Iran vs USA war Updates : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભયાનક તણાવ વચ્ચે હવે રાજદ્વારી મોરચે નવો વિવાદ શરૂ થયો છે. એક તરફ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઓવલ ઓફિસથી એવી જાહેરાત કરી હતી કે અમેરિકાએ ઈરાન સાથે યુદ્ધના ઉકેલ માટે એક શાનદાર સમજૂતી (Settlement) તૈયાર કરી લીધી છે, જેના પર આ જ વીકેન્ડમાં યુરોપમાં હસ્તાક્ષર થઈ શકે છે. જોકે, ટ્રમ્પના આ દાવાને તદ્દન ફગાવી દેતા ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બઘઈએ અમેરિકા પર ગંભીર આક્ષેપો કર્યા છે.
રાજદ્વારી પ્રક્રિયા ખોરવવા માટે અમેરિકા જવાબદાર
ઈરાની વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આક્રોશ ઠાલવતા જણાવ્યું છે કે, શાંતિ વાર્તાને લઈને ઈરાનનું વલણ શરૂઆતથી જ સ્પષ્ટ હતું. કરારનો મોટો હિસ્સો પહેલેથી જ તૈયાર થઈ ગયો હતો, પરંતુ અમેરિકન પ્રશાસન વારંવાર પોતાનું વલણ બદલી રહ્યું છે. અમેરિકાના આ અસ્થિર અને બેવડા વલણને કારણે જ આખી રાજદ્વારી પ્રક્રિયા વારંવાર ખોરવાઈ રહી છે. હાલ આ મામલે કતાર અને પાકિસ્તાન મધ્યસ્થ તરીકે સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે.
ભારતીય નાવિકોના મોત પર ઈરાને વ્યક્ત કરી સંવેદના
ઇસ્માઇલ બઘેઈએ તાજેતરમાં ભારતીય વ્યાપારી જહાજો પર થયેલા અમેરિકન હુમલાનો મુદ્દો ઉઠાવીને વ્હાઇટ હાઉસને આડે હાથ લીધું હતું. ઈરાને આક્ષેપ કર્યો છે કે ભારતીય જહાજો પર અમેરિકા દ્વારા કરાયેલો ઘાતકી હુમલો એ બીજું કંઈ નહીં પરંતુ અમેરિકાની સશસ્ત્ર લૂંટ અને રાજ્ય પ્રેરિત સામુદ્રિક ડાકાઈતી (State Piracy) નું જીવતું જાગતું ઉદાહરણ છે.
ભારતીય નાગરિકોના મોત પર ભડક્યું ઈરાન
આ હુમલામાં ૩ ભારતીય નાગરિકોના મોત પર ઊંડી સહાનુભૂતિ વ્યક્ત કરતા ઈરાની પ્રવક્તાએ ભારત સરકાર અને ભારતીય જનતા પ્રત્યે સંવેદના પ્રગટ કરી છે અને આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી છે કે વૈશ્વિક શાંતિ જોખમમાં મૂકવા બદલ અમેરિકાને જવાબદાર ઠેરવવામાં આવે.
હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા અંગે વિરોધાભાસ
પ્રમુખ ટ્રમ્પે દાવો કર્યો હતો કે સમજૂતી પર હસ્તાક્ષર થતાં જ વ્યાપારી જહાજો માટે હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) ને સત્તાવાર રીતે ફરી ખોલી દેવાશે અને ઈરાન ક્યારેય પરમાણુ હથિયાર નહીં બનાવી શકે. પરંતુ તેનાથી વિપરીત, ઈરાને સ્પષ્ટ કર્યું છે કે અમેરિકાની સૈન્ય હરકતોને કારણે હોર્મુઝ ક્ષેત્ર પહેલા કરતાં વધુ અસુરક્ષિત બની ગયું છે.


