World

3 વર્ષમાં વિદેશમાં 39,000થી વધુ ભારતીયોના મોત : સંસદમાં કેન્દ્ર સરકારનો ખુલાસો

By GS Team
28 Jul 20262 mins read
TukuTouch Logo
વિદેશ મંત્રાલયે સંસદમાં રજૂ કરેલા આંકડા મુજબ, છેલ્લા 3 વર્ષમાં ખાડી દેશોમાં 1,340 ભારતીય નાગરિકોએ આત્મહત્યા કરી છે. UAEમાં સૌથી વધુ 511 કેસ નોંધાયા છે, ત્યારબાદ સાઉદી અરેબિયા (354) અને કુવૈત (162) છે. કુલ 1,900થી વધુ વિદેશી આત્મહત્યામાંથી 70% થી વધુ GCC દેશોમાં થયા છે. સરકારે પ્રવાસી ભારતીયોની સુરક્ષા માટે પગલાં લીધા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

3 વર્ષમાં વિદેશમાં 39,000થી વધુ ભારતીયોના મોત : સંસદમાં કેન્દ્ર સરકારનો ખુલાસો

Indians Died By Suicide In Gulf Countries : દેશના વિદેશ મંત્રાલય દ્વારા સંસદમાં આપવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા ત્રણ વર્ષમાં ખાડી દેશોમાં 1,340 ભારતીય નાગરિકોએ આપઘાત કર્યો છે. મંત્રાલયના જણાવ્યા મુજબ, વર્ષ 2023થી 2025 વચ્ચે વિદેશોમાં આપઘાત કરનારા ભારતીય નાગરિકોની કુલ સંખ્યા 1,900થી વધુ રહી, જેમાં 70 ટકાથી વધુ કેસ ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (GCC) દેશોમાં નોંધાયા હતા. આ આંકડા વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે લોકસભામાં કોંગ્રેસ સાંસદ સતપાલ બ્રહ્મચારી અને જય પ્રકાશ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના લેખિત જવાબમાં શેર કર્યા હતા.

UAEમાં સૌથી વધુ આપઘાતના કેસ

વિદેશ મંત્રાલય અનુસાર, ખાડી દેશોમાં આપઘાતના કેસોમાં સંયુક્ત આરબ અમીરાત (UAE) સૌથી ઉપર રહ્યું, જ્યાં 511 ભારતીય નાગરિકોએ આપઘાત કર્યો.

અન્ય દેશમાં આપઘાતના કેસ?

સાઉદી અરેબિયા - 354 કેસ

કુવૈત - 162 કેસ

ઓમાન - 146 કેસ

બહરીન - 101 કેસ

કતાર - 66 કેસ

GCC દેશો પછી મલેશિયામાં 131 અને અમેરિકામાં 62 ભારતીય નાગરિકો દ્વારા આપઘાતના કેસ નોંધાયા હતા. જ્યારે ઇટલી, કેનેડા અને યુનાઇટેડ કિંગડમમાં પણ આ સમયગાળા દરમિયાન પ્રત્યેક દેશમાં 30થી વધુ કેસ સામે આવ્યા હતા.

ખાડી દેશોમાં રહે છે લગભગ 1 કરોડ ભારતીયો

સરકારના જણાવ્યા અનુસાર, વર્તમાનમાં ખાડી દેશોમાં લગભગ 1 કરોડ ભારતીય નાગરિકો અને ભારતીય મૂળના લોકો રહી રહ્યા છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, વિદેશોમાં રહેતા ભારતીય નાગરિકો દ્વારા આપઘાતના કેસોની સંખ્યામાં સરેરાશ વધારો નોંધાયો છે. આ પહેલા વર્ષ 2022માં મંત્રાલયે 2014થી 2022 વચ્ચે વિદેશોમાં 4,005 ભારતીયો દ્વારા આપઘાત કરવામાં આવ્યો હોવાની માહિતી આપી હતી.

સરકારે પ્રવાસી ભારતીયોની સુરક્ષા માટે લીધા પગલાં

જોકે સરકારે આપઘાતના કેસોમાં વધારા પાછળ કોઈ ચોક્કસ કારણ નથી દર્શાવ્યું, પરંતુ વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે કહ્યું કે, ભારત સરકાર વિદેશોમાં ભારતીય કામદારોની સુરક્ષા અને કલ્યાણ સુનિશ્ચિત કરવા માટે ઘણા પગલાં ભરી રહી છે. તેમણે જણાવ્યું કે, પ્રવાસી ભારતીય વીમા યોજના (PBBY), 'ઇમિગ્રેશન ચેક રિક્વાયર્ડ' (ECR) શ્રેણીના તે તમામ કામદારો માટે ફરજિયાત છે, જેઓ ECR દેશોમાં કામ કરવા જાય છે. આ યોજના હેઠળ ₹275ના પ્રિમિયમ પર 2 વર્ષનો વીમો, ₹375ના પ્રિમિયમ પર 3 વર્ષનો વીમો, અકસ્માતમાં મૃત્યુ અથવા કાયમી દિવ્યાંગતાની સ્થિતિમાં ₹10 લાખ સુધીનું વીમા કવર ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ સિવાય અન્ય લાભો પણ મળે છે.

39 હજારથી વધુ ભારતીયોના વિદેશોમાં થયા મોત

વિદેશ મંત્રાલય દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવેલા આંકડામાં ભારતીય નાગરિકોના મોતના વિવિધ કારણો છે. જેમાં કુદરતી કારણો, કાર્યસ્થળ પર અકસ્માત, આપઘાત, અપરાધ અને અન્ય કારણોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આંકડા અનુસાર, કાર્યસ્થળ પર અકસ્માતોના કિસ્સામાં પણ GCC દેશોમાં મોતોની સંખ્યા વધુ રહી. જેમાં સાઉદી અરેબિયામાં 182 મોત અને UAEમાં 128 મોત નોંધાયા છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા ત્રણ વર્ષમાં વિદેશોમાં 39,000થી વધુ ભારતીય નાગરિકોના વિવિધ કારણોસર મોત થયા છે.