ઈરાન પર 36 વર્ષ શાસન કરનારા ખામેનેઈની અંતિમવિધિ 6 દિવસ ચાલશે, પુત્ર મોજતબા હાજર નહીં રહે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ali Khamenei Funeral Ceremony Tehran: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભયાનક તણાવ વચ્ચે ઈરાનથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઈરાનના નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈ સુરક્ષાના કારણોસર તેમના દિવંગત પિતા અને ઈરાનના પૂર્વ સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈના જનાઝાના કાર્યક્રમોમાં ભાગ લેશે નહીં. ભારતમાં રહેતા તેમના પ્રતિનિધિ આયતોલ્લાહ હકીમ ઈલાહીના જણાવ્યા અનુસાર, ઇઝરાયેલ તરફથી મળી રહેલી ધમકીઓ અને સર્વેલન્સના જોખમને કારણે મોજતબાનું જાહેરમાં આવવું અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.
4 મહિના બાદ કેમ થઈ રહી છે દફનવિધિ?
ઈરાન પર સતત 36 વર્ષ સુધી શાસન કરનારા અલી ખામેનેઈ ગત 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઇઝરાયેલના હવાઈ હુમલામાં માર્યા ગયા હતા. જેના કારણે મિડલ ઈસ્ટમાં મોટું યુદ્ધ ફાટી નીકળ્યું હતું. સામાન્ય રીતે ઇસ્લામિક કાયદા મુજબ મૃતદેહને 24 કલાકમાં દફનાવવાનો નિયમ છે, પરંતુ ઈરાનમાં યુદ્ધની સ્થિતિ હોવાના કારણે આ એક અપવાદ રાખવામાં આવ્યો હતો. હવે આગામી 4 જુલાઈથી તેહરાનમાં તેમની અંતિમવિધિના કાર્યક્રમો શરૂ થશે અને 9 જુલાઈએ તેમના વતન મશહાદ શહેરમાં દફનવિધિ સાથે પૂર્ણ થશે. આ 6 દિવસીય કાર્યક્રમ દરમિયાન કરોડો લોકો રસ્તા પર ઉતરે તેવી શક્યતા છે.
ભારત તરફથી હાઈપ્રોફાઈલ ડેલિગેશન ઈરાન જશે
ઈરાનના રાષ્ટ્રપ્રમુખ મસૂદ પેઝેશ્કિયાને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ રાજ્યકક્ષાની અંતિમવિધિમાં સામેલ થવા માટે આમંત્રણ આપ્યું હતું. જોકે, પીએમ મોદી પોતે આ પ્રતિનિધિમંડળનો હિસ્સો બને તેવી શક્યતા ઓછી છે. ભારત તરફથી બિહારના ગવર્નર જનરલ સૈયદ હસનૈન અને વિદેશ રાજ્ય મંત્રી પવિત્ર માર્ગેરિટા ઈરાન જશે. આ ઉપરાંત કોંગ્રેસ પક્ષ તરફથી પૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુર્શીદ પણ આ દફનવિધિના કાર્યક્રમોમાં ભાગ લેશે.
શાંતિ કરાર છતાં તણાવ યથાવત
ગયા મહિને જ અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર પર હસ્તાક્ષર થયા હતા, પરંતુ મિડલ ઈસ્ટમાં બંને તરફથી ફાયરિંગ ચાલુ જ છે. તાજેતરમાં જ ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થતા એક કોમર્શિયલ જહાજને નિશાન બનાવ્યું હતું. જેના જવાબમાં અમેરિકાએ ઈરાનના 10 લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ ઈરાને કુવૈત અને બહેરીનમાં આવેલા અમેરિકી સૈન્ય બેઝ પર હુમલા કર્યા હતા. જોકે, કતારના દોહામાં પાકિસ્તાન અને કતારની મધ્યસ્થતાથી ચાલી રહેલી બેઠકો બાદ છેલ્લા કેટલાક દિવસોથી આ હુમલાઓમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે.









