Get The App

પાકિસ્તાન હજુ પણ આતંકીઓનું ગઢ, ત્યાં ભારતના શત્રુઓ સુરક્ષિત, અમેરિકાના રિપોર્ટે પોલ ખોલી

Updated: Mar 28th, 2026

GS TEAM

Google News
Google News
પાકિસ્તાન હજુ પણ આતંકીઓનું ગઢ, ત્યાં ભારતના શત્રુઓ સુરક્ષિત, અમેરિકાના રિપોર્ટે પોલ ખોલી 1 - image

AI Image 


US CRS Report Pakistan Terror : અમેરિકાની પ્રતિષ્ઠિત 'કોંગ્રેસ રિસર્ચ સર્વિસ'(CRS)ના તાજેતરના રિપોર્ટમાં પાકિસ્તાનને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે. રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન હજુ પણ ભારત વિરોધી આતંકવાદી સંગઠનોનું ગઢ બનેલું છે અને ત્યાંની ધરતી પરથી લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા સંગઠનો કોઈપણ રોકટોક વગર પોતાનું નેટવર્ક ચલાવી રહ્યા છે.

ભારત અને કાશ્મીર પર આતંકીઓનું ધ્યાન

25 માર્ચે જાહેર થયેલા 'ઇન ફોકસ' રિપોર્ટમાં કુલ 15 આતંકવાદી સંગઠનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે પાકિસ્તાનમાં કાર્યરત આ સંગઠનોનું મુખ્ય લક્ષ્ય જમ્મુ-કાશ્મીર અને ભારત છે. આ સંગઠનોમાં લશ્કર-એ-તૈયબા (LeT), જૈશ-એ-મોહમ્મદ (JeM), હરકત-ઉલ-જિહાદ ઇસ્લામી (HUJI), હરકત-ઉલ-મુજાહિદ્દીન (HuM) અને હિઝબુલ મુજાહિદ્દીન(HM)નો સમાવેશ થાય છે, જેમને અમેરિકાએ પહેલેથી જ વિદેશી આતંકવાદી સંગઠન જાહેર કરેલા છે.

પ્રમુખ સંગઠનોની વર્તમાન સ્થિતિ

લશ્કર-એ-તૈયબા (LeT): હાફિઝ સઈદના નેતૃત્વ હેઠળનું આ જૂથ હાલમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) અને પંજાબ પ્રાંતમાં સક્રિય છે. પ્રતિબંધોથી બચવા માટે આ સંગઠને પોતાનું નામ બદલીને 'જમાત-ઉદ-દાવા' કરી લીધું છે અને તેમની પાસે હજારો લડાયક આતંકીઓ છે.

જૈશ-એ-મોહમ્મદ (JeM): મસૂદ અઝહર દ્વારા સ્થાપિત આ સંગઠન પાસે આશરે 500 હથિયારબંધ આતંકીઓ છે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય જમ્મુ-કાશ્મીરને પાકિસ્તાનમાં ભેળવવાનો છે. આ સંગઠને તો અમેરિકા સામે પણ યુદ્ધની જાહેરાત કરી રાખી છે.

હિઝબુલ મુજાહિદ્દીન (HM): આ કાશ્મીર-કેન્દ્રિત સંગઠન પાસે 1500 જેટલા કેડર છે, જેઓ કાશ્મીરની આઝાદીની માંગ કરે છે.

પાકિસ્તાનનું બેવડું ચરિત્ર: પીડિત અને સમર્થક

દક્ષિણ એશિયાના નિષ્ણાત કે. એલન ક્રોનસ્ટેડ દ્વારા તૈયાર કરાયેલ આ રિપોર્ટમાં પાકિસ્તાનને 'પીડિત અને સમર્થક' બંને તરીકે દર્શાવવામાં આવ્યું છે. એક તરફ ઇસ્લામાબાદ બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વાના આંતરિક વિદ્રોહથી પીડાઈ રહ્યું છે, તો બીજી તરફ તે ભારતને નિશાન બનાવતા આતંકી નેટવર્કોની યજમાની કરી રહ્યું છે. પાકિસ્તાનની મદરેસાઓમાં હજુ પણ એવી વિચારધારા ભણાવવામાં આવે છે જે હિંસક ઉગ્રવાદને પ્રોત્સાહન આપે છે.

ભારતના વલણને મળ્યું સમર્થન

ભારત લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય મંચો પર પાકિસ્તાન પ્રેરિત સરહદ પારના આતંકવાદનો મુદ્દો ઉઠાવતું રહ્યું છે. અમેરિકાના આ તાજા રિપોર્ટે ભારતના પક્ષને વધુ મજબૂત બનાવ્યો છે. રિપોર્ટમાં સ્પષ્ટ કહેવાયું છે કે 2014ના 'નેશનલ એક્શન પ્લાન' છતાં પાકિસ્તાન આતંકી સંગઠનોને ખતમ કરવામાં કાં તો અસમર્થ છે અથવા તો તેની ઇચ્છાશક્તિનો અભાવ છે.