Magazines

વીકએન્ડને વેડફતા નહીં .

By GS Team
6 Jan 20204 mins read
This article was originally published on 6 Jan 2020
વીકએન્ડને વેડફતા નહીં             .

સાપ્તાહિક રજાનો ભરપૂર લાભ ઊઠાવો

દિવાળીનો તહેવાર આ હમણા જ ગયો.  ખરેખર કેટલો હર્ષોલ્લાસ અને ઉમંગ વિખેરાયો   છે તહેવારમાં. જીવનની નીરસ, કંટાળાજનક અને રૂટિન જીવનચર્યામાં તહેવાર નવી ઊર્જાનો સંચાર કરે છે. પરંતુ જેવો તહેવાર પૂરો થાય છે, જીવન ફરીથી જૂની લઢણમાં ચાલવા લાગે છે ત્યારે મનમાં થાય છે કે શું સારું રહે કે જીવનમાં તહેવાર જેવી ખુશીઓ હંમેશાં જળવાઈ રહે.પરંતુ પ્રતિસ્પર્ધાના આ સમયમાં દરેક વ્યક્તિ સફળતા અને ખુશી મેળવવા માટે દોડી રહી છે. ગાડી અને આધુનિક સુખસુવિધાઓથી ભરપૂર ઘર આજકાલ સ્ટેટસ સિમ્બોલ બની ગયા છે.

આધુનિક સુખસુવિધાઓ મેળવવા માટે આજે પતિપત્ની બંને વ્યવસાયી હોવા અનિવાર્ય થઈ ગયા છે. આ સ્થિતિમાં નોકરી અને ગૃહસ્થીના બેવડા ચક્રવ્યૂહમાં ગૂંચવાયેલા દંપતીઓનું પરિણીત અને સામાજિક જીવન ગંભીર રીતે પ્રભાવિત થઈ રહ્યું છે. તેમની દિનચર્યા એટલી વ્યસ્ત હોય છે કે તેમની પાસે પોતાના માટે, બાળકો માટે કોઈ સામાજિક અથવા પારિવારિક જવાબદારી નિભાવવા સુધીનો સમય નથી હોતો.એક સર્વે પ્રમાણે જાણવા મળ્યું છે કે એકલા દિલ્લીમાં જ ૬૬ ટકા લોકો ડબલ ઈન્કમની સુખસુવિધાને પસંદ કરે છે. સમગ્ર દેશમાં લગભગ ૫૪ ટકા દંપતી માત્ર વીકેન્ડ પેરન્ટ બનીને રહી ગયા છે. ૩૪ ટકા વ્યવસાયી દંપતી માત્ર તાણથી ઊભા થયેલા મતભેદના લીધે છૂટાછેડા સુધી પહોંચી જાય છે.

ગૃહસ્થી અને નોકરીના ડબલ ચક્રવ્યૂહના પગલે તાણ અને થાકના બોજ નીચે દબાયેલા દંપતી માટે તો વધારે જરૂરી થઈ જાય છે કે તેમના જીવનમાં કંઈક એવું મનોરંજન હોય જે તેમને પ્રફુલ્લિત કરીને નવી ઊર્જાથી ભરી દે.તહેવારોમાં તો આ બધું સહજ ઉપલબ્ધ થઈ જાય છે, પણ તે પછી શું? અઠવાડિયાના પાંચ  કાર્યદિવસમાં તો તમારે ઘર અને નોકરીની કેટલીય જવાબદારીઓ નિભાવવી પડે છે. પરંતુ અઠવાડિયાના અંતનો સમય તમારા માટે તાજી હવાની લહેરથી જેવો લાગે છે. રજાઓના આ ૨ દિવસને તમે નાનીનાની ખુશીથી ભરીને પ્રસન્નતા અને આનંદનું સર્જન કરી શકો છો. તમે ખરેખર વીકેન્ડને જાતે અને પરિવાર માટે ઉત્સવની જેમ સજાવીને મોજમસ્તી, ઉત્સાહ અને ઉલ્લાસપૂર્ણ સમય બનાવી શકો છો. યાદ રહે કે જીવન ખૂબ નાનું છે. તેને મન ભરીને જીવી લેવા માટે જીવનમાં આવેલી નાનામાં નાની તકને પણ ખુશીથી ભરી લેવી જોઈએ.

૪૦ વર્ષના રીમા મલ્હોત્રા ૨ કિશોર બાળકોની મા છે અને એક મલ્ટિનેશનલ કંપનીમાં કામ કરે છે. રજા હોય કે કામનો દિવસ, તે સવારમાં ૫ વાગ્યે ઊઠી જાય છે. બાળકોની યોગ્ય સંભાળ, તેમના આહાર, અભ્યાસ પર ધ્યાન આપવું બધું તેમની જ જવાબદારી છે. ઘરના કામ કરીને ૮ વાગ્યે ઓફિસ માટે નીકળી જાય છે. સાંજના ૭ વાગ્યે ઘરે પાછી આવે છે.

દર શુક્રવારની રાત્રે તે શનિવાર અને રવિવારની રજાને કેવી રીતે વિતાવે છે, તે નક્કી કરી લે છે. ૫ દિવસની દોડધામ પછી અઠવાડિયાના અંતે પૂરો પરિવાર હરવાફરવા, સિનેમા જોવા કે પછી શોપિંગ માટે નીકળી જાય છે. પરિવાર સાથે મોજમસ્તી કરતા સમય વિતાવવો રીમાને આગામી કામના દિવસો માટે જરૂરી ઊર્જા આપે છે. રવિવારની સાંજે તે આગામી કામના દિવસોની જરૂરી તૈયારી અને ખરીદી વગેરેમાં વિતાવે છે.

આ રીતે બનાવો વીક એન્ડને ઉલ્લાસમય જાતે તાણુક્ત બનો : પતિપત્ની બંને કોઈ સારા સ્પામાં જાઓ, ત્યાં સ્પા લઈને રિલેક્સ થાઓ. મસાજ કરાવો. કોઈ એરોમા  થેરપી   લો. જો તરવું પસંદ છે તો સ્વિમિંગ માટે જાઓ. તમારું દિલદિમાગ તરોતાજા થઈ જશે.બાગકામ કરો, પરિવાર સાથે કોઈ ગેમ રમો. હોટલ કે ક્લબમાં પિક્ચર જોવા કેે પિકનિક પર જાઓ. આ બધા કામ પ્રસન્નતા તો આપશે જ, પરિવાર પણ એકબીજાની નજીક આવશે.પરિવાર સહિત મિત્રો અને સગાસ્નેહીઓને ત્યાં જાઓ, તેમને હળોમળો. તેમને તમારે ત્યાં આમંત્રિત કરો.નવી નવી વસ્તુઓ શીખો, પેઈન્ટિંગ, કૂકિંગ, સંગીત, ફેબ્રિક ડિઝાઈનિંગ, ઈન્ટીરિયર ડિઝાઈનિંગ, બ્યૂટિ કોર્સ, જે પણ તમે શરૂઆતથી શીખવા ઈચ્છતા હતા પણ ક્યારેય શીખી ન શક્યા. હવે તમારા તે શોખને પૂરા કરો. નવાનવા લોકોને મળો. આખું અઠવાડિયું તમે એક જ વાતાવરણમાં, તે જ સહકર્મીઓના ચહેરા જોતા વિતાવો છો. કેટલા કંટાળી જાઓ છો તે બધું 

અઠવાડિયાના અંતે નવાનવા લોકોને મળવાનું માધ્યમ બનાવો.પરોપકાર કરો. ક્યારેક કોઈ અનાથાશ્રમમાં જાઓ. બાળકોને ગિફ્ટ વગેરે ભેટમાં આપો. પછી જુઓ તમને કેટલી ખુશી મળશે. કોઈ વૃદ્ધાશ્રમમાં જઈને વડીલો સાથે સમય વિતાવો. તેનાથી નવાનવા અનુભવોથી તો તમારો પટારો ભરાયેલા જ રહેશે, પોતાની જાતને હળવીફૂલ પણ અનુભવશો. કોઈ એનજીઓ સાથે જોડાઓ, જીવનની નીરસતાથી છુટકારો મળશે. તમારા કમ્ફર્ટ ઝોનથી બહાર નીકળો.

કંઈક રોમાંચક કરો. પેરાગ્લાઈડિંગ ક્લબ સાથે જોડાઓ. હોર્સ રાઈડિંગ, ગોલ્ફ રમવું, ટ્રેકિંગ, લોંગ ડ્રાઈવ પર જવું વગેરે એવા કેટલાય કામ છે જે તમારા જીવનમાં રોમાંચનો સંચાર કરશે, જેનાથી એકરસતાથી છુટકારો મળશે.પ્રકૃતિની નજીક જાઓ. દરિયા કિનારે, નદીના કિનારે અથવા કોઈ પાર્કમાં સવારની તાજી હવામાં કેટલો આનંદ મળે છે, વાત બસ અનુભવ કરીને જ જાણી શકાય છે. ઊગતો સૂરજ, ઝાંકળ, રંગબેરંગી ફૂલો, વરસાદ આ બધી અનેક અજોડ વસ્તુઓ ખૂબ ઊર્જા અને શાંતિ આપે છે.

જીવનમાં ખુશીઓ શોધશો તો પોતાની આજુબાજુ જ નાનીનાની વાતોમાં પણ મોટીમોટી ખુશીઓ મળી જશે. આ ખુશીઓ ન તો તહેવારોની મોહતાજ હોય છે અને ન ખરીદી શકાય છે. ગૃહસ્થજીવનરૂપી ઉદ્યાનને પ્રસન્નતા અને ઉલ્લાસથી ભરવા અને સફળતાની નવી ઊંચાઈઓને સ્પર્શવા માટે શાંત અને પ્રસન્ન મનમસ્તિષ્ક અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ ખૂબ જરૂરી છે, જે તમને હંમેશાં આગળ ને આગળ વધવા માટે પ્રેરિત કરતું રહેશે. તેથી અઠવાડિયાના અંતે હોય કે અન્ય કોઈ સમયે તેને તહેવાર સમાન ઉલ્લાસમય બનાવો. તમારો દ્રષ્ટિકોણ હંમેશાં હકારાત્મક રાખો.