Pulwama Attack Mastermind Hamza Burhan Shot Dead: 2019ના પુલવામા આતંકી હુમલાના ગુનેગારો અને પાપીઓનો એકપછી એક ખાતમો થઈ રહ્યો છે. પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો કમાન્ડર અને પુલવામા હુમલાના માસ્ટર માઇન્ડ આતંકી હમઝા બુરહાનની પાકિસ્તાનમાં અજ્ઞાત બંદૂકધારીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી છે.
અજ્ઞાત હુમલાખોરોએ હમઝા પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું
સૂત્રો અનુસાર આતંકી હમઝા બુરહાન POKના મુઝફ્ફરાબાદમાં આવેલી તેની એક ઑફિસમાં બેઠો હતો. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIએ તેને ઑફિસ અને ખાસ સિક્યોરિટી પૂરી પાડી હતી. આ દરમિયાન કેટલાક અજાણ્યા હુમલાખોરો ત્યાં હથિયારો સાથે ધસી આવ્યા હતા અને હમઝા પર અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું અને ઘટનાસ્થળે જ તેનું ઢીમ ઢાળી દીધું હતું.
ભારતથી ભાગીને પાકિસ્તાનમાં છુપાઈ ગયો હતો હમઝા
હમઝા બુરહાન મૂળ જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના રત્નીપોરાનો રહેવાસી હતો. વર્ષ 2017માં તે કાશ્મીરમાં સક્રિય આતંકી પ્રવૃત્તિઓમાં સામેલ થઈ ગયો હતો અને ત્યારબાદ ભારત સરકારની પકડમાંથી બચવા માટે સરહદ પાર કરીને પાકિસ્તાન ભાગી ગયો હતો. પાકિસ્તાનમાં રહીને તે પોતાને એક નિર્દોષ 'શિક્ષક' તરીકે ઓળખાવતો હતો, પરંતુ પડદા પાછળ તેનો અસલી ચહેરો અત્યંત ખતરનાક હતો.
પુલવામામાં આતંકવાદીઓને ટ્રેનિંગ આપતો હતો હમઝા
પુલવામા હુમલા બાદ પણ હમઝા શાંત બેઠો નહોતો. તે PoKના કેમ્પમાં રહીને પાકિસ્તાની આતંકીઓને ભારત વિરુદ્ધ યુદ્ધ છેડવા માટે આધુનિક હથિયારો ચલાવવાની ટ્રેનિંગ આપતો હતો. આ સિવાય સરહદી વિસ્તારોમાંથી ભારતમાં આતંકીઓની ગેરકાયદેસર ઘૂસણખોરી કરાવવાની જવાબદારી પણ આ જ હમઝા બુરહાન સંભાળતો હતો.


