Get The App

ત્રીજા દિવસે પણ ખાડી દેશોની ફલાઇટો બંધ રહેતા યાત્રીઓની મુશ્કેલી વધી

૩૦,૦૦૦થી વધુ જર્મન પ્રવાસી ખાડીનાં વિવિધ દેશોમાં ફસાયા ઃ દુબઇ એરપોર્ટ પર મર્યાદિત સંખ્યામાં ફલાઇટ શરૃ થયાનાં અહેવાલો

ભારતીય એરલાઇન્સોએ ૩૦૦થી વધુ ફલાઇટો રદ કરી જેમાં ઇન્ડિગોની ૧૮૩, એર ઇન્ડિયા ગુ્રપની ૧૧૦ ફલાઇટો સામેલ

Updated: Mar 2nd, 2026

GS TEAM

Google News
Google News
ત્રીજા દિવસે પણ ખાડી દેશોની ફલાઇટો બંધ રહેતા યાત્રીઓની મુશ્કેલી વધી 1 - image

(પીટીઆઇ)     લંડન, તા. ૨

 અમેરિકા અને ઇઝરાયેલે ઇરાન પર બોંબમારો ચાલુ રાખતા સોમવારે પણ વૈશ્વિક હવાઇ મુસાફરીમાં અંધાધૂંધી વધી ગઇ હતી. ઇરાને આ હુમલાનાં જવાબમાં મધ્ય પૂર્વનાં દેશોમાં હુમલા ચાલુ રાખતા આજેે પણ મોટા ભાગનાં એરપોર્ટ બંધ રહ્યાં હતાં. જેના કારણે મુસાફરો ફસાઇ ગયા હતાં.

ટુરિસ્ટ, બિઝનેસ ટ્રાવેલર અને ધાર્મિક શ્રદ્ધાળુઓ ફસાઇ ગયા છે. તેઓ પોતાના દેશમાં પરત ફરવા માંગે છે પણ એરપોર્ટ અને ફલાઇટ બંધ હોવાને કારણે તેઓ સ્વદેશ પરત ફરી શકતા નથી.

દુબઇ, અબુ ધાબી અને દોહાનાં એરપોર્ટ સળંગ બીજા દિવસે પણ બંધ રહ્યાં હતાં.  ઉલ્લેખનીય છે કે આ એરપોર્ટ યુરોપ, આફ્રીકા સહિતનાં દશોમાં જવા માટે મહત્ત્વપૂર્ણ હબ છે.

વિશ્વનાં સૌથી વ્યસ્ત એરપોર્ટ પૈકીના એક દુબઇ એરપોર્ટ પર મર્યાદિત સંખ્યામાં ફલાઇટ શરૃ કરવામાં આવી હતી. આ અગાઉ જણાવવામાં આવ્યું હતું કે મંગળવારે બપોરે ૩ વાગ્યા સુધી ફલાઇટ સસ્પેન્ડ કરવામાં આવી છે.

૫૮૦૦૦થી વધુ ઇન્ડોનેશિયન સઉદી અરેબિયામાં ફસાયેલા છે. તેઓ રમઝાન મહિનામાં મક્કા અને મદીનામાં ઉમરાહ કરવા માટે આવ્યા હતાં. ૩૦,૦૦૦ જર્મન પ્રવાસીઓ પણ મિડલ ઇસ્ટનાં વિવિધ દેશોમાં ફસાઇ ગયા છે.

આ દરમિયાન ભારતની એરલાઇન્સોએ આજે ૩૦૦થી વધુ આંતરરાષ્ટ્રીય ફલાઇટો રદ કરી હતી. ઇન્ડિગોએ ૧૬૩, એર ઇન્ડિયા તથા એર ઇન્ડિયા એક્સપ્રેસે ૧૧૦, સ્પાઇસ જેટે ૨૦  ફલાઇટો રદ કરી હતી.

મુંબઇનાં એરપોર્ટ પરથી ૧૧૬, દિલ્હીનાં એરપોર્ટ પરથી ૮૭, બેંગાલુરુ એરપોર્ટ પરથી ૭૨ અને ચેન્નાઇ એરપોર્ટ પરથી ૨૮ ફલાઇટ રદ કરવામાં આવી હતી.