Get The App

બાલેન શાહ સરકારને મોટો ઝટકો, ભારતવિરોધી આદેશ પર સ્થાનિક સુપ્રીમ કોર્ટની બ્રેક

Updated: May 16th, 2026

GS TEAM

Google News
Google News
બાલેન શાહ સરકારને મોટો ઝટકો, ભારતવિરોધી આદેશ પર સ્થાનિક સુપ્રીમ કોર્ટની બ્રેક 1 - image


Nepal Supreme Court Orders Stay on Custom Duty : ભારત-નેપાળ સરહદ પર દૈનિક ઉપયોગની વસ્તુઓ લાવવા-લઈ જવા અંગે બાલેન શાહ સરકાર દ્વારા લાદવામાં આવેલા કડક નિયમો પર નેપાળની સર્વોચ્ચ અદાલતે રોક લગાવી દીધી છે. વાસ્તવમાં, સરકારના નવા નિયમ બાદ બોર્ડર પર કસ્ટમ ચોકીઓ પર એક અજીબોગરીબ અને તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે રોજિંદો સામાન લઈ જતા સામાન્ય લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો.

માત્ર ₹100 ની મર્યાદાથી વધ્યો હતો વિવાદ

ભારતથી નેપાળ જતા સામાન્ય લોકો પાસે રહેલા ચિપ્સના પેકેટ, બિસ્કિટ અને કેળા જેવી નાની-મોટી ચીજવસ્તુઓ પર પણ કસ્ટમ વિભાગ અને સુરક્ષાકર્મીઓ ભારે કડકાઈ દાખવી રહ્યા હતા. સરકારે માત્ર ₹100 ની મામૂલી સીમા નક્કી કરી હોવાને કારણે બોર્ડર પર સામાન્ય નેપાળી નાગરિકો અને સુરક્ષાકર્મીઓ વચ્ચે અવારનવાર તીખી તકરાર અને વિવાદો જોવા મળતા હતા.

કોર્ટે સરકારના નિર્ણયને ગણાવ્યો ખોટો

બાલેન સરકારના આ મનસ્વી નિર્ણયને એડવોકેટ અમિતેશ પંડિત, આકાશ મહતો, સુયોગ્ય સિંહ અને બિક્રમ શાહ દ્વારા નેપાળની સર્વોચ્ચ અદાલતમાં રિટ પિટિશન દાખલ કરીને પડકારવામાં આવ્યો હતો. આ મામલે સુનાવણી કરતા ન્યાયાધીશ હરિ પ્રસાદ ફુયાલ અને ન્યાયાધીશ ટેક પ્રસાદ ઢુંગાનાની સંયુક્ત અદાલતે એક ઐતિહાસિક વચગાળાનો આદેશ જાહેર કર્યો છે.

અદાલતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, અર્થ મંત્રાલય અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા દૈનિક ઉપયોગની વસ્તુઓ પર આ પ્રકારની કડકાઈ કરવી સંપૂર્ણપણે ખોટી છે. કોર્ટે આદેશ આપ્યો છે કે, "જ્યાં સુધી આ મામલે અદાલતનો અંતિમ ચુકાદો ન આવે, ત્યાં સુધી અર્થ મંત્રાલય અને કસ્ટમ વિભાગ સરહદ પર સામાન્ય લોકો પાસેથી કોઈ ટેક્સ વસૂલશે નહીં અને સરહદ પરની સ્થિતિ પહેલાની જેમ સામાન્ય રાખવામાં આવે." કોર્ટના આ નિર્ણયથી બોર્ડર પર બિનજરૂરી વિવાદો અટકશે અને નાના વેપારીઓ તેમજ સામાન્ય મુસાફરોને મોટી રાહત મળશે.