India-America: ભારતની આઝાદીને લઈને અમેરિકાના ન્યૂયોર્ક રાજ્યમાંથી એક મોટા સન્માનની તક સામે આવી છે. ન્યૂયોર્ક સ્ટેટ સેનેટે એક પ્રસ્તાવ પાસ કરીને રાજ્યપાલ કેથી હોચુલને અપીલ કરી છે કે તેઓ 15 ઓગસ્ટ 2026ને સત્તાવાર રીતે "ઈન્ડિયા ઈન્ડિપેન્ડન્સ ડે" જાહેર કરે. આ પહેલને ભારત અને અમેરિકાના મજબૂત થઈ રહેલા સંબંધોની સાથે-સાથે ભારતીય-અમેરિકન સમુદાયની વધી રહેલી ઓળખના પ્રતીક તરીકે જોવામાં આવી રહી છે.
વૈશ્વિક સ્તરે ભારતના યોગદાનની પ્રશંસા
આ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન ન્યૂયોર્કના સાંસદોએ ભારતની લોકતાંત્રિક પરંપરાઓ, હજારો વર્ષ જૂની સભ્યતા અને વૈશ્વિક સ્તરે તેના યોગદાનની પ્રશંસા કરી. આ સાથે જ અમેરિકામાં ભારતીય મૂળના લોકોની સિદ્ધિઓ પર પણ વિશેષ રૂપે ચર્ચા કરવામાં આવી.
મહાત્મા ગાંધીના વિચારોનો ઉલ્લેખ
આ પ્રસ્તાવ રજૂ કરનાર સિનેટર જેરેમી એ. કૂની (Jeremy A. Cooney)એ કહ્યું કે વિશ્વભરમાં ભારતીયો પોત-પોતાના સમુદાયો પર ઊંડો પ્રભાવ છોડી રહ્યા છે. તેમણે કહ્યું કે, આ તક ભારતના ઇતિહાસ, સંસ્કૃતિ અને વિરાસતનું સન્માન કરવાની છે. બીજી તરફ જોસેફ પી. અડાબો જુનિયરે મહાત્મા ગાંધીના વિચારોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, તેમનો સંદેશ આજે પણ ભારતીય-અમેરિકન સમુદાય અને આવનારી પેઢીઓને પ્રેરણા આપે છે. તેમણે ગાંધીજીના એ વિચારને પણ દોહરાવ્યો કે, 'ભવિષ્ય એ વાત પર નિર્ભર કરે છે કે આપણે વર્તમાનમાં શું કરીએ છીએ.'
ભારતની લોકતાંત્રિક પરંપરા પ્રેરણાદાયી
સિનેટર જોન સી. લિયૂએ ભારતને વિશ્વની સૌથી જૂની સભ્યતાઓમાંથી એક ગણાવતા કહ્યું કે, 'ભારતની લોકતાંત્રિક પરંપરા પ્રેરણાદાયી છે. ભારતીય-અમેરિકનોએ ન્યૂયોર્ક અને સમગ્ર અમેરિકાના વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
અન્ય સાંસદોએ પણ ભારતીય સમુદાયના શિક્ષણ, સામાજિક સેવા અને જાહેર જીવનમાં વધી રહેલી ભાગીદારીની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, ભારતીય-અમેરિકનો આજે સ્થાનિક સમુદાયો, વ્યાપાર, શિક્ષણ અને નાગરિક નેતૃત્વનો એક મહત્ત્વપૂર્ણ હિસ્સો બની ચૂક્યા છે.
ભારતીય વાણિજ્ય દૂતાવાસે આ પ્રસ્તાવને આવકારતા ન્યૂયોર્ક સેનેટનો આભાર માન્યો
આ અવસર પર ન્યૂયોર્ક સ્થિત કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી કોન્સ્યુલ જનરલ વિશાલ હર્ષ અને ભારતીય સમુદાયના પ્રતિનિધિઓનું પણ સેનેટમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતીય વાણિજ્ય દૂતાવાસે આ પ્રસ્તાવને આવકારતા ન્યૂયોર્ક સેનેટનો આભાર વ્યક્ત કર્યો છે. દૂતાવાસે કહ્યું કે, આ ભારતના લોકતાંત્રિક મૂલ્યો અને ભારતીય-અમેરિકન સમુદાયના યોગદાનને મળેલી એક મહત્ત્વપૂર્ણ માન્યતા છે.


