Gujarat

વડોદરા: દિવાળી પર્વે પાણી વિતરણની વ્યવસ્થા: એન્જિનિયરોને તથા કર્મચારીઓને હેડક્વાર્ટર નહીં છોડવા સુચના

By GS Team
2 Nov 20211 min read
This article was originally published on 2 Nov 2021
વડોદરા: દિવાળી પર્વે પાણી વિતરણની વ્યવસ્થા: એન્જિનિયરોને તથા કર્મચારીઓને હેડક્વાર્ટર નહીં છોડવા સુચના

વડોદરા,તા.2 નવેમ્બર 2021,મંગળવાર

દિવાળી પર્વ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પાણી વિતરણ અંગે ચોક્કસ આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે પાણી પુરવઠા શાખાના ઇન્ચાર્જ એડિશનલ સિટી એન્જિનિયર અમૃત મકવાણાએ કચેરીના તમામ અધિકારી કર્મચારીઓને પરિપત્ર જાહેર કરી નીતિ નિયમોનું પાલન કરવા સૂચના આપી છે. જેમાં ખાસ કરીને નગરજનોને દિવાળી પર્વે સમયસર રાબેતા મુજબનું પાણી મળી રહે, ઓછા પ્રેશરવાળા વિસ્તારમાં ટેન્કરની ફાળવણી કરવામાં આવે તેમજ પાણી વિતરણની વ્યવસ્થામાં કોઈ વિક્ષેપના ઉદભવે તે માટે તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.

દિવાળી પર્વ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા હસ્તક પાણી પુરવઠા વિભાગે એન્જિનિયરોને તથા કર્મચારીઓને પરવાનગી વિના હેડક્વાર્ટર નહીં છોડવા સુચના આપવામાં આવી છે. અને પાણીના વિવિધ સ્રોતોમાંથી પાણી મેળવવામાં કોઈ વિક્ષેપ ન સર્જાય તેની તકેદારી રાખી સાથે એમજીવીસીએલ સાથે પણ સંકલનમાં રહેવા જણાવાયું છે. તમામ પાણીની ટાંકીઓ ઉપર લેવલ નિયત સમયે થાય અને નિયત સમયે પાણી વિતરણ થાય તેનું પણ આયોજન કરાયું છે. સાથે સાથે પાણીની ટાંકીમાં પાણીના વપરાશની એવરેજ  હોય તેમાં વધારો ના કરી રાબેતા મુજબનું પાણી વિતરણ કરવા તથા અધિકારીઓએ સતત મોનીટરીંગ માટેની સૂચના આપી છે. નાયબ કાર્યપાલક ઇજનેર એકબીજાના સંપર્કમાં રહી પાણી અંગે ડાયવર્ઝન તથા ટાંકીના લેવલ બાબતે કાળજી રાખશે. જે વિસ્તારમાં લો પ્રેશરની સમસ્યા ઉદભવતી હોય ત્યાં કોર્પોરેટરની રજૂઆત સમયે તુરંત પાણીની ટેન્કર મોકલી આપી તે અંગે કોર્પોરેટરને માહિતગાર કરાશે.