- પાક. વડાપ્રધાન શહબાઝ શરીફ સઉદી અરબસ્તાનની મુલાકાતે એવા સમયે ગયા છે કે જ્યારે મ.પૂ.માં તંગદિલી વધી છે : પોતે જ બે મોર્ચા પર ફસાયેલા છે
ઈસ્લામાબાદ, રીયાધ : પાકિસ્તાનના વડાપ્રધાન અત્યારે સઉદી અરબસ્તાનની મુલાકાતે ગયા છે. આ મુલાકાત એવે સમયે યોજાઈ છે કે જ્યારે મધ્ય-પૂર્વમાં તંગદિલી વ્યાપક બની રહી છે. સાથે પ્રચંડ યુદ્ધની આશંકા તોળાઈ રહી છે. બીજી તરફ પાકિસ્તાન પોતે જ બે મોર્ચામાં ફસાયેલું છે. તેઓએ અહીં સઉદી અરબસ્તાનના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે એક સિમિત બેઠક કરી હતી. જેમાં ઈરાન જંગમાં સઉદી અરબસ્તાનને પાકિસ્તાન તરફથી સંપૂર્ણ એકતા અને સમર્થનની ખાતરી આપી હતી.
પાકિસ્તાનનાં વડાપ્રધાનના કાર્યાલય તરફથી આ માહિતી આપવામાં આવી છે.
આશ્ચર્ય તો તે વાતનું છે કે, જ્યારે પાકિસ્તાન પોતે જ બે મોર્ચા ઉપર લડી રહ્યું છે ત્યારે જ તેમણે આ વિધાનો કર્યા છે.
એક તરફ પાકિસ્તાન અફઘાન સરહદે તાલિબાનો સામે લડી રહ્યું છે તો બીજી તરફ બલુચ બળવાખોરોએ પાકિસ્તાનની સમવાયતંત્રી સરકાર સામે જબરજસ્ત યુદ્ધ જ આદરી દીધું છે. તે સંયોગોમાં પાકિસ્તાન મધ્ય-પૂર્વમાં શી સહાય કરી શકે તે મૂળભૂત પ્રશ્ન છે.
પાકિસ્તાનનાં વડાપ્રધાનનાં કાર્યાલય તરફથી પ્રસિદ્ધ કરાયેલાં નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, બંને નેતાઓએ મધ્ય-પૂર્વની પરિસ્થિતિ ઉપર વ્યાપક ચર્ચા કરી હતી અને ત્યાં શાંતિ અને સ્થિરતા સ્થાપવામાં પાકિસ્તાન દ્વારા તમામ સહાય કરવાનું વચન પણ તેમણે ક્રાઉન પ્રિન્સને આપ્યું હતું સાથે જણાવ્યું હતું કે તેઓ મધ્ય-પૂર્વમાં બ્રિજ બિલ્ડર બનવા (સેતુરૂપ બનવા) તૈયાર છે.


