US-Sri Lanka Relations: હિન્દ મહાસાગરમાં ઈરાની યુદ્ધ જહાજ પર અમેરિકાના ટોર્પિડો હુમલા બાદ સર્જાયેલી રાજદ્વારી ખેંચતાણમાં શ્રીલંકાએ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. અમેરિકાના ભારે દબાણ છતાં શ્રીલંકાએ જાહેરાત કરી છે કે તે ઈરાની નૌસેનિકોના મામલે કોઈ પણ દેશના દબાણમાં આવ્યા વગર માત્ર આંતરરાષ્ટ્રીય કાયદા અને માનવતાવાદી સિદ્ધાંતો મુજબ જ નિર્ણય લેશે.
શું છે સમગ્ર વિવાદ?
અહેવાલો અનુસાર, તાજેતરમાં શ્રીલંકાના ગાલે બંદરથી 19 નોટિકલ માઇલ દૂર અમેરિકન સબમરીને ઈરાની યુદ્ધ જહાજ IRIS ડેના પર ટોર્પિડો હુમલો કરી તેને ડુબાડી દીધું હતું. આ હુમલામાં 87 ઈરાની નૌસેનિકોના મોત થયા હતા. આ દરમિયાન અન્ય એક સહાયક જહાજ IRIS બુશેહર પણ ત્યાં ફસાઈ ગયું હતું, જેમાં સવાર 208 ક્રૂ સભ્યોને શ્રીલંકાના સત્તાવાળાઓએ સુરક્ષિત રીતે નીચે ઉતાર્યા હતા.
આ પણ વાંચો: 'ઈરાને માફી માંગી અને આત્મસમર્પણ કર્યું, હવે તે મધ્ય પૂર્વનો બુલી નથી', ટ્રમ્પનું નિવેદન
અમેરિકાનું દબાણ અને શ્રીલંકાની પ્રતિક્રિયા
અહેવાલો અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર હેઠળ અમેરિકાએ કોલંબો પર દબાણ વધાર્યું હતું કે હુમલામાં બચી ગયેલા 32 ઈરાની નૌસેનિકો અને અન્ય ક્રૂ સભ્યોને ઈરાન પરત ન મોકલવામાં આવે. જો કે, દિલ્હીમાં આયોજિત 'રાયસીના ડાયલોગ'માં ભાગ લેવા આવેલા શ્રીલંકાના વિદેશ મંત્રી વિજિથા હેરાથે આ મુદ્દે અમેરિકાને રોકડું પરખાવતા કહ્યું હતું કે, 'અમારી સરકાર આ મામલે આંતરરાષ્ટ્રીય દરિયાઈ કાયદાનું પાલન કરી રહી છે. અમે કોઈ પણ બાહ્ય દબાણને વશ થઈશું નહીં.'
માનવતાવાદી અભિગમ પર ભાર
શ્રીલંકાએ સ્પષ્ટ કર્યું છે કે તે આ સંઘર્ષમાં કોઈ પક્ષનો ટેકો આપી રહ્યું નથી. હાલમાં શ્રીલંકાની નૌકાદળ ઈરાની જહાજ IRIS બુશેહરને દેશના પૂર્વ કિનારા પરના બંદર તરફ લઈ જઈ રહી છે. મોટાભાગના ક્રૂ સભ્યોને કોલંબો નજીકના નૌકાદળના મથક પર સુરક્ષિત રીતે સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે. સરકાર ભવિષ્યના તમામ નિર્ણયો માત્ર વૈશ્વિક નિયમો અને માનવતાવાદી વિચારણાના આધારે જ લેશે.
આ ઘટના દર્શાવે છે કે મિડલ ઈસ્ટમાં ઈઝરાયલ-અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ હવે એશિયાના દરિયાઈ વિસ્તારોમાં પણ ગંભીર રાજદ્વારી અને સૈન્ય ગરમાવો લાવી રહ્યો છે.


