World

નેપાળમાં કુદરતનો પ્રકોપ: પૂરમાં 160થી વધુ લોકોના મોત, 133 ભારતીયો સહિત 844 લોકો ગુમ, ભારતે 10 ટન માનવીય સહાય મોકલી

By GS Team
27 Aug 20262 mins read
TukuTouch Logo
નેપાળ-તિબેટ સરહદે ભોટેકોશી અને ત્રિશૂલી નદીઓમાં ગ્લેશિયર તૂટતા ભયાનક પૂર આવ્યું છે. 160ના મોત અને 844 લોકો ગુમ થયા છે, જેમાં 133 ભારતીય શ્રદ્ધાળુઓનો સમાવેશ થાય છે. રસ્તાઓ અને પુલ ધોવાઈ જતાં સંદેશાવ્યવહાર ઠપ થયો છે. ભારતે 10 ટન રાહત સામગ્રી મોકલી છે. બિહારમાં હાઈ એલર્ટ અપાયું છે. તિબેટમાં પણ 3ના મોત અને 265 ગુમ થયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નેપાળમાં કુદરતનો પ્રકોપ: પૂરમાં 160થી વધુ લોકોના મોત, 133 ભારતીયો સહિત 844 લોકો ગુમ, ભારતે 10 ટન માનવીય સહાય મોકલી

Nepal Flood News : નેપાળ-તિબેટ સરહદ નજીક ભોટેકોશી અને ત્રિશૂલી નદીઓમાં અચાનક આવેલી ભયાનક પૂરની વિનાશક લહેરોએ ભારે વિનાશ સર્જ્યો છે. આશરે 5,200 મીટરની ઊંચાઈ પર ગ્લેશિયરનો મોટો હિસ્સો તૂટી પડતાં બરફ, ખડકો અને કાંપનો મોટો જથ્થો અચાનક નદીમાં ધસી આવ્યો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 160 લોકોના મોત થયા છે અને 844 લોકો ગુમ થયાના અહેવાલ છે.

133 ભારતીય શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ ગુમ

ગુમ થયેલા લોકોમાં કૈલાશ માનસરોવર યાત્રાએ ગયેલા શ્રદ્ધાળુઓ સહિત ઓછામાં ઓછા 133 ભારતીય નાગરિકોનો સમાવેશ થાય છે. એક અહેવાલ અનુસાર, 59 શ્રદ્ધાળુઓ આ યાત્રા દરમિયાન સંપર્કવિહોણા બન્યા છે. પ્રભાવિત વિસ્તારોમાં સંદેશાવ્યવહાર ઠપ થઈ જતાં ભારતીયો વિશે માહિતી મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.

ભારતીય રાજ્યો દ્વારા હેલ્પલાઈન શરૂ

ભારતીય નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસ ઉપરાંત તમિલનાડુ, કેરળ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને ઓડિશા જેવા રાજ્યોએ અસરગ્રસ્તો અને તેમના પરિવારજનો માટે મદદરૂપ હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે.

રસ્તાઓ અને બ્રિજ ધોવાયા, સંપર્ક તૂટ્યો

નેપાળના રસુવા, નુવાકોટ અને ધાદિંગ જિલ્લાઓ સૌથી વધુ પ્રભાવિત થયા છે. પૂરના તીવ્ર પ્રવાહમાં 19 પુલ અને 40 કિલોમીટર લાંબા રસ્તાઓ ધોવાઈ ગયા છે. આ સિવાય આશરે એક ડઝન જેટલા હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સને ભારે નુકસાન પહોંચ્યું છે, જેના કારણે રાહત કામગીરીમાં અવરોધ ઊભો થયો છે.

image.png

ભારત તરફથી 10 ટન રાહત સામગ્રી રવાના

સંકટની આ ક્ષણમાં ભારતે નેપાળ પ્રત્યે મદદનો હાથ લંબાવ્યો છે. ભારતીય વાયુસેનાના વિમાન દ્વારા 10 ટન માનવીય સહાય અને જરૂરી દવાઓ નેપાળ મોકલવામાં આવી છે. ભારતે તમામ શક્ય મદદ પૂરી પાડવાની ખાતરી આપી છે.

20260826591f.jpg

બિહારમાં હાઈ એલર્ટ: ગંડક બેરાજના 36 દરવાજા ખોલાયા

નેપાળની આ આપત્તિની અસર ભારત સુધી પહોંચવાની શક્યતા છે. નેપાળમાંથી આવતા પાણીને કારણે બિહાર સરકારે ગંડક નદીના જળસ્તર પર નજર રાખવાનું શરૂ કર્યું છે. સાવચેતીના ભાગરૂપે વાલ્મિકીનગર ગંડક બેરાજના તમામ 36 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવાયા છે.

તિબેટમાં પણ વિનાશ: 3ના મોત, 265 ગુમ

આ કુદરતી આપત્તિથી ચીનનો તિબેટ વિસ્તાર પણ પ્રભાવિત થયો છે. સરહદ પાર ચીનના વિસ્તારોમાં 3 લોકોના મોત અને 265 લોકો ગુમ થયાના અહેવાલ છે. બંને દેશોની સરહદ પર બચાવ ટુકડીઓ ગુમ થયેલા લોકોની શોધખોળ કરી રહી છે.