Muhoozi Kainerugaba controversy | યુગાન્ડાના આર્મી ચીફ મુહૂઝી કૈનેરુગાબાએ ફરી એકવાર વિચિત્ર માંગણીઓ કરતા દુનિયાભરમાં ખળભળાટ મચાવી દીધો છે. હવે તેમણે તૂર્કિયે પાસે $1 અબજ ડોલર અને 'તૂર્કિયેની સૌથી સુંદર યુવતી'ની પત્ની તરીકે માંગ કરીને સૌને ચોંકાવી દીધા છે. આ ટિપ્પણી વાઇરલ થઈ જતા સોશિયલ મીડિયા અને દુનિયાભરના રાજદ્વારી વર્તુળોમાં તેમની જોરશોરથી ટીકા થઈ રહી છે.
કોણ છે મુહૂઝી કૈનેરુગાબા અને શું છે તેમની માંગ
મુહૂઝી કૈનેરુગાબા યુગાન્ડાના ચીફ ઓફ ડિફેન્સ ફોસર્સ છે. એટલું જ નહીં, તેઓ યુગાન્ડાના લાંબા સમયથી સત્તા પર રહેલા રાષ્ટ્રપતિ યોવેરી મુસેવેનીના પુત્ર પણ છે. તેમણે એક્સ પર લખ્યું છે કે, ‘તૂર્કિયે પાસેથી $1 અબજ ડોલર ઉપરાંત હું તે દેશની સૌથી સુંદર યુવતીને પત્ની બનાવવા ઇચ્છું છું. જો આ માંગણીઓનો સ્વીકાર નહીં કરાય, તો અમે તૂર્કિયે સાથેના તમામ રાજદ્વારી સંબંધો તોડી નાંખીશું.’
વાત એમ છે કે, આ 1 લાખ કરોડ ડોલરની માંગ અચાનક નથી આવી. કૈનેરુગાબાનું કહેવું છે કે, યુગાન્ડાના સૈનિકો છેલ્લા 20 વર્ષથી સોમાલિયામાં આતંકવાદ સામે લડી રહ્યા છે. આ જ કારણસર તૂર્કિયે સોમાલિયામાં વ્યાપારી ફાયદા ઉઠાવી શક્યું છે.
આ કારણસર કૈનેરુબાના માને છે કે યુગાન્ડાએ જે બલિદાન આપ્યા તેનો બદલો મળવો જોઈએ. 'સુરક્ષા ડિવિડન્ડ' રૂપે અમને $1 અબજ ડોલર મળવા જોઈએ. જો તૂર્કિયે નાણાં નહીં આપે તો યુગાન્ડા તૂર્કિયેમાં દૂતાવાસ બંધ કરી દેશે.
સોશિયલ મીડિયા પર મજાક અને ટીકા
કૈનેરુબાનાની આવી ભદ્દી સોશિયલ મીડિયા પોસ્ટ વાઇરલ થતાં જ યુઝર્સે તેના પર જોરદાર પ્રતિક્રિયાઓ આપી. કોઈએ તેને 'બ્લેક ફ્રાઈડે' સોદા સાથે સરખાવ્યો તો કોઈએ કૈનેરુબાનાને 'મગજ' ખરીદવાની સલાહ આપી છે. એક તૂર્કિયે યુઝરે તો કહ્યું કે, ‘જે કૂતરાનું મોત નજીક આવે છે, તે મસ્જિદની દીવાલ પર પેશાબ કરે છે.’
એટલું જ નહીં, દુનિયાના અનેક રાજકીય નિષ્ણાતોએ આ ટિપ્પણીને ભદ્દી અને અપરિપક્વ ગણાવી છે.
ઈટાલીના વડાંપ્રધાન મેલોની અંગે પણ અણછાજતી માંગ
આ પહેલીવાર નથી થયું જ્યારે કૈનેરુગાબાએ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હોય. અગાઉ તેમણે ઈટાલીના વડાંપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે લગ્ન કરવાની દરખાસ્ત કરી હતી અને તેમના બદલામાં '100 ગાય' આપવાની ઓફર કરી હતી.
એટલું જ નહીં, એ વખતે પણ તેમણે કહ્યું હતું કે, જો ઈટાલી મારી ઓફર નહીં સ્વીકારે, તો અમે રોમ પર હુમલો કરીશું!
કૈનેરુગાબાની માંગનો તૂર્કિયેએ આપ્યો જવાબ
અત્યાર સુધી તૂર્કિયે સરકારે આ અજીબ માંગણીઓ પર કોઈ સત્તાવાર જવાબ આપ્યો નથી. રાજદ્વારી નિષ્ણાતો માને છે કે આ ઘટના પાછળ યુગાન્ડા અને તૂર્કિયે વચ્ચે ચાલી રહેલી તણાવપૂર્ણ વાટાઘાટો છે, જેમાં સોમાલિયા, રેલવે કોન્ટ્રાક્ટ અને આતંકવાદી નેતા મનાતા ‘ફેથુલ્લાહ ગુલેન’ની માંગણી જેવા મુદ્દા છે.
જો કે, કોઈ દેશના ચીફ ઓફ ડિફેન્સ ફોર્સ સોશિયલ મીડિયા પર અણછાજતી માંગણીઓ કરે અને ધમકીઓ આપે, તો બે દેશ વચ્ચેના સંબંધ સંપૂર્ણપણે ખતમ થઈ શકે છે.


