Get The App

યુદ્ધ ખતમ કરવા ઇરાન અને અમેરિકાને મનાવી શકે એવો દેશ વચ્ચે પડ્યો, શું હવે મામલો થાળે પડશે?

Updated: Mar 23rd, 2026

GS TEAM

Google News
Google News
યુદ્ધ ખતમ કરવા ઇરાન અને અમેરિકાને મનાવી શકે એવો દેશ વચ્ચે પડ્યો, શું હવે મામલો થાળે પડશે? 1 - image


Turkey Intervenes in US-Iran War: અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવ અને મિડલ ઈસ્ટમાં ફાટી નીકળેલા યુદ્ધને રોકવા માટે હવે તૂર્કિયેએ મધ્યસ્થીના પ્રયાસો તેજ કર્યા છે. રવિવારે તૂર્કિયેના વિદેશ મંત્રી હાકાન ફિદાન દ્વારા અમેરિકા, ઈરાન અને યુરોપિયન યુનિયન સહિતના વિવિધ પક્ષો સાથે ગહન ચર્ચા કરવામાં આવી હોવાના અહેવાલ છે.

તૂર્કિયેના વિદેશ મંત્રીએ મોરચો સંભાળ્યો

રાજનૈતિક સૂત્રોના જણાવ્યા અનુસાર, તૂર્કિયેના વિદેશ મંત્રી હાકાન ફિદાન દ્વારા ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી, ઇજિપ્તના વિદેશ મંત્રી બદ્ર અબ્દેલાતી અને યુરોપિયન યુનિયનના વિદેશ નીતિના વડા કાજા કલ્લાસ સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી છે. આ ચર્ચાનો મુખ્ય ઉદ્દેશ્ય અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધી રહેલી હિંસાને અટકાવવાનો અને શાંતિ સ્થાપવા માટેના ઉપાયો શોધવાનો હતો.

નેતન્યાહૂની ચેતવણી: 'ઈરાન સમગ્ર વિશ્વ માટે જોખમ'

બીજી તરફ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ દક્ષિણ ઈઝરાયલના અરાદ શહેરની મુલાકાત લીધી હતી, જ્યાં શનિવારે ઈરાને મિસાઈલ હુમલા કર્યા હતા. નેતન્યાહૂએ આક્રમક તેવરમાં જણાવ્યું કે, "ડિએગો ગાર્સિયા પર ઈરાનના તાજેતરના હુમલા સાબિત કરે છે કે તે યુરોપ સુધી પહોંચવાની ક્ષમતા ધરાવે છે અને તે માત્ર ઈઝરાયેલ માટે જ નહીં પણ સમગ્ર વિશ્વ માટે ખતરો છે." તેમણે વધુમાં ઉમેર્યું કે અમેરિકા અને ઈઝરાયલ આ જોખમ સામે સાથે મળીને લડી રહ્યા છે.

પરમાણુ કેન્દ્ર પર નિશાન: 180થી વધુ લોકો ઘાયલ

ઈરાન દ્વારા ઈઝરાયેલના ડિમોના અને અરાદ શહેરો પર ભીષણ મિસાઈલ હુમલા કરવામાં આવ્યા છે. આ હુમલાનો મુખ્ય હેતુ ડિમોના પાસે આવેલા 'શિમરોન પેરેઝ નેગેવ પરમાણુ સંશોધન કેન્દ્ર'ને નિશાન બનાવવાનો હતો. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે ઈઝરાયેલ દ્વારા નતાન્ઝ પરમાણુ કેન્દ્ર પર કરવામાં આવેલા હુમલાનો આ બદલો છે. આ હુમલામાં 180થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાં બે બાળકો સહિત 11 લોકોની હાલત નાજુક છે.

ભારત સરકાર પણ એલર્ટ

મિડલ ઈસ્ટની આ ગંભીર સ્થિતિને જોતા ભારત સરકાર પણ એક્શન મોડમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હાઈ-લેવલ મીટિંગ બોલાવવામાં આવી છે. ભારતનું મુખ્ય ધ્યાન દેશમાં ઉર્જા પુરવઠો (ક્રૂડ ઓઈલ અને ગેસ) ખોરવાય નહીં અને મોંઘવારી પર કાબૂ રહે તે બાબત પર કેન્દ્રિત છે.