Get The App

નેપાળના પૂર્વ વડાપ્રધાન કે. પી. ઓલીની ધરપકડ, નવી બાલેન શાહ સરકારની કડક એક્શન

Updated: Mar 28th, 2026

GS TEAM

Google News
Google News
નેપાળના પૂર્વ વડાપ્રધાન કે. પી. ઓલીની ધરપકડ, નવી બાલેન શાહ સરકારની કડક એક્શન 1 - image


Nepal politics: નેપાળના રાજકારણમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઉલટફેર જોવા મળ્યો છે. નવી રચાયેલી બાલેન શાહ સરકારે સત્તા સંભાળતાની સાથે જ આક્રમક વલણ અપનાવ્યું છે. વડાપ્રધાન બાલેન શાહના નેતૃત્વમાં મળેલી પ્રથમ કેબિનેટ બેઠકમાં લેવાયેલા કઠોર નિર્ણય બાદ, પૂર્વ વડાપ્રધાન કે.પી. શર્મા ઓલી અને પૂર્વ ગૃહમંત્રી રમેશ લેખકની ધરપકડ કરવામાં આવી છે.

કેમ થઈ ધરપકડ, જાણો શું છે મામલો

આ ધરપકડ પાછળ ગત વર્ષે સપ્ટેમ્બરમાં થયેલા 'Gen Z' આંદોલનના હિંસક વળાંકને જવાબદાર માનવામાં આવે છે. આંદોલન દરમિયાન નિઃશસ્ત્ર વિદ્યાર્થીઓ પર થયેલા ગોળીબારમાં અનેક યુવાનોના મોત નિપજ્યા હતા. તપાસ પંચના અહેવાલમાં આ હિંસા અને જાનહાનિ માટે તત્કાલીન સરકારના વડા કે.પી. ઓલી અને ગૃહમંત્રી રમેશ લેખકની ભૂમિકાને જવાબદાર ઠેરવવામાં આવી હતી. બાલેન શાહ સરકારે પોતાની પ્રથમ બેઠકમાં જ આ રિપોર્ટને તાત્કાલિક અસરથી લાગુ કરી જવાબદારો સામે સીધી કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.

આ પણ વાંચો: નેપાળમાં 'બાલેન યુગ'ની શરૂઆત: 47મા વડાપ્રધાન બન્યા જેન-ઝી લીડર બાલેન શાહ, ભારત સાથે ખાસ કનેક્શન

વહેલી સવારે એક પછી એક નેતાઓની અટકાયત

અહેવાલો અનુસાર, આજે (28મી માર્ચ) વહેલી સવારે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સૌ પ્રથમ પૂર્વ ગૃહમંત્રી રમેશ લેખકની અટકાયત કરવામાં આવી અને તેના થોડા જ સમય બાદ પૂર્વ વડાપ્રધાન કે.પી. ઓલીની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ કાર્યવાહીથી નેપાળના રાજકીય વર્તુળોમાં સોપો પડી ગયો છે.

સેના અને પોલીસના અધિકારીઓ પણ તપાસના ઘેરામાં

કમિશનના રિપોર્ટમાં માત્ર નેતાઓ જ નહીં, પરંતુ નેપાળ પોલીસ, સશસ્ત્ર પોલીસ દળ અને સેનાના કેટલાક ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા પર પણ ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હાલમાં સુરક્ષા દળો સામે સીધી કાર્યવાહી કરવામાં આવી નથી, પરંતુ તેમની ભૂમિકાની અલગથી તપાસ કરવા માટે સરકારે એક નવી ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે.

બાલેન શાહ સરકારનો સ્પષ્ટ સંદેશ

કાઠમંડુના મેયરથી વડાપ્રધાન બનેલા બાલેન શાહે આ કાર્યવાહી દ્વારા સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તેમની સરકારમાં ભ્રષ્ટાચાર અને માનવ અધિકારોના ઉલ્લંઘન સામે 'ઝીરો ટોલરન્સ'ની નીતિ અપનાવવામાં આવશે. પૂર્વ વડાપ્રધાનની ધરપકડને નેપાળના લોકતંત્રમાં એક મોટા પરિવર્તન અને કાયદાના શાસનના મજબૂતીકરણ તરીકે જોવામાં આવી રહી છે.