World

9/11 હુમલામાં માર્યા ગયેલા બે લોકોની 22 વર્ષ બાદ ઓળખ થઈ, હજી પણ 40 ટકા મૃતકો ગુમનામ

By GS Team
10 Sep 20232 mins read
This article was originally published on 10 Sep 2023
9/11 હુમલામાં માર્યા ગયેલા બે લોકોની 22 વર્ષ બાદ ઓળખ થઈ, હજી પણ 40 ટકા મૃતકો ગુમનામ

Image Source: Twitter

ન્યૂયોર્ક, તા. 10 સપ્ટેમ્બર 2023

અમેરિકામાં 2001માં 11 સપ્ટેમ્બરે વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા આતંકી હુમલામાં માર્યા ગયેલા વધુ બે લોકોની ઓળખ હવે થઈ છે.

9/11 તરીકે ઓળખાતા આતંકી હુમલાની 22મી વરસીના ગણતરીના દિવસો પહેલા ડીએનએ ટેસ્ટિંગ થકી મૃતકોની ઓળખ કરવામાં સત્તાધીશોને સફળતા મળી છે.મેયર કાર્યાલયનુ કહેવુ છે કે, મરનારના પરિવારોના અનુરોધના કારણે અમે તેમની ઓળખ છુપાવી છે. તેમને અત્યાર સુધી મૃતક નંબર 1648 અને 1649 નંબર આપવામાં આવ્યો હતો.

જેમની ઓળખ થઈ છે તે પૈકી એક મહિલા અને એક પુરુષ છે. ડીએનએ ટેસ્ટિંગ માટે તાજેતરમાં જ અપનાવવામાં આવેલી નેક્સ્ટ જનરેશન સિક્વન્સિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે અત્યારની ડીએનએ ટેસ્ટિંગ ટેકનોલોજી કરતા ઘણી એડવાન્સ છે. અમેરિકન સેના લાપતા સૈનિકોના અવશેષોની ઓળખ કરવા માટે આ ટેકનિકનો ઉપયોગ કરે છે.

ઉલ્લેખનીય છે કે, આટલી એડવાન્સ ડીએનએ ટેસ્ટિંગ ટેકનોલોજી છતા પણ 9/11 હુમલામાં માર્યા ગયેલા 40 ટકા એટલે કે 1100 જેટલા લોકો આજે પણ ગુમનામ છે. જ્યારે આ હુમલો થયો ત્યારે લોઅર મેનહટ્ટન વિસ્તારમાં કુલ 2753 લોકોના લાપતા થવાની સૂચના મળી હતી. તમામના ડેથ સર્ટિફિકેટ પણ જાહેર કરવામાં આવ્યા હતા.

ન્યૂયોર્કના સત્તાધીશોનુ કહેવુ છે કે, આ હુમલામાં માર્યા ગયેલા લોકોની ઓળખ માટે અમેરિકાના ઈતિહાસમાં સૌથી જટીલ કહેવાય તેવી ફોરેન્સિક તપાસ કરવામાં આવી રહી છે. અમને લાગે છે કે, બે લોકોની થયેલી ઓળખ તેમના પરિવારોને થોડા ઘણે અંશે રાહત પૂરી પાડશે.