ભક્તમાળ' અને પંડિત રાધારમણ ગોસ્વામીએ 'નવ ભક્તમાળ'માં રસખાનની ખૂબ જ પ્રશંસા કરી છે.

રસખાનના જીવનના પરિચય લોકપ્રચલિત દંતકથાઓ તથા તેમના કાવ્યોમાંથી પણ મળી આવે છે. રસખાનના જીવન પર પ્રકાશ પાડનારો દોહો છે :

'દેખી ગદર હિત સાહિબી, દિલ્હી નગર મસાણ,

છિનહી બાદસા- બંસકી ઠસક છોડી રસખાન'

દિલ્હી આગ્રામાં ૧૬૧૨-૧૩માં ભીષણ દુકાળ પડયો હતો. આજ વર્ષમાં સત્તા લાલસામાં મદાન્ધ થયેલા મુગલ અને સુર-વંશીઓના યુધ્ધે દિલ્હી નગરને સ્મશાન કરી દીધુ દિલ્હી નગર મસાણ' એવા શહેરમાં ભટક્તા રસખાનના' શાહીવંશ' નો ગર્વ અને અભિમાન ઉતરી ગયા. લગભગ ૨૩ વર્ષની ઉંમરે દિલ્હીથી શ્રીવન (મથુરા) ચાલ્યા ગયા હશે.

રસખાનના જીવન પ્રસંગને લઈને જે પ્રસિદ્ધ દંતકથા પ્રસિદ્ધ છે.

દિલ્હીના હિંદુ શાહુકારના રિસાળ, પ્રેમાળ... બાળક 'સુંદર' સાથે રસખાનને માયા હતી. બાળકને દેખ્યા વગર એને ચેન પડતું ન્હોતું. એ છોકરો કશું ખાય તો એનું એઠું વધેલું ખાતો, પાણી પણ એનું વધેલું પીતો. એટલો એ એના પર આશક્ત હતો.

રસખાનને આગ્રામાં ચાર પુષ્ટિ સંપ્રદાયના વૈષ્ણવો મળે છે. જેઓએ તેમની અવસ્થા જોઈ વૈષ્ણવે કહ્યું કે' તારૂં મન જેવું આ છોકરામાં છે તેવું પ્રભુમાં લગાડ તો તારૂં કલ્યાણ થઈ જાય.'

વૈષ્ણવ પાસે શ્રીજાથજના ચિત્રજી હતા. તેમાં ગિરિરાજજીની લીલીછમ નિકુંજમાં મુકુટ કાછનીને ટિપારાનો શૃંગાર હતો. એ સ્વરૂપ કાઢીને એણે રસખાનને દર્શન કરાવ્યાં. આ ચિત્રના દર્શન માત્રથી એ યુવાન લૌકિક રૂપને ભૂલી અલૌક્કિ રૂપનો દિવાનો બની ગયો.

શ્રી રાધાચરણ ગોસ્વામીએ રસખાનજી માટે કહ્યું છે :

દિલ્હી નગર નિવાસ, બાદસા વંશ વિભાકર

ચિત્ર દેખી મન હરો, ભરો પ્રેમ સુધાકર 

રસખાન વિચારી રહ્યા છે. અરે, જેનું ચિત્ર આટલું  મોહક છે તે ભગવાન તો કેવાય હશે.

ચિત્રજી પોતે રાખી લીધું. દિલ્હી નગર છોડીને એજ લઘરવઘર પહેરવેશમાં વ્રજભૂમિની દિશામાં ચાલી નીકળ્યા. રસ્તામાં જતા દેવસ્થાન આવે ત્યાં દર્શન કરતા જાય અને ચિત્રજીના દર્શન કરે. પરંતુ તેમને ચિત્રજી સરખું સ્વરૂપ ક્યાંય જોયું નહિં. પૂછતા પૂછતા તેઓ ગિરિરાજજી સુધી પહોંચ્યા પરંતુ તેમનો મુસ્લિમ વેશ, મેલાઘેલા કપડાં, કોણ જાણે અંદર જઈને શું એ ઉપદ્રવ કરે ? એમ વિચારી લોકોએ તેમને મંદિરમાં પ્રવેશ ન આપ્યો.

છેવટે નિરાશ થઈને એ નીચે ઉતર્યો. ગોવર્ધન પર્વત પરથી તે ગોવર્ધન કુંડ આવ્યો. મંદિર ભણી મીટ માંડી રહ્યો. ભૂખ- તરસનું પણ એને ભાન ન રહ્યું. રાત આખી પસાર થઈ ગઈ. ઉંઘ કોને આવે ? બીજો દિવસ અને બીજી રાત પણ વીતી, કોઈ તપસ્વીની જેમ અડીખમ બનીને એ બેસી રહ્યા છે. પછી ભગવાને વિઠ્ઠલનાથ ગોંસાઈજીને સ્વપ્નમાં આવીને કહ્યું ' એક દૈવી આત્મા ગોવિંદકુંડ ઉપર ભૂખ્યો ને તરસ્યો ત્રણ દિવસથી પડયો છે. એને તમારા મંદિરે લઈ જાઓ. પ્રભુની આજ્ઞાા મુજબ ગોંસાઈજી તેને ગોવિંદકુંડમાં સ્નાન કરાવીને મંદિરે લઈ ગયા. રસિકપ્રભુના દર્શન કરાવ્યા. એજ પેલી છબીની આકૃતિ. એજ માથા પરની પાઘડી, મુકુટ કાછનીનો શૃંગાર.

'યા છબી પૈ રસખાની, અબ વારૌ કોટિ મનોજ

જામે ઉપમા કવિન નહિં, પાહિ રહે સુ ખોજ.'

આ ઘટના પછી રસખાન કૃષ્ણની લીલાઓના સાક્ષાત દર્શન કરતાં. તે નિત્ય શ્રીકૃષ્ણની સાથે ગાયો ચરાવવા જતા અને ગોપીઓની રસક્રીડાના દર્શન કરતા હતા. અને એ વર્ણનને પદો, ગીતોમાં વ્યક્ત કરી દેતા હતા. ક્યારેક તેઓ ગિરિરાજમાં પોઢેલા રાધાના પાયલને પલોટતો જુએ છે. રસખાન યુગલ સ્વરૂપના દર્શન કરતા ભાવવિભોર થઈ જાય છે. રસખાનજી કહે છે. 

' દેખ્યો દુર વહ કુંજ કુટિરમેં

બેઠયો પલોટન રાધા કે પાયલ'

રસખાનજીએ શેષ જીવન વ્રજમાં જ વીતાવ્યું. વૃદ્ધાવસ્થામાં શ્રીનાથજીની મંદીરની ધ્વજાના દર્શન કરતાં પ્રાર્થના કરતાં કહે છે.

'માનુષ હોં તો વહી રસખાની બસૌ વ્રજ ગોકુલ કે ગ્વારન

જો પશુ હોં તો કહા બસ મેરો ચરો નિત નન્દકી ધેનું મંઝારન

પાહન હો તો વહી ગિરિ કો, જો ધરિયો કર છત્ર પુરંધર ધારન

જો ખગ હો તો બસેરો કરૌ મિલિ, કાલિંદી કુલ કદબકી ડાળ

રસખાનની દ્રષ્ટિમાં મનુષ્ય જીવનની સાર્થકતા ગોકુળ ગામના ગોવાળિયા બનવામાં છે. કદાચ મનુષ્ય જન્મના મળતા પશુ જ બનવું પડે તો નંદની ગાય બની ગાયો સાથે ચરવાનો અવસર મળે. પથ્થર બનાવો તો એ ગિરિવરનો બનાવજો કે જેને ઇન્દ્રિભંગ માટે ભગવાને ધારણ કરેલો અને પક્ષી બનાવો તો શ્રી યમુના તટે કદંબની ડાળે માળો બાંધી ને રહું.

- યજ્ઞોશચંદ દોશી