US Iran war Impact: મધ્ય પૂર્વમાં સંઘર્ષના કારણે મહારાષ્ટ્ર સહિત દેશભરના ખેડૂતો અને નિકાસકારોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો, મહારાષ્ટ્રથી ખેત ઉત્પાદનો સાથે ગયેલા 800 થી 1000 કન્ટેનર દુબઈના જેબેલ અલી બંદર પર ફસાયા છે. 28 ફેબ્રુઆરી જ્યારથી યુદ્ધ શરૂ થયું ત્યારથી જ કામકાજ ઠપ્પ થઈ ગયું છે. કન્ટેનરનું અલગ અલગ દેશોમાં એક્સપોર્ટ રોકાઈ જતાં લાખો કરોડોનું નુકસાન થઈ રહ્યું છે.
ઘણા શિપમેન્ટ બંદર પર ફસાયા
દુબઈનું જેબેલ અલી બંદર મધ્ય પૂર્વનું એક મુખ્ય પોર્ટ છે. જે ખાડી ક્ષેત્રોમાં ભારત સહિત અનેક દેશોના ખેત ઉત્પાદનોનું વિતરણનું મહત્વનું કેન્દ્ર છે. જો કે યુદ્ધ બાદ સ્થિતિ તંગ થઈ જતાં કામકાજ સંપૂર્ણ રીતે ઠપ્પ થઈ ગયું છે. જે કારણે દુબઈ પહોંચેલા કે ભારતથી જઈ રહેલા ઘણા શિપમેન્ટ બંદર પર ફસાઈ ગયા છે.
ખેડૂતોને મોટું નુકસાન
ફસાયેલા કન્ટેનરોમાં મુખ્ય રૂપે ઓછા ટકી શકે તેવા કેળા, દ્રાક્ષ, દાડમ, તરબૂચ, પાંદડાવાળા શાકભાજી અને ડુંગળીનો સમાવેશ થાય છે. જે મોટા ભાગે મહારાષ્ટ્રથી નિકાસ થાય છે. કન્ટેનરો અટવાઈ જતાં હવે તે ખરાબ થઈ જવાની ભીતિ છે. જેનો મતલબ છે કે નિકાસકારોને ભારે નુકસાન થશે, કારોબારો ઓછો થતાં જેની સીધી અસર ખેડૂતોને થશે. ઈરાનના બંદરો પર ફળફ્રૂટની નિકાસ કરતાં 600-700 કન્ટેનર ફસાયેલા છે
સહાય આપવા અને યોજના શરૂ કરવામાં માગ
મુંબઈના જવાહરલાલ નેહરુ બંદર (JNPT) પર દુબઈ જનારી દ્રાક્ષના લગભગ 80 કન્ટેનર અત્યાર સુધીમાં અનલોડ જ થયા નથી. નાસિકથી નિકાસ માટે આવી રહેલા 200થી વધુ કન્ટેનર બંદર બહાર ફસાયેલા છે. જેથી ભારે જામ પણ લાગી ગયો છે. ખેડૂત સંગઠનોએ સરકારી સહાયની માગ ઉઠાવતા કહ્યું છે કે, પ્રતિ ક્વિન્ટલ 1500 રૂપિયાની સબસિડી સાથે ફસાયેલા કન્ટેનરોને બંદર વેરાથી પણ માફી આપવામાં આવે. નિકાસકારોની સહાય માટે એક અસ્થાયી ખરીદ યોજના લાગુ કરવામાં આવે જેથી તેમના આર્થિક નુકસાનમાં થોડી ભરપાઈ થાય.
આ ઉપરાંત ખાંડની નિકાસમાં પણ મોટો ફટકો પડે તેવા એંધાણ છે, કેન્દ્રએ આ સિઝન માટે 20 લાખ ટન ખાંડના નિકાસની મંજૂરી આપી છે. પરંતુ નિકાસકારોનું અનુમાન છે કે હાલની સ્થિતિઓને કારણે માત્ર 5 લાખ ટન ખાંડ જ વિદેશની બજારો સુધી પહોંચાડી શકાશે.


