US-Vatican Tension : અમેરિકા-ઈઝરાયલે ઈરાન સાથે યુદ્ધ શરૂ કર્યા બાદ યુરોપિયન દેશ વેટિકન સિટીના 14માં પોપ લિયોના ભાષણ આપીને શાંતિ અને વાતચીતનો રસ્તો અપનાવવાની સલાહ આપી છે. જોકે રિપોર્ટ મુજબ અમેરિકાને પોપના ભાષણથી વાંધો પડ્યો છે અને સલાહને ટ્રમ્પ સરકાર વિરુદ્ધની ગણાવ્યું છે. આ કારણે હવે અમેરિકાઅને વેટિકન વચ્ચે તણાવ શરૂ થઈ ગયો છે.
પોપ લિયોએ શું કહ્યું હતું?
મીડિયા રિપોર્ટ મુજબ પેન્ટાગોને પોપના ભાષણ બાદ તેમના દૂતને બોલાવીને કહ્યું છે કે, કેથોલિક ચર્ચે અમેરિકાને સાથ આપવો પડશે. હવે વેટિકનના અધિકારીઓએ પેન્ટાગોનના શબ્દોને ધમકી માની છે. વાસ્તવમાં પોપ લિયોએ 9 જાન્યુઆરીએ ભાષણ આપીને કહ્યું હતું કે, ‘આજની દુનિયામાં વાતચીતના બદલે તાકાત અને સેનાનો ઉપયોગ વધી રહ્યો છે. યુદ્ધ ફરી ફેશન બની ગયું છે. બીજા વિશ્વયુદ્ધ બાદ નિયમ બનાવાયો હતો કે, કોઈપણ દેશ બળજબરીથી કરીને બીજા દેશની સરહદ નહીં તોડે હવે તે નિયમ સંપૂર્ણ ખતમ થઈ ગયો છે.’
પેન્ટાગોને વેટિકનના અધિકારીઓને આપી ધમકી !
ટ્રમ્પ સરકારના અધિકારીઓ, ખાસ કરીને પેન્ટાગોનના સીનિયર અધિકારી એલ્બ્રિજ કોલ્બીને પોપની આ વાત પસંદ આવી નથી. તેમને લાગ્યું કે પોપ અમેરિકાની વિદેશ નીતિ અને ટ્રમ્પની નીતિ પર નિશાન સાધી રહ્યા છે. રિપોર્ટ મુજબ પેન્ટાગોને વેટિકનના રાજદૂત કાર્ડિનલ ક્રિસ્ટોફ પિયરને બેઠક માટે બોલાવ્યા હતા. બેઠકમાં ખૂબ જ ખરાબ વર્તન કરાયું હોવાનો વેટિકનના અધિકારીઓએ આક્ષેપ કર્યો છે. અમેરિકન અધિકારીઓએ કથિત રીતે કહ્યું કે, ‘અમેરિકા પાસે એવી સૈન્ય શક્તિ છે કે તેઓ વિશ્વમાં જે ઈચ્છે તે કરી શકે છે. તમારા માટે સારુ એ છે કે, કેથોલિક ચર્ચ અમેરિકાને સાથ આપે.’
700 વર્ષ જૂની ઘટનાનો ઉલ્લેખ, જે સૌથી મોટી ધમકી માનવામાં આવી
એટલું જ નહીં, અમેરિકાએ 700 વર્ષ જૂની ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. તે વખતે પોપ એવિગ્નન પૈપેસીએ ફ્રાસના રાજાઓના દબાણમાં આવી ઝુકવું પડ્યું હતું.
રિપોર્ટ મુજબ એક અમેરિકન અધિકારીઓએ 14મી સદીની જૂની ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. આ ઘટના ‘એવિગ્ન પૈપસી’ તરીકે ઓળખાય છે. તેની વાત કરીએ તો, ફ્રાન્સના રાજાએ એવું દબાણ કર્યું હતું કે, 1309થી 1377 વચ્ચે સાત પોપોને ફ્રાન્સના એવિગ્નૉન શહેરમાં રહેવા માટે મજબૂર કરાયા હતા. ફ્રાન્સના રાજાના લોકોએ તે અગાઉના આઠમાં પોપ બેનિફેસની ધરપકડ કરી હતી અને તેમની સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું હતું. પછી થોડા મહિનાઓ બાદ તેમનું મોત થયું હતું. એટલું જ નહીં તે પછી પણ રાજાએ પોપની ચૂંટણીમાં દખલગીરી કરી હતી અને ફ્રાન્સીસીને પોપ બનાવ્યો હતો.
અમેરિકન અધિકારીઓએ ‘એવિગ્ન પૈપસી’ની ઘટનાનો ઉલ્લેખ કરતા વેટિકન અધિકારીઓ નારાજ થયા છે. વેટિકને આ જૂની વાતને ખૂબ ગંભીરતાથી ધમકી માની રહ્યા છે. તેઓનું માનવું છે કે, જે રીતે ફ્રાન્સે પોતાના ઈશારે પોપને નચાવ્યા હતા, તેવી જ રીતે અમેરિકા પણ વેટિકન પર દબાણ કરી શકે છે.
વેટિકને શું જવાબ આપ્યો?
અમેરિકન અધિકારીઓના વલણથી પોપ લિયો નારાજ થયા છે અને તેમણે અમેરિકામાં યોજાનાર અનેક કાર્યક્રમોથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. ઉપરાષ્ટ્રપ્રમુખે અમેરિકન આઝાદીની ઉજવણીમાં સામેલ થવા માટે પોપને જે આમંત્રણ આપ્યું હતું, તેણે પણ ઠુકરાવ્યું છે. પોપે અમેરિકન પ્રવાસ રદ કરી દીધો છે. પોપ અમેરિકાના બદલે ઈટાલીના લૈમ્પેડુસા દ્વીપ જશે. આ તે દ્વિપ છે, જ્યાં પ્રવાસીઓ પોતાનો જીવ જોખમમાં નાખીને યુરોપ પહોંચે છે. પોપે અમેરિકા વિરુદ્ધ આ ખૂબ જ મહત્ત્વનો નિર્ણય લીધો છે, કારણ કે પોપે વિશ્વને સંદેશ આપ્યો છે કે, તેઓ તે લોકો સાથે છે, જેમની સામે ટ્રમ્પે કડક વલણ અપનાવ્યું છે.
અમેરિકાએ આક્ષેપો ફગાવ્યા
વ્હાઇટ હાઉસ દ્વારા કોઈપણ પ્રકારની ધમકી આપ્યાનો ઈન્કાર કરવામાં આવ્યો છે. સંરક્ષણ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે અહેવાલમાં જે લખવામાં આવ્યું છે તે ઘણું વધારી-ચઢાવીને અને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું કે આ બેઠક સન્માનજનક અને યોગ્ય હતી અને અમેરિકા વેટિકનનું ખૂબ જ સન્માન કરે છે. બીજી તરફ, ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સે હંગેરીની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે તેઓ આ મામલે તપાસ કરવા માંગે છે. તેમણે કાર્ડિનલ પિયર અને પોતાના અધિકારીઓ સાથે વાત કરીને હકીકતમાં શું બન્યું હતું તે જાણવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે પુષ્ટિ કર્યા વિના કોઈપણ સમાચાર પર અભિપ્રાય આપવો યોગ્ય નથી.


