Explainer: હોર્મુઝ ખૂલતાં જ ભારત માટે ડબલ ગુડ ન્યૂઝ, અમેરિકા-ઈરાનના શાંતિ કરાર બાદ ક્રૂડના ભાવ પણ કાબૂમાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

US-Iran Peace Deal: મધ્ય-પૂર્વમાં લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધનો અંત આવતાં આખરે વૈશ્વિક અર્થતંત્ર અને ઊર્જા બજાર માટે રાહતના સમાચાર આવ્યા છે. અમેરિકા તથા ઈરાન વચ્ચે થયેલા શાંતિ કરારની જાહેરાત બાદ હોર્મુઝની સામુદ્રધુની(Strait of Hormuz) પરથી બે મહિનાથી લાગેલી યુએસ નૌકાદળની નાકાબંધી હટાવી દેવામાં આવી છે. આ સાથે જ ઈરાની ઓઇલ ફરીથી વૈશ્વિક બજારમાં વહેવા લાગ્યું છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ધડાધડ નીચે આવી રહ્યા છે.
ઈરાની ઓઇલની નિકાસ ફરી શરૂ: ટેન્કરો રવાના થયા
યુએસ-ઈરાન શાંતિ કરાર થતાં જ ઈરાને હોર્મુઝનો દરિયાઈ માર્ગ ખોલી દીધો છે. 15 જૂન, 2026ના સેટેલાઇટ ચિત્રો અને AIS ડેટા દ્વારા પુષ્ટિ મળી છે કે છેલ્લા બે મહિનામાં પહેલીવાર ઈરાની તેલ ભરેલા જહાજો નાકાબંધી રેખા પાર કરીને રવાના થયા છે.
- 4.8 મિલિયન બેરલ તેલની નિકાસ: 'ટેન્કરટ્રેકર્સ'ના અહેવાલ મુજબ, નેશનલ ઈરાની ટેન્કર કંપની(NITC)ના બે સુપરટેન્કર 'DIONA' અને 'HERO2' આશરે 3.8 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલ લઈને રવાના થયા છે. ત્યારબાદ ત્રીજું Suezmax ટેન્કર પણ 1 મિલિયન બેરલ ઓઇલ લઈને નીકળ્યું છે.
- પાકિસ્તાન તરફથી હિલચાલ: નકશા અનુસાર ઈરાનનું એક અન્ય જહાજ જે છેલ્લા 7 અઠવાડિયાથી પાકિસ્તાનના EEZ(એક્સક્લુઝિવ ઈકોનોમિક ઝોન)માં ઈરાનમાં પ્રવેશવાની રાહ જોતું પડ્યું હતું, તે હવે નાકાબંધી રેખા તરફ આગળ વધી રહ્યું છે.
ક્રૂડ ઓઇલના ભાવ ગગડ્યા
શાંતિ કરારની સીધી અને સકારાત્મક અસર વૈશ્વિક બજાર પર જોવા મળી છે. જે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ લાંબા સમયથી 100થી 110 ડૉલરની આસપાસ ટ્રેડ થઈ રહ્યું હતું, તે હવે 80 ડૉલરની નીચે આવી ગયું છે.
- બ્રેન્ટ ક્રૂડ: ઘટીને 79.02 ડૉલર પ્રતિ બેરલ થયું છે, જે છેલ્લા 3 મહિનાની સૌથી નીચી સપાટી છે.
- WTI ક્રૂડ: 76.15 ડૉલર પ્રતિ બેરલ પર પહોંચ્યું છે.
- મુર્બન ક્રૂડ: આમાં 7%થી વધુનો મોટો ઘટાડો નોંધાયો છે અને તે 71 ડૉલર પ્રતિ બેરલ પર આવી ગયું છે.
ઓઇલના ભાવ ઘટવાને કારણે વિશ્વભરમાં મોંઘવારીનું જોખમ પણ ઘણું ઓછું થઈ ગયું છે.
ભારત માટે 'ડબલ ગુડ ન્યૂઝ'
હોર્મુઝ સ્ટ્રેટ ખુલવાથી સૌથી મોટો ફાયદો ભારત જેવા આયાતકાર દેશને થવાનો છે. ભારતમાં ઊર્જાની અછત દૂર કરવા માટે આ એક મોટો વળાંક સાબિત થશે.
1. ફસાયેલા જહાજો ભારત તરફ રવાના
મહિનાઓથી હોર્મુઝમાં ફસાયેલા ઓઇલ, ગેસ અને ખાતરના જહાજો હવે ભારત આવવા માટે રવાના થઈ ગયા છે. આ કડીમાં 62,000 ઘન ટન LNG (લિક્વિફાઇડ નેચરલ ગેસ) લઈને 'દિશા' નામનું પહેલું જહાજ ભારત માટે નીકળી ચૂક્યું છે, જેના કારણે પાછળ ફસાયેલા અન્ય 34 જહાજો માટે પણ રસ્તો સાફ થઈ ગયો છે.
2. કતાર રૅકોર્ડ ગતિએ ગેસ પુરવઠો વધારશે
વિશ્વનો સૌથી મોટો ગેસ ઉત્પાદક દેશ 'કતાર' પણ હવે ગેસનું ઉત્પાદન ઝડપથી વધારવા જઈ રહ્યો છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, કતારની સરકારી કંપની 'કતાર એનર્જી'એ ખરીદદારોને જણાવ્યું છે કે,
તેઓ આગામી 1 મહિનામાં પોતાની LNG ઉત્પાદન ક્ષમતાના 50% સુધી રિકવરી કરી લેશે.
આગામી 2 મહિનાની અંદર ઉત્પાદનને 80% સુધી પહોંચાડવાની યોજના છે.
ભારત માટે આ કેમ મહત્ત્વનું છે?
ભારત પોતાની ગેસ જરૂરિયાતો માટે મોટાભાગે આયાત પર નિર્ભર છે અને કતાર ભારતની સૌથી મોટી ગેસ સપ્લાય લાઇન છે. કતારમાંથી સપ્લાય વધવાને કારણે ભારતના ઉદ્યોગો, પાવર પ્લાન્ટ્સ અને સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન(PNG-CNG) પરનું દબાણ ઘટી જશે. ઓઇલ સસ્તું થવાથી ભારતનો આયાત ખર્ચ ઘટશે.
સંપૂર્ણ સ્થિતિ સામાન્ય થવામાં હજુ થોડો સમય લાગશે
માર્ચ મહિનામાં ઈરાની મિસાઇલ હુમલા અને પ્રાદેશિક સંઘર્ષને કારણે કતારના વિશાળ 'રાસ લાફાન એલએનજી સંકુલ'ને ઘણું નુકસાન થયું હતું. વૈશ્વિક ગેસ સપ્લાયનો 1/5 ભાગ પૂરો પાડતાં આ પ્લાન્ટના 2 પ્રોડક્શન યુનિટ ભારે ક્ષતિગ્રસ્ત થયા છે, જેને સંપૂર્ણ રીતે ઠીક કરવામાં કદાચ વર્ષો લાગી શકે છે. છતાં નિષ્ણાતો માને છે કે માત્ર 2 મહિનામાં 80% ક્ષમતા પ્રાપ્ત કરવી એ અપેક્ષા કરતાં ઘણી ઝડપી રિકવરી છે.









