ઈરાનના પ્રમુખ પેઝેશ્કિયાને રાજીનામું ધર્યાની અફવા ફેલાઈ, IRGC સાથે મતભેદનો દાવો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Middle East News: મિડલ ઈસ્ટમાં યુદ્ધ સ્થિતિ વચ્ચે ઈરાનમાંથી એક અત્યંત ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાને પોતાના પદ પરથી રાજીનામું આપવાની ઈચ્છા વ્યક્ત કરી હોવાના અહેવાલોથી આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. અહેવાલો અનુસાર, તેહરાનના યુદ્ધ સમયના મહત્ત્વના નિર્ણયોમાં ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ના અનિયંત્રિત પ્રભાવ અને દખલગીરીના વિરોધમાં પેઝેશ્કિયાને આ નિર્ણય લીધો હોવાનો દાવો કરાયો છે. જોકે, ઈરાનના સત્તાવાર અધિકારીઓ અને સરકારી એજન્સીઓએ આ અહેવાલોને સ્પષ્ટપણે નકારી કાઢીને તેને માત્ર એક અફવા ગણાવી છે.
બ્રિટિશ મીડિયાનો દાવો
યુકે (UK) સ્થિત પ્રખ્યાત મીડિયા હાઉસ 'ઈરાન ઈન્ટરનેશનલ' દ્વારા આ અહેવાલ જાહેર કરવામાં આવ્યો હતો. અહેવાલમાં દાવો કરાયો છે કે, પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાને ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈને પોતાનું રાજીનામું સુપરત કરી દીધું છે. રાજીનામા પત્રમાં એવો ઉલ્લેખ કરાયો હોવાનો દાવો છે કે, દેશના મુખ્ય અને વ્યૂહાત્મક નિર્ણયોમાંથી ચૂંટાયેલી સરકારને અસરકારક રીતે બાકાત રાખવામાં આવી છે. સરકાર શૂન્યાવકાશની સ્થિતિમાં આવી ગઈ છે અને દેશની સેના IRGCની અંદર સક્રિય કટ્ટરપંથી જૂથોએ તમામ બાબતો પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું છે. આ વર્ચસ્વના કારણે તેઓ દેશ ચલાવવામાં અને પોતાની કાનૂની જવાબદારીઓ નિભાવવામાં અસમર્થ હોવાથી તાત્કાલિક મુક્ત થવા વિનંતી કરી છે.
આ અહેવાલ વાઈરલ થતાં જ ઈરાની વહીવટી તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું અને વૈશ્વિક સ્તરે ફેલાઈ રહેલી આ અફવાઓ પર પૂર્ણવિરામ મૂકવાનો પ્રયાસ કર્યો હતો.
ઈરાન પ્રશાસનનો ઘટસ્ફોટ
IRGC સાથે જોડાયેલી એક ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો છે કે ઈરાનના પ્રમુખે રાજીનામું આપ્યું નથી અને તે તેમની ફરજો બજાવવાનું ચાલુ રાખે છે. પ્રમુખ કાર્યાલયના સંદેશાવ્યવહાર અને માહિતીના નાયબ વડા, સૈયદ મહેદી તબતાબાઈએ પણ 'X' પરની એક પોસ્ટમાં ઈરાન ઇન્ટરનેશનલના અહેવાલને નકારી કાઢ્યો હતો, અને કહ્યું હતું કે પેઝેશ્કિયાન લોકોની સેવા કરવામાં પાછળ હટશે નહીં.'
રિપોર્ટમાં શું દાવો કરવામાં આવ્યો છે?
ઈરાન ઈન્ટરનેશનલે સૂત્રોને ટાંકીને દાવો કર્યો છે કે પેઝેશ્કિયાને સુપ્રીમ લીડરના કાર્યાલયમાં પોતાનું રાજીનામું સુપરત કર્યું છે. રાજીનામા પત્રમાં તેમણે જણાવ્યું હતું કે નિર્ણય લેવાની પ્રક્રિયામાં IRGCના વર્ચસ્વને કારણે, તેઓ સરકાર ચલાવવા અને તેમની કાનૂની જવાબદારીઓ પૂર્ણ કરવામાં અસમર્થ હતા, અને તેથી તેમણે તાત્કાલિક રાજીનામું આપવાની વિનંતી કરી હતી.









