Gujarat

મોડીરાતે જેતલપુર રોડ પર વાહનની અડફેટે યુવાનનું મોત

By GS Team
31 Dec 20211 min read
This article was originally published on 31 Dec 2021
મોડીરાતે જેતલપુર રોડ પર વાહનની અડફેટે યુવાનનું  મોત

વડોદરા,મોડીરાતે એક વાગ્યે જેતલપુર રોડ પર અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતા સ્કૂટરચાલકને માથામાં ઇજા થઇ હતી.સ્કૂટરચાલકને સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું છે.

વાઘોડિયારોડ પર સૂર્યનગર પાસે માનવમંદિર સોસાયટીમાં રહેતા યશ મહેશભાઇ શાહ ઇલોરાપાર્કમાં કેફે ચલાવે છે.તેનો સ્કૂલ સમયનો મિત્ર પ્રથમેશ જયેશભાઇ દવે કપુરાઇ ચોકડી પાસે રાજનગર સોસાયટીમાં માતા પિત સાથે રહે છે.ગઇકાલે રાતે ત્રણ વાગ્યે મિત્ર શ્રીત શાહનો યશ પર  કોલ આવ્યો હતો.અને તેણે જણાવ્યું હતું કે,આપણા મિત્ર પ્રથમેશ દવેને અકસ્માત થયો છે.અને તેને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે.જેથી,યશ સયાજી હોસ્પિટલમાં ગયો હતો.ત્યાં પ્રથમેશ સ્ટ્રેચર પર સૂતો હતો.હોસ્પિટલમાં થતી વાતો પરથી યશને જાણવા મળ્યું હતું  કે,પ્રથમેશ સ્કૂટર લઇને સુખડિયા ગલી થી જેતલપુર રોડ તરફ જઇ રહ્યો હતો.તે સમયે રાતે એક વાગ્યે જેતલપુર રોડ પર એન્જોય રેસ્ટોરન્ટ સામે રોડ પર એક અજાણ્યા વાહનચાલકે સ્કૂટરને ટક્કર મારી હતી.અકસ્માતમાં પ્રથમેશને માથામાં ગંભીર ઇજા  પહોંચી હતી.અકસ્માત  પછી વાહનચાલક સ્થળ પરથી ભાગી છૂટયો હતો.પ્રથમેશને એમ્બ્યુલન્સમાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવતા ડોક્ટરે તેનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.પોલીસે ગુનો દાખલ કરી વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે.