ભારતના પાડોશી દેશમાં ફરી ભયંકર હિંસા, 3 લોકોના મોત, મોરચો સંભાળવા ખુદ PM મેદાને
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Nepal Violence : નેપાળના દક્ષિણ તેરાઈ વિસ્તારમાં બે ધાર્મિક સમુદાયો વચ્ચે થયેલી હિંસક ઝઘડા બાદ સ્થિતિ વધુ વણસી છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરહદને અડીને આવેલા સપ્તારી, સુનસારી, ધાનુષા અને સિરાહા નામના 4 જિલ્લામાં અચોક્કસ મુદતનો કરફ્યુ લાદી દેવામાં આવ્યો છે. આ હિંસામાં અત્યાર સુધીમાં 3 લોકોના મોત થયા છે અને એક સુરક્ષાકર્મી ગોળી વાગવાથી ઘાયલ થયો છે.
હિંસાનું મુખ્ય કારણ
સુનસારી જિલ્લાના કેપ્ટનગંજ વિસ્તારમાં રવિવારે એક ઉત્સવ દરમિયાન બે જૂથો વચ્ચે બોલાચાલી થઈ હતી, જેણે જોતજોતામાં હિંસક રૂપ ધારણ કરી લીધું હતું. આ દરમિયાન એક શોપિંગ મોલમાં પણ આગચંપી કરવામાં આવી હતી. ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે કરેલા ગોળીબારમાં 1 વ્યક્તિનું મોત થયું હતું અને 12 થી વધુ લોકો ઘાયલ થયા હતા. ત્યારબાદ આ હિંસા આસપાસના અન્ય વિસ્તારોમાં પણ ફેલાઈ ગઈ હતી.
વડાપ્રધાનની શાંતિ અપિલ અને આકરા પગલાં
સ્થિતિ કાબૂ બહાર જતાં વડાપ્રધાન બાલેન શાહે કાઠમંડુમાં સર્વદલીય બેઠક બોલાવી હતી. તેમણે દેશજોગ આપેલા સંદેશમાં કહ્યું હતું કે, 'સરકાર આ હિંસાની નિષ્પક્ષ તપાસ કરશે અને દોષિતો સામે સખત કાર્યવાહી કરશે. કોઈ પણ વ્યક્તિએ સોશિયલ મીડિયા પર અફવા કે નફરત ફેલાવતી વાતો શેર કરવી નહીં.'
સરહદી વિસ્તારોમાં એલર્ટ
નેપાળના ગોલબજાર અને લહાન નગરપાલિકા વિસ્તારમાં સેના અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ભારત-નેપાળ સરહદ નજીકના વિસ્તારો હોવાથી ભારતીય સુરક્ષા એજન્સીઓ પણ એલર્ટ થઈ ગઈ છે. સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે.









