રોટલાથી વરસાદનો વરતારો: જામનગરના આમરા ગામમાં 500 વર્ષ જૂની અનોખી પરંપરા, દિશા પરથી થાય છે અનુમાન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar News: આધુનિક યુગમાં હવામાન વિભાગ સેટેલાઇટ અને વૈજ્ઞાનિક ટૅક્નોલૉજીથી વરસાદની આગાહી કરતું હોય છે, ત્યારે જામનગર જિલ્લાના આમરા ગામમાં આજે પણ પાંચથી છ સદીઓ જૂની લોકપરંપરા અકબંધ જોવા મળે છે. અહીં દર વર્ષે અષાઢ મહિનાના પહેલા સોમવારે કૂવામાં રોટલો પધરાવીને તેની દિશા પરથી આગામી ચોમાસાનું અને વરસાદના પ્રમાણનું અનુમાન લગાવવામાં આવે છે.

ઢોલ-નગારા સાથે સરઘસ કાઢી કૂવામાં પધરાવાયો રોટલો
જામનગર-દ્વારકા હાઇવે પર આવેલા આમરા ગામમાં આ નિમિત્તે સમગ્ર ગામ ઉત્સાહભેર એકત્રિત થાય છે. ગામની મહિલાઓ દ્વારા વિશેષ રોટલો તૈયાર કરવામાં આવ્યા બાદ ઢોલ-નગારાના તાલે સરઘસ સ્વરૂપે તેને કૂવા કાંઠે આવેલા સતી માતાજીના મંદિરે લઈ જવામાં આવે છે. મંદિરે પૂજા-અર્ચના અને ધ્વજારોહણ કર્યા બાદ ગામના નિયુક્ત વ્યક્તિ દ્વારા રોટલાને કૂવામાં પધરાવવામાં આવે છે.

આ વર્ષે ચોમાસું કેવું રહેશે? રોટલો ઉગમણી દિશામાં તર્યો
વિધિ દરમિયાન રોટલો પાણીમાં ડૂબતા પહેલાં જે દિશા તરફ આગળ વધે છે તેના પરથી ચોમાસાનો વર્તારો નક્કી કરવામાં આવે છે. આ વર્ષે કૂવામાં પધરાવાયેલો રોટલો ઉગમણી (પૂર્વ) દિશા તરફ આગળ વધ્યો હતો. પૂર્વ દિશા તરફ રોટલો જવો એ અત્યંત શુભ સંકેત માનવામાં આવે છે. ગામના વડીલો અને આગેવાનોના મતે આ વર્ષે ઉત્તમ વરસાદ થશે અને વર્ષ 'પાણીવાળું' નવડાવશે તેવી લોકઆસ્થા વ્યક્ત કરવામાં આવી છે.

પ્રકૃતિ પ્રત્યે આસ્થા અને સાંસ્કૃતિક વારસાનું પ્રતીક
ગામના વડીલો જણાવે છે કે આ પરંપરા છેલ્લા 500થી 600 વર્ષોથી અવિરતપણે ચાલી આવે છે. ખેતીપ્રધાન સમાજ માટે આ વિધિ માત્ર આગાહી પૂરતી મર્યાદિત ન રહેતાં પ્રકૃતિ પ્રત્યેની ગાઢ આસ્થા, ગ્રામ્ય સંસ્કૃતિ અને સામૂહિક એકતાનું પ્રતીક બની ગઈ છે. સાયન્સ અને ટૅક્નોલૉજીના જમાનામાં પણ આમરા ગામના લોકો પોતાની આ પ્રાચીન શ્રદ્ધાને જાળવી રહ્યા છે. આ અનોખી વિધિના સાક્ષી બનવા માટે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે.









