Gujarat

વડોદરા નજીક ઉંડેરા તળાવમાં કેમિકલયુક્ત દૂષિત પાણી બંધ કરાવી પગલા લેવા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સમક્ષ રજૂઆત

By GS Team
2 Nov 20211 min read
This article was originally published on 2 Nov 2021
વડોદરા નજીક ઉંડેરા તળાવમાં કેમિકલયુક્ત દૂષિત પાણી બંધ કરાવી પગલા લેવા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સમક્ષ રજૂઆત

- બે દિવસ અગાઉ દૂષિત પાણીના કારણે તળાવમાં માછલીઓના મૃત્યુ થયા હતા

વડોદરા,તા.2 નવેમ્બર 2021,મંગળવાર

શહેરની નજીક ઉંડેરા ગામના તળાવમાં કેમિકલયુક્ત દૂષિત પાણીના કારણે હજારો માછલીઓના મૃત્યુ થતાં આ વિસ્તારના વોર્ડ નંબર નવના ભાજપના કોર્પોરેટરે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને પત્ર લખીને દૂષિત પાણી છોડાતું બંધ કરવા રજૂઆત કરી છે.

તેમણે પત્રમાં વધુમાં જણાવ્યું છે કે આ પાણીનું ટેસ્ટિંગ કરીને તેનો રિપોર્ટ આપવા અને દૂષિત પાણી છોડનાર સામે કાર્યવાહી કરવા માગણી કરી છે. વર્ષ 2019માં પણ દૂષિત પાણી છોડવાના કારણે તળાવમાં હજારો માછલીઓ મરી ગઈ હતી અને ઊહાપોહ થતાં દૂષિત પાણી છોડાતું બંધ થયું હતું. જેથી છેલ્લા બે વર્ષથી કોઇ તકલીફ ન હતી,પરંતુ ફરીવાર કેમિકલયુક્ત પાણી ચાલુ થતાં તળાવ પ્રદૂષિત બન્યું છે, અને તેના લીધે માછલીઓના મોત થયા છે. તળાવનો લોકો ઉપયોગ પણ કરી શકતા નથી, પાણી ગંધાઈ ગયું છે. આ તળાવમાં મત્સ્યોધોગ શરૂ થયો છે. કોર્પોરેશને મત્સ્ય પ્રવૃત્તિઓ માટે જે કેટલાક તળાવના ઈજારા આપ્યા છે તેમાંનું આ એક તળાવ છે. જેનો ત્રણ વર્ષનો ઇજારો લેનાર ઇજારદારને હજારો માછલીઓના મોત થતા આર્થિક નુકસાન થયું. તળાવમાં દૂષિત પાણી મુદ્દે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને અગાઉ પણ પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.