Gujarat

મીટરથી પાણી આપવાનો અગાઉની સરકારનો પ્રોજેક્ટ ખોરંભે ચડયો

By GS Team
29 Nov 20212 mins read
This article was originally published on 29 Nov 2021
મીટરથી પાણી આપવાનો અગાઉની સરકારનો પ્રોજેક્ટ ખોરંભે ચડયો

પાણીનો બગાડ અટકાવવા માટેના પ્રોજેક્ટ  મુદ્દે સરકાર નિરસ   

રાજસ્થાનના જોધપુરમાં મીટર પધ્ધતિથી પાણી આપવાની યોજના નિહાળીને અભ્યાસ કરવા ય નક્કી કર્યું હતુ   

અમદાવાદ : ગુજરાતમાં  પાણીનો મોટાપ્રમાણમાં બગાડ થઇ રહ્યો છે. ઉનાળામાં પાણીની અછત સર્જાય છે. આ સજોગોમાં પાણીનો વેડફાટ અટકે તે માટે મીટરથી પાણી આપવાની યોજના અમલમાં મૂકવા રાજ્ય સરકારે આયોજન કર્યુ હતું પણ અત્યારે આ પ્રોજેક્ટ અભેરાઇએ ચડયો છે.

ગુજરાતમાં ઉનાળો આવતા ંજ પાણીની સમસ્યા વકરે છે. છેવાડાના ગામડાઓમાં પાણી માટે લોકોને દૂર દૂર સુધી જવુ પડે છે. બીજી તરફ, જયાં પાણી ખૂબ આવે છે ત્યાં લોકો પાણીનો ધૂમ વેડફાટ કરે છે.  

સ્વૈચ્છિક સંસ્થાઓ પાણીના મુદ્દે અનેક વિધ પ્રયાસો કરી લોકજાગૃતિ કેળવવા પ્રયાસો કરે છે તેમ છતાંય હજુ ય લોકોમાં પાણીની સાચવણીને લઇને સમજ પ્રવર્તી નથી. જો પાણીનો બગાડ અટકે તો વર્ષે કરોડો લિટર પાણીની બચત થઇ શકે તેમ છે. આ જોતાં ગુજરાત સરકારે મિટરથી પાણી આપવાની યોજના અમલમાં મૂકવા આયોજન ઘડયુ હતું. 

સૂત્રોના મતે, રૂપાણી સરકારમાં પૂર્વ પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા અને અધિકારીઓએ રાજસ્થાનમાં જોધપુર જઇને મિટરથી પાણી આપવાની યોજનાનો અભ્યાસ કરવા ય નક્કી કર્યુ હતું. ઉલ્લેખનીય છેકે, રાજસ્થાનમાં જોધપુરમાં આ યોજના અમલમાં મૂકાઇ છે ત્યારે આ યોજના કેટલી અસરકારક છે, કેટલી સફળ છે, મિટરથી કેવી રીતે પાણી અપાઇ રહ્યુ છે.

આ બધુ નિહાળીને ગુજરાતમાં  યોજનાનો અમલ કરવા આયોજન કરાયુ હતું. ગુજરાતમાં કરોડો લિટર પાણીનો બગાડ અટકે તે દિશામાં સરકારે આ યોજનાને આગળ ધપાવવા નક્કી કર્યુ હતું પણ રૂપાણી સરકારે અચાનક વિદાય લીધી હતી.હવે આ યોજનાનો અભિરાઇ ચડી છે કેમકે, નવી સરકારને આ પ્રોજેક્ટમાં રસ નથી.