- સુપ્રીમના ચુકાદા પછી ટેરિફ લાદવા ટ્રમ્પના ફરી હવાતિયા
- પરાણે મજૂરી કરાવી બનાવવામાં આવતા ઉત્પાદનોનું બહાનું ધરી કુલ 54 દેશો પર ટ્રમ્પની ટેરિફ લાદવાની તૈયારી
- છ દેશો પર 10 ટકા ટેરિફ લદાશે, 22 જૂન સુધી સુનાવણી થશે અને સાત જુલાઈથી સેકશન 301 અમલી બનશે
- દિલ્હીમાં એકબાજુ ભારત સાથે વચગાળાના ટ્રેડ ડીલની મંત્રણા અને બીજી બાજુએ અમેરિકાનો ટેરિફનો દાવ
નવી દિલ્હી : ઇરાન યુદ્ધમાં બરોબરની પછડાટ ખાનારા અમેરિકન પ્રમુખ ટ્રમ્પ હવે ભારત, ચીન અને જાપાન સહિત વિશ્વના ૬૦ દેશો પર ૧૨.૫ ટકા ટેરિફ લાદવાની તૈયારી કરી રહ્યા છે. અમેરિકાએ ભારત સહિત વિશ્વના ઘણા બધા દેશો પર આયાત થતાં ઉત્પાદનો પર નવા ટેરિફ લાદવાનો પ્રસ્તાવ મૂક્યો છે. અમેરિકાએ આ માટે ભારતમાં બળજબરી મજૂરી કરાવવામાં આવતી હોવાનું બ્હાનું કાઢ્યું છે.
ટ્રમ્પને ટેરિફના મોરચે સુપ્રીમ કોર્ટમાંથી પછડાટ મળ્યા પછી તે વિશ્વના વિવિધ દેશો પર કોઈને કોઈ રીતે ટેરિફ લાદવા પ્રયત્નશીલ છે. અમેરિકાનો દાવો છે કે ભારત પોતાને ત્યાં બળજબરીથી કરાવવામાં આવતા કામ પર પ્રતિબંધ લગાવે. જો આમ ન થયું તો અમેરિકન કાયદા હેઠળ તેના પર પ્રતિબંધ લાદી શકે છે. ટ્રમ્પ સરકારે ભારતના સ્ટીલ અને એલ્યુમિનિયમ ઉત્પાદનો પર ભારે ટેક્સ લગાવ્યો છે. ટ્રેડ ડીલ હેઠળ ભારત તેને હટાવવા માંગે છે, જેથી ભારતીય કંપનીઓને અમેરિકન બજારમાં તક મળે.
અમેરિકાએ કેનેડા, મેક્સિકો, યુરોપીયન સંઘ, બ્રિટન અને તાઇવાન જેવા દેશો પાસેથી આયાત થતાં ઉત્પાદનો પર લઘુત્તમ ૧૦ ટકા ટેરિફ લગાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
જ્યારે ભારત, ચીન, જાપાન, દક્ષિણ કોરીયા, બ્રાઝિલ અને સ્વિટ્ઝરલેન્ડ જેવા દેશો પર ૧૨.૫ ટકા ટેરિફનો પ્રસ્તાવ મૂક્યો છે. આશ્ચર્યની વાત તો એ છે કે અમેરિકાએ એકબાજુેએ ભારત સાથે ટ્રેડ ડીલ કરવા વાટાઘાટ કરી રહ્યુ છે અને બીજી બાજુએ તેણે આ પ્રસ્તાવ મૂક્યો છે.
આ મુજબ ૨૨મી જુને તેના અંગે અમેરિકા સમક્ષ જુબાની આપવી પડશે અને સાતમી જુલાઈના રોજ અમેરિકાના વેપાર પ્રતિનિધિ જેમિસન ગ્રીરે જણાવ્યું હતું કે અમેરિકાના ઘણા મોટા ટ્રેડિંગ પાર્ટનર બળજબરીથી થતાં શ્રમથી બનેલા ઉત્પાદનોની નિકાસ રોકવા માટે પૂરતો પ્રયત્ન કરી રહ્યા નથી. તેમણે જણાવ્યું હતું કે આ સ્થિતિ અમેરિકન શ્રમિકો માટે હરીફાઈ પેદા કરે છે. હવે અમેરિકા આ અંતરને વધારે સહન નહીં કરે. ગ્રીરે જણાવ્યું હતું કે કેટલાક દેશોએ પ્રારંભિક પગલાં ઉઠાવ્યા છે, પરંતુ બધા ટ્રેડિંગ પાર્ટનર્સે તે સુનિશ્ચિત કરવું પડશે કે ગ્લોબલ ટ્રેડ પરાણે કરાવવામાં આવતી મજૂરીને પ્રોત્સાહન ન આપે.
હવે જો આ પ્રસ્તાવનો અમલ થાય છે તો ભારતીય નિકાસકારોને અમેરિકામાં સ્પર્ધા કરવી અઘરી પડી શકે છે. તેમા પણ ખાસ કરીને એન્જિનિયરિંગ સામાન, ટેક્સ્ટાઇલ, રસાયણ, ફાર્મા અને અન્ય નિકાસલક્ષી સેક્ટર પર અસર પડી શકે છે. જો કે આ હજી પ્રસ્તાવિત પગલું છે અને અંતિમ નિર્ણય જાહેર સલાહ અને સુનાવણી માટે લેવામાં આવશે.
અમેરિકન વહીવટીતંત્રએ આ પ્રસ્તાવ પર છ જુલાઈ સુધીના લેખિત ઠરાવ મંગાવ્યા છે. તેના પછી સાત જુલાઈથી સેકશન ૩૦૧ પેનલ જાહેર સુનાવણી શરુ કરશે. આ સુનાવણીના આધારે આગળની કાર્યવાહી નકકી થશે. ટ્રમ્પ પહેલાં પણ ટેરિફ લગાવવાનો પ્રયત્ન કરી ચૂક્યા છે, પરંતુ સુપ્રીમ કોર્ટે તે ફગાવી દીધા હતા. તેના પગલે ટ્રમ્પ તંત્રએ હવે સેકશન ૩૦૧ હેઠળની તપાસનો આશરો લીધો છે. જીટીઆરઆઈના સ્થાપક અજય શ્રીવાસ્તવનું કહેવું છે કે ભારત અમેરિકાના ૧૨.૫ ટકાના ટેરિફને પડકારી શકે છે, તેમણે જણાવ્યું હતું કે ભારત દલીલ કરી શકે છે કે અમેરિકા સેકશન ૩૦૧માં ન આવતા હોવા છતાં પણ તેનું આયાત-અંકુશિત માળખુ તેના વિવેકમુનસફી મુજબના પગલાં મુજબ બીજા દેશો પર લાદવાનો પ્રયત્ન કરી રહ્યું છે.
ભારત શું કામ ટેરિફના અડફેટે ચઢ્યું
અમેરિકાના વેપાર પ્રતિનિધિ જેમિસન ગ્રીરે જણાવ્યું હતું કે અમેરિકાના ઘણા ટ્રેડિંગ પાર્ટનર પરાણે કરાવાતી મજૂરીથી બનેલા ઉત્પાદનોની આયાત રોકવા પૂરતા પ્રયત્નો કરી રહ્યા નથી. તેમણે જણાવ્યું હતું કે આ સ્થિતિ અમેરિકન શ્રમિકો માટે અસમાન સ્થિતિ સર્જે છે. અમેરિકાના બધા ટ્રેડિંગ પાર્ટનર્સે તે નક્કી કરવું પડશે કે તે જબરદસ્તી કરાવાતી મજૂરીને પ્રોત્સાહન ન આપે. હવે જો આ પ્રસ્તાવ લાગુ પડે છે તો ભારતીય નિકાસકારો માટે અમેરિકન બજારમાં સ્પર્ધા કરવી અઘરી પડશે.તેમા પણ ખાસ કરીને એન્જિનિયરિંગ સામાન, ટેક્સટાઇલ, રસાયણ, ફાર્મા અને અન્ય નિકાસ પર અસર પડી શકે છે. આ હજી ફક્ત પ્રસ્તાવિત પગલું છે. યુએસટીઆરની તપાસમાં તે જોવા મળ્યું કે ભારત તે ૫૪ અર્થતંત્રોમાં સામેલ છે જે જબરદસ્તીથી કરાવાતી મજૂરી દ્વારા બનાવાયેલા ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ લગાવવામાં નિષ્ફળ ગયું છે. અમેરિકન રિપાર્ટ મુજબ ભારતની આ નિષ્ફળતા અમેરિકન વેપાર પર એક બિનજરુરી બોજ નાખે છે. અહેવાલમાં કહેવાયું હતું કે જબરદસ્તીથી કરાવાતી મજૂરી સાથે જોડાયેલા આયાત પ્રતિબંધ લગાવવા અને તેને અસરકારક રીતે અમલી બનાવવામાં તેની નિષ્ફળતા સાથે સંલગ્ન ભારતના કાર્ય, નીતિઓ અને પદ્ધતિઓ અયોગ્ય છે અને અમેરિકાના કારોબાર પર બોજો નાખે છે.


