World

હોર્મુઝમાં અમારી સ્ટીલની દીવાલ, ઇરાન ભાંગી પડવાના આરે

By GS Team
13 Aug 20263 mins read
TukuTouch Logo
દુબઈમાં અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે દાવો કર્યો કે, 20 યુદ્ધજહાજોથી હોર્મુઝમાં 'સ્ટીલની દીવાલ' બનાવી છે. ઈરાનમાં 300% મોંઘવારી અને IRGCને પગાર ચૂકવવાના ફાંફા છે. યમનના જહાજ પર હુથીઓના હુમલામાં 6 લોકોના મોત થયા છે. હોર્મુઝમાંથી માત્ર 8 જહાજ પસાર થયા, જે પહેલાં 130-140 હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

હોર્મુઝમાં અમારી સ્ટીલની દીવાલ, ઇરાન ભાંગી પડવાના આરે
  • અમેરિકાએ હોર્મુઝમાં 20 જહાજ ખડક્યા બાદ ટ્રમ્પે કરેલો ચોંકાવનારો દાવો
  • ઇરાનમાં 300 ટકા મોંઘવારી, સામાન્ય લોકોનું જીવન દોહ્યલું બન્યું, આઇઆરજીસીને પગાર ચૂકવવાના ફાંફા
  • હુથીઓએ યમનના જહાજ પર હુમલા કરતાં ચાર ક્રૂ મેમ્બરો અને બીજા બે સહિત કુલ છનાં મોત નીપજ્યા

દુબઈ : અમેરિકન પ્રમુખ ટ્રમ્પે જણાવ્યું હતું કે અલ્લાહનો આભાર છે કે અમે ૨૦ યુદ્ધજહાજોની મદદથી હોર્મુઝમાં સ્ટીલની દીવાલ ઊભી કરવામાં સફળ રહ્યા છીએ. ઇરાન ભલે હુમલા કર પરંતુ હોર્મુઝમાં અમારું નિયંત્રણ છે. ઇરાનની ઘેરાબંધી અમે જારી રાખવાના છીએ. ઇરાનમાં ૩૦૦ ટકા મોંઘવારી છે, આઇઆરજીસીને પગાર ચૂકવવાના ફાંફા છે. તેમની પાસે નેવી નથી અને એરફોર્સ પણ નથી.
તેમણે ઉમેર્યુ હતું કે આઇઆરજીસી સંપૂર્ણપણે બરબાદ થઈ ચૂકી છે. તેમની લીડરશિપની સ્થિતિ પણ અનિશ્ચિત છે. ઇરાનની પાસે રૂપિયા નથી. તેમનો દેશ બરબાદ થઈ ચૂક્યો છે. તેમની પાસે ફક્ત ફેક ન્યૂઝ અને ૩૦૦ ટકા મોંઘવારી છે. તેની સ્થિતિ હજી પણ વધુ ખરાબ થવાની છે. ઇરાન ફક્ત વાતો કરે છે, કોઈ કામ કરતું નથી. હવે તે મિડલ ઇસ્ટની સત્તા નથી, અલ્લાહ કા શુક્ર હૈ.
હોર્મુઝની ખાડીમાંથી જહાજોનું આવાગમન હજી પણ મર્યાદિત છે. હોર્મુઝમાંથી જ્યાં એક સમયે ૧૩૦થી ૧૪૦ જહાજ ગુજરતા હતા ત્યાં ૧૨મી ઓગસ્ટના રોજ ફક્ત આઠ જહાજ જ પસાર થઈ શક્યા હતા.હોર્મુઝમાં ઇરાનના બંદરોની અમેરિકાની ઘેરાબંધી હજી પણ જારી છે. અમેરિકાનું કહેવું છે કે તેનું અભિયાન ઇરાનના બંદરો પર આવતા જતાં જહાજોને રોકવા માટે છે. હોર્મુઝ પરના દાવાનો પુરાવો આપતા હોય તેમ અમેરિકન નેવીએ ઇરાન જતાં પનામા કાર્ગો ફ્લેગવાળા જહાજ એમવી વેલા નોવા પર મિસાઇલ છોડી હતી.
બીજી બાજુ ઇરાનનું કહેવું છે કે હોર્મુઝ ત્યાં સુધી નહીં ખૂલે જ્યાં સુધી અમેરિકા તેની શરતો માનતું નથી. આ દરમિયાન યેમેની સત્તાવાળાઓએ જણાવ્યું છે કે ઇરાન સમર્થિત હુથી બળવાખોરોએ બાબ અલ-મંડેબ સ્ટ્રેઇટમાં જતાં જહાજ પર હુમલો કરતાં છનાં મોત થયા છે. યેમેનના કોસ્ટ ગાર્ડે જણાવ્યું હતું કે મૃત્યુ પામેલાઓમા ંચાર ક્રૂ મેમ્બર અને બે સરકાર સાથે જોડાયેલા નેશનલ રેઝિસ્ટન્સ ફોર્સના સભ્યનો સમાવેશ થાય છે.હુથીઓએ યમનના કોમર્સિયલ જહાજ પર ત્રણ મિસાઇલ છોડયા હતા, એમ યેમેની મંત્રાલયની આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત સરકારે જણાવ્યું હતું. આમ હુથી હુમલામાં પહેલી વખત આરબ દેશોમાં કોઈના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે.

હમાસ મોટા જ નહીં નાના શસ્ત્રો પણ છોડેઃ નેતન્યાહુ

તેલઅવીવ : અમેરિકા અને ઇઝરાયેલ વચ્ચે ફરી એક વખત તણાવ વધી ગયો છે. ટ્રમ્પ અને ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુ ગાઝા પ્લાન-ટુને લઈને આમને-સામને છે. નેતન્યાહુએ સ્પષ્ટ જણાવી દીધું છે કે હમાસનો સંપૂર્ણ ખાત્મો ન થાય ત્યાં સુધી ગાઝામાં હુમલા જારી રહેશે. આ મામલો તેવા સમયે આવ્યો છે જ્યારે ગાઝામાં યુદ્ધ રોકવા અને હમાસ શસ્ત્રો હેઠા મૂકશે તેવી વાતચીત અમેરિકાની પહેલ પર ચાલી રહી છે.ટ્રમ્પે છેલ્લા ૧૫ મહિના માટે ગાઝા માટે ૧૫ સૂત્રીય યોજના તૈયાર કરી હોવાનો દાવો કર્યો હતો. આ યોજનામાં ઇઝરાયેલના લશ્કરના પરત ફરવાની અને હમાસના શસ્ત્રો સોંપવાની વાત કહેવામાં આવી છે. નેતન્યાહુએ આ યોજનાને સંપૂર્ણપણે ફગાવી દીધી છે અને હમાસના સંપૂર્ણ નિઃશશ્ત્રીકરણ પર ભાર મૂક્યો છે. જ્યારે બોર્ડ ઓફ પીસ સાથે જોડાયેલા અધિકારીનું કહેવું છે કે હાલમાં વાતચીત ચાલુ છે. આ દરમિયાન ઇઝરાયેલે યુએનમાં બ્રિટને વેસ્ટ બેન્ક અને ગાઝામાં કરેલા નરસંહારની ટીકા કરી તે બદલ તેની ઝાટકણી કાઢી છે. ઇઝરાયેલના યુએન પ્રતિનિધિએ જણાવ્યું હતું કે ઇઝરાયેલ ઇઝરાયેલીઓ અને પેલેસ્ટાઇનીઓ બંને સાથેના હિંસક કૃત્યોને વખોડે છે. ઇઝરાયેલ કોઈપણ પ્રકારનો આતંકવાદ સહન નહીં કરે.