| (IMAGE - IANS) |
India-Israel FTA: ભારત અને ઈઝરાયલ વચ્ચેના સંબંધોમાં એક નવો અધ્યાય શરુ થવા જઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બુધવારથી શરુ થતાં બે દિવસીય મહત્ત્વના પ્રવાસ પહેલા બંને દેશોએ મુક્ત વ્યાપાર સમજૂતી(FTA) માટે મંત્રણાનો પ્રથમ રાઉન્ડ શરુ કરી દીધો છે. આ વ્યાપારિક સમજૂતીથી બંને દેશો વચ્ચે આયાત-નિકાસના નિયમો સરળ બનશે અને રોકાણને મોટો વેગ મળશે. દિલ્હીમાં 23 ફેબ્રુઆરીથી શરુ થયેલી આ વાતચીત 26 ફેબ્રુઆરી સુધી ચાલશે. નોંધનીય છે કે ઑક્ટોબર 2021 પછી અટકેલી આ પ્રક્રિયા હવે ફરી તેજ બની છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય બંને દેશોના આર્થિક હિતોને સુરક્ષિત કરવાનો છે.
વ્યૂહાત્મક ભાગીદારી: 'હેક્સાગન ગઠબંધન'
વડાપ્રધાન મોદીના આ પ્રવાસમાં માત્ર વ્યાપાર જ નહીં, પરંતુ સુરક્ષા અને ગ્લોબલ પોલિટિક્સ પણ કેન્દ્રસ્થાને છે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ 'હેક્સાગન ગઠબંધન'(Hexagon Alliance)નો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ ગઠબંધનમાં ભારત, ઈઝરાયલ, ગ્રીસ અને સાયપ્રસ મુખ્ય ભાગીદારો તરીકે હશે. નેતન્યાહૂના મતે, મધ્ય પૂર્વમાં વધતી જતી કટ્ટરપંથી તાકોતોનો સામનો કરવા માટે આ જૂથ અત્યંત મહત્ત્વનું સાબિત થશે. આ પ્રસ્તાવ એવા સમયે આવ્યો છે જ્યારે ઈઝરાયલ અને ઈરાન વચ્ચે તણાવ ચરમસીમા પર છે અને પાકિસ્તાન-સાઉદી અરેબિયા જેવા દેશો નવા સૈન્ય કરારો કરી રહ્યા છે.
આ પણ વાંચો: 'નેતન્યાહૂને ગળે લગાવવા એ કાયરતા...', PM મોદીના ઈઝરાયલ પ્રવાસ પર ભડકી કોંગ્રેસ
આર્થિક અને સુરક્ષા ક્ષેત્રે નવા સમીકરણો
ભારત અને ઈઝરાયલ વચ્ચેના વ્યાપારિક આંકડા જોઈએ તો, વર્ષ 2024-25માં નિકાસમાં 52 ટકાનો ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં FTA દ્વારા આર્થિક સંબંધોને ફરી પાટા પર લાવવાની કોશિશ કરવામાં આવશે. બીજી તરફ, પ્રસ્તાવિત 'હેક્સાગન ગઠબંધન' સુરક્ષા, ગુપ્ત માહિતીનું આદાન-પ્રદાન અને સંરક્ષણ સહયોગ પર ધ્યાન કેન્દ્રિત કરશે. અમેરિકન પ્રમુખ દ્વારા પણ અગાઉ આવા પ્રાદેશિક સહયોગને સમર્થન મળતું રહ્યું છે, ત્યારે વડાપ્રધાન મોદીની આ બીજી ઐતિહાસિક મુલાકાત વૈશ્વિક સ્તરે ભારતના વધતા પ્રભાવને વધુ મજબૂત બનાવશે.


