ભારતીયોના કારણે અમેરિકનોને નોકરીઓ મળતી નથી : એરિક
એરિક શ્મિટ્ટે હૈદરાબાદના ચિલકુર બાલાજી મંદિરને વિઝા ટેમ્પલ ગણાવીને સોશિયલ મીડિયામાં ફોટો મૂકતા વિવાદ
રિપબ્લિકન સેનેટર એરિક શ્મિટ્ટે સોશિયલ મીડિયામાં એક પછી એક પોસ્ટ મૂકીને એચ-૧બી વિઝાની ટીકા કરી હતી. તેણે કહ્યું હતું કે એચ-૧બી વિઝા કેટેગરી સદંતર બંધ કરી દેવી જોઈએ. એચ-૧બી વિઝા મેળવીને વિદેશીઓ અમેરિકામાં આવે છે. તેના કારણે અમેરિકન કંપનીઓ સ્થાનિકોને નોકરીએ રાખતી નથી. સસ્તા વિદેશી કર્મચારીઓને નોકરીએ રાખી લે છે. ત્યારબાદ એ વિઝાધારકો કાયમી વરસાદ માટે ગ્રીનકાર્ડ મેળવી લે છે.
આ ટીપ્પણી કરવામાં ભાન ભૂલેલા એરિક શ્મિટ્ટે બાલાજી મંદિરનું પણ અપમાન કર્યું હતું. તેણે ફોટો પોસ્ટ કરીને ભારતીયોની ટીકા કરતા લખ્યું કે વિઝા કાર્ટલને હૈદરાબાદમાં પોતાનું વિઝા ટેમ્પલ પણ છે, જ્યાં અનેક ભારતીયો વિઝા મંજૂર થાય તે માટે પાસપોર્ટ લઈને પ્રાર્થના કરવા જાય છે. અમેરિકન કર્મચારીઓએ આ પ્રકારની સિસ્ટમનો સામનો કરવાની જરૂર નથી. આ સિસ્ટમ તુરંત બંધ કરવી જોઈએ. મંદિરનો ફોટો પોસ્ટ થયો એ પછી અનેક ભારતીય મૂળના નાગરિકોએ અને ડેમોક્રેટિક પાર્ટીના સમર્થક ભારતીયોએ આ નેતાની ટીકા કરી હતી. એ વાત સાચી કે હૈદરાબાદમાં ચિલકુર બાલાજી મંદિરમાં અનેક ભારતીયો એચ-૧બી વિઝા મંજૂર થાય તે માટે દર્શન કરવા જાય છે. એવા ઘણાં મંદિરો છે જ્યાં ભારતીયો આ રીતે વિઝા મંજૂરી માટે ભગવાનને અરજ કરે છે, પરંતુ આ આસ્થા પર વ્યંગ કરવો તે બિલકુલ યોગ્ય નથી એમ કહીને ઘણાં લોકોએ ઓનલાઈન એરિકની ઝાટકણી કાઢી હતી.


