Gujarat

જરૂર પડે તો અમુક ગેરકાયદે બહુમાળી ઇમારતો તોડી પાડો : હાઇકોર્ટ

By GS Team
29 Nov 20212 mins read
This article was originally published on 29 Nov 2021
જરૂર પડે તો અમુક ગેરકાયદે બહુમાળી ઇમારતો તોડી પાડો : હાઇકોર્ટ

ફાયર સેફ્ટી-BU પરમિશન અંગે સરકારને ટકોર

કડક પગલાં દ્વારા કોઇને હેરાનગતિ પહોંચાડવાનો હેતુ નથી, પરંતુ લોકોના બહુમૂલ્ય જીવ પરત લાવવા શક્ય નથી 

અમદાવાદ : ગુજરાતમાં ફાયર સેફ્ટી અને બી.યુ. (બિલ્ડીંગ યુઝ) પરમિશન વગરની બહુમાળી ઇમારતો અંગે ગુજરાત હાઇકોર્ટે આજે ફરી રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ટકોર કરી હતી.

ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ એ.જે. શાસ્ત્રીની ખંડપીઠે એક તબક્કે એમ પણ કહ્યું હતું કે દાખલે બેસાડવા માટે એક-બે ગેરકાયદે બહુમાળી ઇમારતો તોડી પાડવામાં આવે તો પણ વાંધો નથી. ખંડપીઠે વધુ ઉમેરતા કહ્યું હતું કે કોઇને હેરાનગતિ પહોંચાડવાનો હેતુ નથી પણ લોકોના બહુમૂલ્ય જીવ પરત લાવવા શક્ય નથી, તેથી લોકોની જિંદગીને ધ્યાનમાં રાખી નક્કર કાર્યવાહી કરવામાં આવે.

અરજદાર તરફથી આજે કોર્ટ સમક્ષ રદૂઆત કરવામાં આવી હતી કે અત્યારે રાજ્ય સરકાર નગરપાલિકાઓ અંગે એવી માહિતી આપી રહી છે કે 31મી ડિસેમ્બર, 2021 સુધીમાં નગરપાલિકા વિસ્તારોની હોસ્પિટલોમાં ફાયર એન.ઓ.સી.ની કામગીરી પૂર્ણ કરવામાં આવળે.

ત્યારબાદ 31 ડિસેમ્બર, 2022 સુધીમાં રેસ્ટોરન્ટ, કોમર્શિયલ બિલ્ડીંગ અને ઓડિટોરિયમમાં ફાયર સેફ્ટીના અમલીકરણની કામગીરી પૂર્ણ કરવમામાં આવશે અને રહેણાંક બહુમાળી ઇમારતોમાં 30મી જૂન, 2022 સુધીમાં આ કામગીરી કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્યના ઘણાં ઔદ્યોગિક એકમો પણ ફાયર સેફ્ટીનો અમલ કરી રહ્યાનથી. તે અંગે કોઇ માહિતી સરકારે આપી નથી.

તમામ પક્ષોની રજૂઆત સાંભળી ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ આશુતોષ જે. શાસ્ત્રીની ખંઠપીઠે નોંધ્યું છે કે 48 ટકા હોસ્પિટલો પાસે માન્ય બી.યુ. પરમિશન નથી. આ નિર્વાવાદિત છે કે જી.ડી.સી.આર. નિયમો પ્રમાણે બિલ્ડર, સોસાયટી કે માલિકે બી.યુ. પરમિશન લેવી જરૂર છે અને આ મંજૂરી કબ્જો લેતા પહેલાં કે બિલ્ડીંગનો ઉપયોગ કરતા પહેલા જરૂરી છે.

જી.ડી.સી.આર. પ્રમાણે આવં ગેરકાયદે અને અસુરક્ષિત ઇમારતો સામે કાર્યવાહી કરવની સરકાને સત્તા છે. વર્તમાન સમયની તાતી જરૂરિયાત છે કે સરકાર અત્યારે ગેરકાયદે બહુમાળી ઇમારતો અંગે પહલાં લે. જેમની પાસે બી.યુ. અને ફાયર સેફ્ટીની પરવાનગી નથી. આવી ઇમારતોના ઉપરના માળ સીલ કરવામાં આવે. 

ગણેશ મેરેડિયનમાં આગની ઘટના અંગે કોર્ટે ચિંતા વ્યકત કરી

28મી નવેમ્બરે એસ.જી. હાઇવે પરની ગણેશ મેરેડિયન બિલ્ડીંગમાં લાવેલી આગ અંગે હાઇકોર્ટે આજે રેકર્ડ પર નોંધ કરી હતી. જેમાં આગની ઘટનાથી ગભરાઇ એક સગીરે બીજા માળેથી કૂદકો માર્યો હતો અને તેને ગંભીર ઇજા પહોંચી હતી. કોર્ટે તંત્રને આ ઘટના અંગે જરૂરી કામગીરી કરવા નિર્દેશ કર્યો હતો.

ગેરકાયદે ઇમારતો ઉભી થવામાં અધિકારીઓની પણ સાંઠગાંઠ

આજે હાઇકોર્ટે ટકોર કરી હતી કે બી.યુ. અને ફાયર સેફ્ટી વગરની ઇમારતો ઉભી થવામાં અધિકારીઓની સાંઠગાંઠ પણ છે. અધિકારીઓની સાંઠગાંઠ વિના આવી ઇમારતો ઉભી થવી શક્ય નથી. તેથી અત્યાર સુધીમાં આવાં અધિકારીઓ સામે શું પગલાં લેવામાં આવ્યા છે તે અંગે પણ રેકર્ડ પર માહિતી રજૂ કરવામાં આવે.