Bangladesh News : બાંગ્લાદેશના ચર્ચિત છાત્ર નેતા શરીફ ઉસ્માન હાદીની હત્યાના મામલે ઢાકા પોલીસે એક સનસનીખેજ દાવો કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, હત્યાના મુખ્ય શંકાસ્પદ આરોપીઓ આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને ભારતના મેઘાલય રાજ્યમાં પ્રવેશી ચૂક્યા છે. આ દાવા બાદ બંને દેશો વચ્ચે રાજદ્વારી સ્તરે હલચલ તેજ થઈ ગઈ છે.
પોલીસનો દાવો અને આરોપીઓની વિગતો
ઢાકા પોલીસના અતિરિક્ત આયુક્ત એસ.એન. નજમુલ ઈસ્લામે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, મુખ્ય શંકાસ્પદ ફૈઝલ કરીમ મસૂદ અને આલમગીર શેખ મયમનસિંહ શહેરની હલુઆઘાટ સરહદ મારફતે ગેરકાયદેસર રીતે ભારતમાં દાખલ થયા છે. પોલીસને શંકા છે કે તેઓ હાલમાં મેઘાલયના તુરા શહેરમાં છુપાયેલા હોઈ શકે છે.
કેવી રીતે સરહદ પાર કરી?
પોલીસ અનુસાર, સ્થાનિક સાથીઓની મદદથી બંનેએ સરહદ પાર કરી હતી. સરહદ પાર કર્યા પછી, 'પૂર્તિ' નામના એક વ્યક્તિએ તેમને રિસીવ કર્યા હતા અને ત્યારબાદ 'સમી' નામના એક ટેક્સી ડ્રાઈવરે તેમને તુરા શહેર સુધી પહોંચાડ્યા હતા. બાંગ્લાદેશી અધિકારીઓનો દાવો છે કે આ બંને મદદગારોની ભારતીય અધિકારીઓએ અટકાયત કરી લીધી છે. હાલમાં, બાંગ્લાદેશ સરકાર આરોપીઓની ધરપકડ અને પ્રત્યાર્પણ સુનિશ્ચિત કરવા માટે ભારત સાથે ઔપચારિક અને અનૌપચારિક માધ્યમોથી સંપર્કમાં છે.
કોણ હતા શરીફ ઉસ્માન હાદી?
32 વર્ષીય શરીફ ઉસ્માન હાદી બાંગ્લાદેશના કટ્ટરપંથી સંગઠન 'ઇન્કિલાબ મંચ'ના પ્રવક્તા અને એક પ્રમુખ છાત્ર નેતા હતા. તેઓ શેખ હસીના સરકાર વિરુદ્ધ ગયા વર્ષે થયેલા 'જુલાઈ વિદ્રોહ'ના મુખ્ય ચહેરાઓમાંથી એક હતા. હાદી આગામી ફેબ્રુઆરી 2026માં યોજાનારી સંસદીય ચૂંટણીમાં ઢાકા-8 મતવિસ્તારમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા હતા. તેઓ ભારતની ક્ષેત્રીય નીતિઓના અને શેખ હસીના સરકાર સાથેના ભારતના સંબંધોના સ્પષ્ટવક્તા ટીકાકાર હતા.
હત્યા અને તે પછી ભડકેલી હિંસા
ઉસ્માન હાદી પર 12 ડિસેમ્બરે મધ્ય ઢાકાના બિજયનગર વિસ્તારમાં તે સમયે હુમલો થયો હતો, જ્યારે તેઓ ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા. મોટરસાઇકલ સવાર હુમલાખોરોએ તેમના માથામાં ગોળી મારી હતી. ગંભીર હાલતમાં તેમને સારવાર માટે સિંગાપોર લઈ જવામાં આવ્યા, જ્યાં 18 ડિસેમ્બરે તેમનું અવસાન થયું. હાદીના મૃત્યુના સમાચાર ફેલાતાની સાથે જ સમગ્ર બાંગ્લાદેશમાં મોટા પાયે હિંસા ફાટી નીકળી હતી.
બાંગ્લાદેશમાં અખબારોને બનાવાયા નિશાન
પ્રદર્શનકારીઓએ 'પ્રોથોમ આલો' અને 'ધ ડેઈલી સ્ટાર' જેવા મોટા અખબારોની ઓફિસોને નિશાન બનાવી આગચંપી કરી હતી. ઢાકાના છાયાનટ ભવન અને ઉદિચી શિલ્પી ગોષ્ઠી જેવા સાંસ્કૃતિક સંગઠનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. હાદીના સમર્થકોએ આ હત્યા પાછળ વિદેશી તાકાતોનો હાથ હોવાનો આરોપ લગાવતા ભારતીય હાઈ કમિશનને બંધ કરવાની પણ માંગ કરી હતી. હાલમાં, બાંગ્લાદેશની વચગાળાની સરકાર પર આ હત્યારાઓને પકડવાનું ભારે દબાણ છે. ઇન્કિલાબ મંચે ચેતવણી આપી છે કે જો જલ્દી ન્યાય નહીં મળે, તો તેઓ દેશવ્યાપી મોટું આંદોલન શરૂ કરશે.


