નેપાળે 200-500ની ભારતીય નોટો પરનો પ્રતિબંધ હટાવ્યો : રૂ. 25,000 સુધીની નોટો રાખી શકાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- નેપાળ ઉપરાંત ભૂતાન, શ્રીલંકા, સિંગાપુર, સંયુક્ત આરબ અમીરાત, અને ઇન્ડોનેશિયામાં પણ ભારતીય ચલણ સ્વીકાર્ય છે
નવી દિલ્હી : ભારતીય કરન્સીની રૂ. ૨૦૦ અને ૫૦૦ની નોટ હવે નેપાળમાં સ્વીકાર્ય બનશે. નેપાળની બાબેન શાહ સરકારના આદેશથી નેપાળ રાના બેન્કે (એન.આર.બી.એ.) ૧૧મી ફેબુ્રઆરીએ નેપાળમાં રાજપત્ર (ગેઝેટ)માં એક નોટિસ પ્રસિદ્ધ કરી હતી. તે પ્રમાણે ભારતીય નાગરિક હવે પોતાના દેશની રૂ. ૨૦૦ અને ૫૦૦ની નોટ નેપાળમાં ચલાવી શકશે.
નેપાળ રાષ્ટ્ર બેન્કના પ્રવક્તા ગુરૂપ્રસાદ પૌડેલના જણાવ્યા પ્રમાણે નેપાળી નાગરિક પણ ભારતીય કરન્સી લઈને નેપાળ આવી શકશે. પરંતુ અન્ય કોઈ ત્રીજા દેશની કરન્સી ચલાવી નહીં લેવાય. નેપાળ સરકારના આદેશ પ્રમાણે ભારતીય તેમજ નેપાળી નાગરિક રૂ. ૨૫,૦૦૦ સુધીની ભારતીય કરન્સી રાખી શકશે. ભારત- નેપાળમાં આવવું જવું સરળ બનશે.
૯ નવે. ૨૦૧૬માં ભારતમાં નોટબંધી કરાઈ હતી તે પછીથી પ્રસિદ્ધ થયેલી નોટો (રૂ. ૨૦૦ અને ૫૦૦ની) નેપાળમાં ચલણમાં રહેશે. ૨૦૧૬ પહેલાની ૫૦૦ અને ૧,૦૦૦ની નોટો પ્રતિબંધિત રહેશે. કારણ કે તે સમયે ભારતે જ તે નોટો પાછી ખેંચી હતી. તેવી જ રીતે તે સમયની રૂ. ૨૦૦ની નોટો પણ પ્રતિબંધિત રહેશે.
આ નિયમથી ટુરીસ્ટોને ફાયદો થશે તેમજ વ્યાપાર ક્ષેત્રને પણ ફાયદો થશે. નેપાળમાં ભારતના એક રૂપિયાની વેલ્યુ ૧.૬૦ નેપાળી રૂપિયા બરાબર છે. ૨૦૧૬માં જ્યારે નોટબંધી જાહેર કરાઈ ત્યારે નેપાળમાં ૯.૪૮ કરોડ રૂપિયાની ભારતીય નોટો ચલણમાં હતી. પરંતુ તે નોટો માત્ર વ્યાપારીઓ વચ્ચે જ ચલણમાં હતી. નાની મોટી લેતી- દેતી માટે તેથી ફાયદો થતો નહીં પરંતુ વ્યાપાર (મોટા વ્યાપાર) ક્ષેત્રે તેથી લાભ થતો હતો.
તે સર્વવિદિત છે કે, દર વર્ષે નેપાળમાંથી લાખ્ખો લોકો અભ્યાસ, નોકરી અને વ્યવસાય અર્થે ભારત આવે છે. તેઓને કોઈ સમસ્યા ન થાય તે માટે, નેપાળ સરકારે આ નિર્ણય કર્યો છે. જેથી નેપાળીઓને સરળતા રહે.
ઉલ્લેખનીય છે કે, નેપાળ ઉપરાંત ભારતના અન્ય પડોશી દેશો ભૂતાનમાં પણ ભારતીય ચલણ ચાલે છે. તે કાયદેસરનું છે. ભૂતાનની સ્થાનિક કરન્સી 'નુલટ્રમ' અને ભારતીય રૂપિયાની વેલ્યુ થોડીક સરખી છે. ભૂતાનમાં તો મોટા ભાગની લેતી- દેતી તેની કરનસીમાં થાય તે સહજ છે પરંતુ ભારતીય રૂપિયામાં પણ સ્થાનિક લોકો લેતીદેતી કરે છે અને વ્યાપારીઓ ભારતીય રૂપિયો સ્વીકાર્ય પણ ગણે છે. ભારતીય રૂપિયા લઈ ભૂતાનમાં ફરવું આસાન છે.
મહત્ત્વની વાત તે છે કે ભારતીય ચલણ નેપાળ અને ભૂતાન ઉપરાંત શ્રીલંકા, સિંગાપુર, સંયુક્ત આરબ અમીરાત અને ઇન્ડોનેશિયામાં પણ સહજ રીતે પ્રચલિત છે. મલેશિયામાં તેના ચલણનું નામ જ 'રૂફીયા' છે તે પણ ઉલ્લેખનીય છે.









