Get The App

'ખૂબ જરૂરી હોય તો જ બહાર નીકળો', કતારમાં રહેતા ભારતીયો માટે એમ્બેસીએ જાહેર કરી એડવાઇઝરી

Updated: Mar 6th, 2026

GS TEAM

Google News
Google News
'ખૂબ જરૂરી હોય તો જ બહાર નીકળો', કતારમાં રહેતા ભારતીયો માટે એમ્બેસીએ જાહેર કરી એડવાઇઝરી 1 - image

Qatar Crisis: પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે કતારની રાજધાની દોહા સ્થિત ભારતીય દૂતાવાસે ત્યાં રહેતા ભારતીય નાગરિકો માટે મહત્ત્વપૂર્ણ ટ્રાઈવેલ એડવાઇઝરી જાહેર કરી છે. દૂતાવાસે ભારતીયોને સતર્ક રહેવા અને સ્થાનિક તંત્રના દિશા-નિર્દેશનું પાલન કરવાની અપીલ કરી છે.

દૂતાવાસે શું કહ્યું?

એક સત્તાવાર નિવેદનમાં દૂતાવાસે જણાવ્યું હતું કે, કતારમાં ટ્રાન્ઝિટમાં ફસાયેલા ભારતીય નાગરિકોને મદદ કરવા માટે એક ખાસ રજિસ્ટ્રેશન લિંક જારી કરવામાં આવી છે. આ સુવિધા કતારમાં ટ્રાન્ઝિટમાં ફસાયેલા ભારતીયો માટે ઉપલબ્ધ છે, જેમની પાસે સાઉદી અરેબિયા છોડવા માટે કન્ફર્મ ટિકિટ છે.

દોહા સ્થિત ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે, આવા ભારતીય નાગરિકો સાઉદી અરેબિયા માટે કામચલાઉ ટ્રાન્ઝિટ વિઝા અપાવવામાં મદદ મેળવવા માટે આ લિંક દ્વારા રજિસ્ટ્રેશન કરાવી શકે છે. જો કે, પ્રવાસીઓએ કતારની ફ્લાઇટ ટિકિટ અને સાઉદી અરેબિયાથી આગળની મુસાફરીની કન્ફર્મ ટિકિટ સબમિટ કરવાની રહેશે.

દૂતાવાસે એ પણ જાણકારી આપી કે, કતારના ગૃહ મંત્રાલયે પૂર્ણ થઈ ગયેલા અને લિમિટ પૂરી થવાના હોય તેવી તમામ એન્ટ્રી વિઝાને લઈને એક મહિનાની સમયમર્યાદા વધારી છે. આ નિર્ણય 28 ફેબ્રુઆરી, 2026થી લાગુ કરવામાં આવ્યો છે અને પરિસ્થિતિને ધ્યાને લઈને તેમાં વધારો પણ કરી શકાય છે.

સલવા લેન્ડ બોર્ડર ક્રોસિંગ ખોલાયું

સલવા લેન્ડ બોર્ડર ક્રોસિંગ હાલમાં કતારથી સાઉદી અરેબિયાની કટોકટીની મુસાફરી માટે ખુલ્લું છે. જે ભારતીયો પાસે યુએસ, યુકે અથવા શેંગેન દેશોનો વિઝા છે અને ઓછામાં ઓછો એક વખત તેનો ઉપયોગ કર્યો છે તેઓ સાઉદી અરેબિયામાં વિઝા-ઓન-અરાઇવલનો લાભ લઈ શકે છે.

દૂતાવાસે એ પણ સ્પષ્ટતા કરી હતી કે, પ્રવાસીઓએ સલવા બોર્ડર ક્રોસિંગ સુધી પહોંચવા અને એરપોર્ટ સુધી આગળની મુસાફરી માટે પોતાની વ્યવસ્થા કરવી પડશે. વધુમાં દૂતાવાસને ટ્રાન્ઝિટ વિઝા પ્રક્રિયા કરવામાં ઓછામાં ઓછા 48 કલાકનો સમય લાગી શકે છે.

આ પણ વાંચો: ઈરાન અને આરબ દેશોને ભારે ફટકો : અમેરિકાએ 30 દિવસ સુધી રશિયાને ભારતને ક્રૂડ ઓઈલ વેચવાની છૂટ આપી

કતારમાં રહેતા ભારતીયોને દૂતાવાસની સલાહ

સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દૂતાવાસે કતારમાં રહેતા ભારતીયોને સલામત વિસ્તારોમાં રહેવા અને બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવાની સલાહ આપી છે. લોકોને બારીઓ અને ખુલ્લી જગ્યાઓથી દૂર રહેવાનું પણ કહેવામાં આવ્યું છે. વર્તમાન પરિસ્થિતિને કારણે કતારનું હવાઈ ક્ષેત્ર અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યું છે અને ફ્લાઇટ સેવાઓ હાલમાં સ્થગિત કરવામાં આવી છે. મુસાફરોને તેમની સંબંધિત એરલાઇન્સ સાથે સતત સંપર્કમાં રહેવાની સલાહ આપવામાં આવી છે. 

ભારતીય દૂતાવાસે એમ પણ જણાવ્યું હતું કે, તે ભારતીય સમુદાયને મદદ કરવા માટે 24 કલાક ઉપલબ્ધ છે અને કોઈપણ કટોકટીની સ્થિતિમાં તેમના હેલ્પલાઇન નંબર અથવા ઇમેઇલ દ્વારા સંપર્ક કરી શકાય છે.