Get The App

ચાંચિયાગીરી કરી રહ્યા છે ટ્રમ્પ...: અમેરિકાના હુમલામાં ભારતીયોના મોત પર ભડક્યું ઈરાન

Updated: Jun 12th, 2026

GS TEAM

Google News
Google News
US Attack Near Oman Coast
(IMAGE - IANS)

US Attack Near Oman Coast: ઓમાનના દરિયાકાંઠા નજીક એક કોમર્શિયલ જહાજ પર થયેલા કથિત અમેરિકન હુમલામાં ભારતીય નાવિકોના મોત પર ઈરાને સંવેદના વ્યક્ત કરી છે. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અને પબ્લિક ડિપ્લોમેસી સેન્ટરના વડા ઇસ્માઇલ બકાઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરીને આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે જણાવ્યું કે, 'ઈરાન આ હુમલામાં જીવ ગુમાવનારા ભારતીય નાવિકોના પરિવારો અને તેમના મિત્રો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવે છે તેમજ ભારતની જનતા અને ભારત સરકાર પ્રત્યે પોતાની ઊંડી સંવેદના વ્યક્ત કરે છે.'

ઇસ્માઇલ બકાઈએ અમેરિકાની નીતિને ગણાવી 'દરિયાઈ લૂંટફાટ'

પોતાના સત્તાવાર નિવેદનમાં ઇસ્માઇલ બકાઈએ અમેરિકા પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે ગંભીર આક્ષેપ લગાવતાં કહ્યું કે, 'આ હુમલો અમેરિકાની કથિત સશસ્ત્ર લૂંટ અને સરકારી દરિયાઈ લૂંટફાટની ચાલી રહેલી નીતિનું સ્પષ્ટ ઉદાહરણ છે. તેમના મતે, આ પ્રકારની સૈન્ય કાર્યવાહીઓ આંતરરાષ્ટ્રીય કાયદા અને દરિયાઈ સુરક્ષાના મૂળભૂત સિદ્ધાંતોની વિરુદ્ધ છે. તેમણે વૈશ્વિક સમુદાયને અપીલ કરી છે કે આંતરરાષ્ટ્રીય સમુદાયે અમેરિકાના આવા કથિત ગેરકાનૂની વર્તન માટે તેને જવાબદાર ઠેરવવું જોઈએ, કારણ કે આવી પ્રવૃત્તિઓ વૈશ્વિક શાંતિ અને સુરક્ષા સામે મોટો ખતરો પેદા કરે છે અને આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર સુરક્ષિત તથા મુક્ત અવરજવરને પ્રભાવિત કરે છે.

24 પૈકી 21 ભારતીયો સુરક્ષિત, ચીફ એન્જિનિયર હજુ પણ લાપતા

આ ઘટનાનો ભોગ બનેલા કોમર્શિયલ જહાજ પર કુલ 24 ભારતીય ક્રૂ મેમ્બર્સ સવાર હતા. હુમલા બાદ ત્વરિત કાર્યવાહી કરીને જહાજ પર હાજર 21 ભારતીયોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે ત્રણ ભારતીય નાવિકો લાપતા હોવાના અહેવાલ હતા. ત્યારબાદ સર્ચ ઓપરેશન દરમિયાન લાપતા ત્રણ પૈકી બે નાવિકોના મૃતદેહ મળી આવ્યા છે. જોકે, જહાજના ચીફ એન્જિનિયર પટાનાલા સુરેશનો હજી સુધી કોઈ પતો લાગ્યો નથી. અહેવાલો અનુસાર, સમય વીતવા સાથે હવે તેમના જીવતા મળવાની આશા ખૂબ જ નહિવત હોવાનું કહેવાય રહ્યું છે.

આ પણ વાંચો: ટ્રમ્પના દાવા પોકળ, ઈરાને કહ્યું - અમેરિકા સાથે કોઇ ડીલ નથી થઈ, અમારી રેડ લાઈન્સ નક્કી

ભારત સરકારે અમેરિકન રાજદ્વારીને પાઠવ્યો વિરોધ પત્ર

ભારતીય નાવિકોના મોતના કારણે ભારત સરકાર ભારે એક્શનમાં આવી છે અને આ ઘટના પર અત્યંત આકરી પ્રતિક્રિયા આપી છે. ભારતીય વિદેશ મંત્રાલયે આ ઘાતક હુમલાની સખત શબ્દોમાં નિંદા કરી છે. ભારતે આ મામલે સત્તાવાર રીતે પોતાનો વિરોધ નોંધાવવા માટે નવી દિલ્હી સ્થિત અમેરિકન દૂતાવાસના વરિષ્ઠ રાજદ્વારીને બોલાવીને એક ઔપચારિક વિરોધ પત્ર સોંપ્યો છે અને ઘટના અંગે ભારે નારાજગી વ્યક્ત કરી છે.