ચોમાસામાં મચ્છર-માખીઓથી મુક્તિ મેળવવા અપનાવો આ સરળ ટિપ્સ, બીમારીઓ રહેશે દૂર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Monsoon Insect Prevention: ચોમાસાની ઋતુ ગરમીથી રાહત તો અપાવે છે, પરંતુ વરસાદની સાથે ઘરમાં મચ્છર, માખીઓ અને અન્ય જીવજંતુઓની સમસ્યા પણ વધી જાય છે. ઘરની આસપાસ ભરાયેલું પાણી, ભેજ અને ખુલ્લો ખોરાક આ જીવજંતુઓને આકર્ષિત કરે છે. મચ્છરોની કેટલીક પ્રજાતિઓ મેલેરિયા, ડેન્ગ્યૂ અને ચિકનગુનિયા જેવા ગંભીર રોગો ફેલાવી શકે છે. આવી સ્થિતિમાં ચોમાસા દરમિયાન ઘરની સફાઈની સાથે કેટલીક નાની-નાની બાબતોનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે.
ઘરની આસપાસ પાણી જમા ન થવા દો
મચ્છરોને ઘરથી દૂર રાખવા માટે સૌથી પહેલાં એકઠાં થયેલા પાણી પર ધ્યાન આપો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ની ડેન્ગ્યૂ બચાવ સંબંધિત માહિતી અનુસાર, ડેન્ગ્યૂ ફેલાવતા એડીસ મચ્છર સ્વચ્છ અને સ્થિર પાણીમાં ઈંડા મૂકે છે. તેથી ઘરમાં કુલર, ડોલ, કુંડા નીચે રાખેલી ટ્રે, એસીની ટ્રે કે અન્ય જગ્યાઓએ દિવસો સુધી પાણી ભરાયેલું ન રહેવા દો. પાણી ભરી રાખવાના વાસણો ઢાંકીને રાખો અને તેને નિયમિત સાફ કરો. વરસાદ પછી બાલકની કે છત પર પડેલી વસ્તુઓમાં પણ પાણી ભરાઈ શકે છે, તેથી તે જગ્યાઓની ચકાસણી કરવી પણ જરૂરી છે.
સાંજના સમયે દરવાજા બારી-બારણાં બંધ રાખો
ઘર ગમે તેટલું સાફ હોય, પણ જો બારી અને દરવાજામાંથી મચ્છર-માખીઓ સરળતાથી અંદર આવી શકતા હોય તો મુશ્કેલી રહેશે. બારીઓ અને વેન્ટિલેશનવાળી જગ્યાઓ પર યોગ્ય રીતે ફિટ થતી જાળી લગાવવી એ જીવજંતુઓને રોકવાનો સરળ ઉપાય છે. દરવાજા અને બારીઓની આસપાસ કોઈ જગ્યા કે ગેપ હોય તો તેને પણ બંધ કરાવો. ખાસ કરીને સાંજના સમયે દરવાજા લાંબો સમય ખુલ્લા રાખવાનું ટાળો. આ રીતે કોઈ કેમિકલ કે ઘરગથ્થુ નુસખા પર નિર્ભર રહ્યા વગર જ જીવજંતુઓનો પ્રવેશ અટકાવી શકાય છે.
ખોરાક ખુલ્લો રાખવાની આદત બદલો
માખીઓ અને કોકરોચને ખાદ્યપદાર્થો અને કચરો ઝડપથી આકર્ષિત કરે છે. તેથી કિચન કાઉન્ટર પર ખોરાક ખુલ્લો ન છોડો. રાંધેલા ખોરાકને હંમેશા ઢાંકીને રાખો અને જમ્યા પછી ટેબલ કે કાઉન્ટર પર પડેલા ખોરાકના ટુકડા સાફ કરી દો. કિચનમાં ઢાંકણવાળા ડસ્ટબિનનો જ ઉપયોગ કરો અને કચરો લાંબો સમય ઘરમાં ભેગો ન થવા દો. રાત્રે સિંકમાં એંઠા વાસણો છોડી દેવાથી પણ જીવજંતુઓ આવે છે, તેથી રસોડાને શક્ય તેટલું સાફ અને સૂકું રાખો.
ઘરમાં ભેજને નજરઅંદાજ ન કરો
ચોમાસામાં ઘરની અંદર ભેજ વધવો એ સામાન્ય બાબત છે. બાથરૂમ, કિચન અને ઓછી હવા-ઉજાસવાળા રૂમમાં ભેજ વધુ સમય રહી શકે છે. આ માટે એક્ઝોસ્ટ ફેન ચલાવવો અને વેન્ટિલેશન સારું રાખવું ફાયદાકારક છે. આ ઉપરાંત, લાકડાના ફર્નિચરને પણ સતત ભેજથી બચાવવું જોઈએ, કારણ કે ભીનું લાકડું ઊધઈ માટે અનુકૂળ રહે છે. દીવાલમાં ભેજ હોય તો ફર્નિચરને તેનાથી અડાડીને ન રાખો. લાકડાને ઊધઈથી બચાવવા માટે નીમ ઓઈલ (લીમડાનું તેલ) ઉપયોગી થઈ શકે છે, પણ જો ઊધઈ વધુ હોય તો પ્રોફેસનલ પેસ્ટ કંટ્રોલની મદદ લેવી જોઈએ.
ઘરગથ્થુ ઉપાયો અને એસેન્શિયલ ઓઈલનો ઉપયોગ
મચ્છર અને માખીઓથી છુટકારો મેળવવા માટે લોકો અવારનવાર લવિંગ, તજ, લીમડાનું તેલ કે સિટ્રોનેલા જેવા ઘરગથ્થુ નુસખા અપનાવતા હોય છે. જોકે, સંશોધનો દર્શાવે છે કે લવિંગ અને તજનો ઉપયોગ માત્ર અનાજને જીવાતોથી બચાવવા પૂરતો જ અસરકારક છે. રૂમમાં તજનો પાવડર છાંટવાથી મચ્છરો ભાગી જાય છે તે વાતનો કોઈ મજબૂત વૈજ્ઞાનિક આધાર નથી. બીજી તરફ, સિટ્રોનેલા, લેવેન્ડર, પેપરમિન્ટ અને લેમનગ્રાસ જેવા એસેન્શિયલ ઓઈલમાં મચ્છરોને દૂર રાખવાના ગુણો ચોક્કસ રહેલા છે.
આમ, વરસાદની ઋતુમાં મચ્છર અને માખીઓથી બચવા માટે માત્ર કોઈ એક નુસખા પર આધાર રાખવાને બદલે પાણી જમા ન થવા દેવું, જાળી લગાવવી, ખોરાક ઢાંકીને રાખવો અને ભેજ ઓછો રાખવો જેવી નાની-નાની આદતો એકસાથે અપનાવવી વધુ અસરકારક સાબિત થાય છે.









