લંડનની લક્ઝરી હોટેલમાં સાઉદી પ્રિન્સનું શંકાસ્પદ મોત: ડ્રગ્સ અને દારૂના ઓવરડોઝથી હૃદય બંધ પડી ગયું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Royal Life Ends in Tragedy: લંડનની એક આલીશાન હોટેલમાં સાઉદી અરેબિયાના શાહી પરિવારના 31 વર્ષીય પ્રિન્સ અબ્દુલ્લા બિન ફહદ બિન અબ્દુલ્લા બિન અબ્દુલ અઝીઝ બિન જલાવી અલ સાઉદના રહસ્યમય મોત મામલે લંડનની કોર્ટે મોટો ખુલાસો કર્યો છે. બ્રિટિશ કોર્ટ દ્વારા હાથ ધરવામાં આવેલી સત્તાવાર તપાસના અંતે ન્યાયાધીશે ચુકાદો આપ્યો છે કે, સાઉદી પ્રિન્સનું મોત કોઈ ગુનાહિત કાવતરું કે હત્યા નથી, પરંતુ ડ્રગ્સ અને આલ્કોહોલના જીવલેણ મિશ્રણના સેવનને કારણે સર્જાયેલી 'દુર્ઘટના'નું પરિણામ હતું.
લક્ઝુરિયસ હોટેલના રૂમમાં બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા પ્રિન્સ
આ હાઇ-પ્રોફાઇલ ઘટના 25 નવેમ્બરે લંડનની પ્રતિષ્ઠિત લાન્સબરો હોટેલમાં બની હતી. સાઉદી પ્રિન્સ અબ્દુલ્લા આ હોટેલના 600 પાઉન્ડના એક મોંઘા સ્યુટમાં રોકાયા હતા. તેમના અંગત સ્ટાફે જ્યારે તેમને રૂમમાં કોઈ હિલચાલ વગર બેભાન અવસ્થામાં જોયા, ત્યારે તાત્કાલિક મેડિકલ ઇમરજન્સી ટીમને બોલાવવામાં આવી હતી. પેરામેડિક્સ અને ડોક્ટરોની ટીમે તેમને બચાવવાના તમામ પ્રયાસો કર્યા હતા, પરંતુ સ્થળ પર જ તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
શાહી પરિવારના યુવા સભ્યનું લંડનની મધ્યમાં આ રીતે અચાનક અવસાન થતાં આંતરરાષ્ટ્રીય સ્તરે ખળભળાટ મચી ગયો હતો અને બ્રિટિશ પોલીસ તેમજ ફોરેન્સિક ટીમે તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
પોસ્ટમોર્ટમ અને ટોક્સિકોલોજી રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
વેસ્ટમિન્સ્ટર કોરોનાર્સ કોર્ટમાં ચાલેલી સુનાવણી દરમિયાન પ્રિન્સના પોસ્ટમોર્ટમ અને ટોક્સિકોલોજીના રિપોર્ટ્સ રજૂ કરવામાં આવ્યા હતા. આ મેડિકલ રિપોર્ટ્સમાં સામે આવ્યું છે કે, પ્રિન્સ અબ્દુલ્લાના શરીરમાંથી ભારે માત્રામાં પ્રતિબંધિત ડ્રગ્સ અને આલ્કોહોલના અંશો મળી આવ્યા હતા.
કોર્ટના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, પ્રિન્સે અત્યંત જોખમી સ્તર સુધી કોકેઈન અને અન્ય સિન્થેટિક ડ્રગ્સનું સેવન કર્યું હતું, જેની સાથે તેમણે ભારે માત્રામાં આલ્કોહોલ પણ લીધો હતો. આ બંનેના ઘાતક મિશ્રણને કારણે તેમનું સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ અને હૃદય કામ કરતું બંધ થઈ ગયું હતું, જેને તબીબી ભાષામાં એક્યુટ ડ્રગ એન્ડ આલ્કોહોલ ટોક્સિસિટી કહેવામાં આવે છે.
કોર્ટનો આખરી ચુકાદો: મોત એક 'દુર્ઘટના'
સુનાવણી દરમિયાન કોરોનરે તમામ પુરાવાઓ, હોટેલના સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનોની બારીકાઈથી તપાસ કરી હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે પ્રિન્સના રૂમમાં કોઈ પણ પ્રકારના બળજબરીથી પ્રવેશના કે ઝપાઝપીના ચિહ્નો મળ્યા નથી. તે સિવાય તેમના મૃતદેહ પર પણ કોઈ ઈજાના નિશાન નહોતા, જેથી કોઈ પણ પ્રકારની ફાઉલ પ્લેની શક્યતા નકારી કઢાઈ છે.
ન્યાયાધીશે પોતાના ચુકાદામાં નોંધ્યું કે, સાઉદી પ્રિન્સે સ્વેચ્છાએ જ આ નશાકારક પદાર્થોનું સેવન કર્યું હતું, પરંતુ તેનો હેતુ પોતાનો જીવ લેવાનો નહોતો. જોકે, આ પદાર્થોની માત્રા એટલી વધારે હતી કે તેના અનપેક્ષિત પરિણામે તેમનો જીવ લઈ લીધો. આથી કાયદાકીય પરિભાષામાં આ મૃત્યુને ખોટા સાહસથી સર્જાયેલી દુર્ઘટના તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે.
પ્રિન્સના અંગત જીવનની અંધારી બાજુ અને શાહી પરિવારનું મૌન
બ્રિટિશ મીડિયાના અહેવાલો અનુસાર, પ્રિન્સ અબ્દુલ્લા લાંબા સમયથી લંડનમાં વૈભવી જીવનશૈલી જીવી રહ્યા હતા અને તેઓ અવારનવાર હાઈ-સોસાયટી પાર્ટીઓમાં સામેલ થતા હતા. તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે તેઓ લાંબા સમયથી ગંભીર ડિપ્રેશન અને ડ્રગ્સના બંધાણથી પીડાતા હતા, જેના માટે ભૂતકાળમાં તેમણે કાઉન્સેલિંગની મદદ પણ લીધી હતી. આ હાઇ-પ્રોફાઇલ કેસના ચુકાદા બાદ સાઉદી અરેબિયાના શાહી દૂતાવાસ કે રિયાધ સ્થિત રોયલ કોર્ટ તરફથી કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી અને શાહી પરિવારે આ બાબતે સંપૂર્ણ મૌન સેવી લીધું છે.









