- ઈરાનના રીવોલ્યુશનરી ગાર્ડઝ ખાસ પ્રકારની તાલિમ લઈ રહ્યા છે, મોટા જહાજો ખતમ થયા છે પરંતુ નાના જહાજો ભીંસ પાડી શકે તેમ છે
તહેરાન : એક તરફ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર કહી રહ્યા છે કે ઈરાનનું નૌકાદળ ખતમ થઈ ગયું છે. છતાં ઈરાન સમુદ્રીય યુધ્ધની ધમકી કયાં જોરે આપે છે ? તે કહે છે કે જો હોર્મુઝની નાકાબંધી ખત્મ નહીં કરાય તો તે રાતા-સમુદ્ર દ્વારા એક પણ જહાજ પસાર થવા નહીં દે. પ્રશ્ન તે છે કે આવી ધમકી તે કયા જોરે આપે છે ?
સામાન્ય માન્યતા તેવી છે કે, કોઇ પણ દેશની નૌ સેના શક્તિ મોટા જહાજો ઉપર આધારિત હોય છે. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઇ છે. નાના-નાના યુધ્ધ જહાજો, નાના-નાના શસ્ત્રો, અને ડ્રોન્સ ભારે નુકસાન કરી શકે તેવા હુમલા પણ કરી શકે તેમ છે.
ઈરાન હોર્મુઝ ઘેરાબંધી પછી આવી નીતિ અપનાવી રહ્યું છે. તે ભલે તેની પારંપરિક નૌ-સેના નિર્બળ થઈ હોય છતાં તેના નાના નાના યુધ્ધ જહાજો ભારે ઉપાધી કરી શકે તેમ છે. જે વૈશ્વિક તેલ પુરવઠા માટે ખતરારૂપ બની શકે તેમ છે.
(૧) ઈરાનનું નૌકાદળ પહેલા ખાડી દેશોમાં સૌથી બળવાન નૌકાદળ હતું. હવે મોટા જહાજ ખતમ થતાં તેના સૈનિકો નાના જહાજો માટે ટ્રેઇનિંગ લઈ રહ્યા છે. તેઓ માઇન્સ, ડ્રોન-સી-૪ નો ઉપયોગ કરી શકે તેમ છે.
(૨) યમનમાં તેના પાલતુ હૂથી ઉગ્રવાદીઓ છે. તેઓ પશ્ચિમના દેશોના કટ્ટર દુશ્મન છે. તેઓ હુમલા કરી વ્યાપારી જહાજો લૂંટી પણ લઇ શકે તેમજ તેમના ડરથી વ્યાપારી જહાજો આવતાં જતાં પણ બંધ થઈ જાય. રાતા સમુદ્રનો માર્ગ જ તેમને માટે મુશ્કેલ બની જાય.
સઉદી અરબસ્તાનના રાતા સમુદ્ર ઉપરનાં યતીબુ પોર્ટ ઉપરથી રોજ ૭૦ લાખ બેરલ તેલ નિકાસ કરે છે. એક તરફ હોર્મુઝથી જતો તેલ પૂરવઠો બંધ થાય તેમાં રાતા-સમુદ્ર તરફ આવતો પૂરવઠો પણ બંધ થાય તો ભારે મોટુ સંકટ ઉભુ થાય તેમ છે. તેલના ભાવ બેરલ દીઠ ઉંચા જતા જાય પાછળ બધી જ ચીજોના ભાવ વધે વૈશ્વિક અર્થતંત્ર પર પણ તેની ઘેરી અસર પડે.


